Mar 31, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૮-અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ

અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ
આગળના અધ્યાય-૧૨-ભક્તિયોગમાં તેરમા શ્લોકથી અંત સુધી,પરમાત્માના પ્રિય ભક્ત નું વર્ણન કર્યું છે.હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે-કે-“તે ભક્તને “સત્ય”નું કેવા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ ?” એટલે જ અર્જુન કહે છે-કે- હે કૃષ્ણ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ-પ્રકૃતિ અને પુરુષ-જ્ઞાન અને જ્ઞેય આ વિષે હું જાણવા ઈચ્છું છું.(૧)

શ્રીકૃષ્ણ કહે છે-કે-આ દેહ (શરીર)ને ક્ષેત્ર અને જે એ ક્ષેત્રને જાણે છે (માલિક)-તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે.(૨)

સીધી સાદી ભાષામાં કહીએ-તો-જો ક્ષેત્ર ને આપણે ખેતર કહીએ તો–આ ખેતર તે શરીર છે.
અને ખેતરનો માલિક કે-જે- તે ખેતરને બરોબર જાણે છે-તે ક્ષેત્રજ્ઞ છે.
ખેતરનો માલિક ખેતરનું પોષણ કરે છે.

શરીરને જો ક્ષેત્ર (ખેતર) કહીએ તો શરીર માં આત્મા રૂપે રહેલ પરમાત્મા એ ક્ષેત્રજ્ઞ છે.
અને આ પરમાત્મા ઘણાં બધાં ક્ષેત્ર (ખેતર) માં –આત્મા રૂપે-રહી તેના માલિક તરીકે –
તે શરીરનું (ક્ષેત્ર-ખેતર) નું પોષણ કરે છે.

જગતનાં બધાં જુદી જુદી જાતનાં શરીરો (ક્ષેત્રો-ખેતરો) ના જુદાજુદા પ્રકારો -જુદાજુદા વિકારોને લીધે છે.
અને એથી જ તે શરીરો થી (ક્ષેત્રોથી) જુદા જુદા કાર્યો ઉત્પન્ન થાય છે.-પરંતુ-પરમાત્મા (ક્ષેત્રજ્ઞ-આત્મા) 
–આ બધાનો માલિક હોવાં છતાં-તેને તેની સાથે (શરીરો સાથે-ક્ષેત્ર સાથે) કોઈ જ લેવા દેવા નથી.

આ ક્ષેત્ર (શરીર) અને ક્ષેત્રજ્ઞ (પરમાત્મા) નું  જે જ્ઞાન છે- અથવા તો –
જે જ્ઞાનથી ક્ષેત્ર (શરીર) અને ક્ષેત્રજ્ઞ  (પરમાત્મા)ને જાણી શકાય છે તે જ સાચું જ્ઞાન છે.

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ઋષિઓએ બહુ પ્રકારે કહેલું છે.વેદોમાં વિભાગપૂર્વક તેનું નિરૂપણ કર્યું છે.
બ્રહ્મસૂત્રોના પદોમાં પણ આ જ્ઞાન વર્ણવાયેલું છે. (૨-૩-૪-૫)

સાડાત્રણ હાથનું શરીર (ક્ષેત્ર) કેવી રીતે બને છે ? કયા વિકારોથી તેની વૃદ્ધિ થાય છે ?ક્ષેત્ર કોનું છે ?
એવા કેટલાય પ્રશ્નોના જવાબ ખોળવા,શ્રુતિઓ,તર્કશાસ્ત્ર,ષટશાસ્ત્રો –વચ્ચે ચર્ચાઓ અને ઉહાપોહ ચાલ્યા 
કરેલો છે,બધાં વાદવિવાદો કરે છે,પણ એક મત થતો નથી.જુદા જુદા વાદો –સંપ્રદાયો જુદું જુદું કહે છે.

કર્મવાદીઓ કહે છે- કે –શરીર (ક્ષેત્ર) જીવ (આત્મા-ચૈતન્ય)ના તાબામાં છે. 
અને તેની સર્વ વ્યવસ્થા “પ્રાણ” ને સોંપવામાં આવી છે.

સાંખ્યવાદીઓ કહે છે-કે-શરીર (ક્ષેત્ર) એ જીવ (આત્મા-ચૈતન્ય) ના તાબામાં નથી,જીવ(આત્મા) તો એક 
વટેમાર્ગુ છે,અને ભ્રમણ કરતો કરતો તે શરીર (ક્ષેત્ર) માં થોડોક (અમુક) સમય માટે જ વાસ કરે છે.
પ્રાણ –તો પહેરેગીર હોવાથી –જાગ્રત રહી શરીર (ક્ષેત્ર)નું રક્ષણ કરે છે.

બીજા અસંખ્ય વાદો –વાદવિવાદ કરીને થાકી ગયા છે,ખરેખરી રીતે આ શરીર (ક્ષેત્ર) કોનું છે ?
તે કોઈથી પણ નિશ્ચિત કહી શકાતું નથી.

પણ અહીં શ્રીકૃષ્ણ કહે છે-કે-
--પંચ મહાભૂતો (આકાશ,વાયુ,અગ્નિ,જળ,પૃથ્વી)
--અહંકાર-પ્રકૃતિ -મન--બુદ્ધિ
--દશ ઇન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિયો-પાંચ કર્મેન્દ્રિયો)
--દશ વિષયો (દશ ઇન્દ્રિયોના દશ વિષયો-જેવા કે સ્વાદ-વગેરે)
--વિકારો (સુખ,દુઃખ,દ્વેષ,ઈચ્છા,ચેતના,ધૃતિ સંઘાત)
આ ક્ષેત્ર (શરીર)નાં તત્વો છે.(શરીર-ક્ષેત્ર –આ તત્વોનું બનેલું છે) (૬-૭)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE