Apr 10, 2020

ભાગવત રહસ્ય -૨૪૧

વાલ્મીકિ રામજીને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,હું કુસંગથી બગડેલો,લૂંટફાટનો ધંધો કરતો.અનેક જીવોની હિંસા કરતો,પણ નારદજીના સત્સંગથી મારું જીવન સુધર્યું.એક વખત સપ્તર્ષિઓ વનમાંથી જતા હતા,મારી નજર પડી અને મેં મારા સેવકોને આજ્ઞા કરી કે-પકડો તેમને અને લુંટો તેમને.
સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.

ત્યાં નારદજીએ આવી મને પૂછ્યું-કે –તું કોના માટે આ પાપ કરે છે ?
મેં જવાબ આપ્યો-મારા કુટુંબ માટે,પાપ ન કરું તો ઘરનાં લોકોને શું ખવડાવું ?
નારદજીએ પૂછ્યું-તારા આ પાપમાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે ?
મેં જવાબ આપ્યો –કે -કેમ નહિ ? નારદજી કહે કે-જા.ઘેર જઈને પૂછી આવ.
હું ઘેર ગયો અને મારી પત્ની અને પુત્રોને પૂછ્યું-કે-હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને ?
એક પછી એકે જવાબ આપ્યો કે-પાપ કરે તે ભોગવે, અમે ભાગીદાર શાના ?

મને ધિક્કાર છૂટ્યો,મારો મોહ નષ્ટ થયો,હું ફરીથી નારદજી પાસે આવ્યો.
નારદજીએ મને રામનામનો મંત્ર આપ્યો, અને મને રામનામનો જપ કરવાનું કહ્યું.
મેં તેમને પૂછ્યું કે -જપ ક્યાં સુધી કરવાનો ? તેમને કહ્યું-કે શરીર પર રાફડા થાય ત્યાં સુધી.
આરંભમાં મારા પાપી મુખમાંથી રામ-રામ ને બદલે મરા-મરા શબ્દ નીકળવા લાગ્યો.
રામ નામ નો જપ હું બરાબર કરી શક્યો નહિ.હું ઉલટો જ જપ મરા-મરા કરતો હતો -
છતાં –પ્રભુએ મારા પર કૃપા કરી,અને મારો ઉદ્ધાર થયો.
જપ કરતાં કરતાં મારા શરીર પર રાફડા થયા.

ફરીથી સપ્તર્ષિઓ ત્યાં આવ્યા છે અને કહ્યું-કે “હવે તું શુદ્ધ થયો છે,હવે બહાર આવ”
સંસ્કૃત માં રાફડા ને “વાલ્મિક” કહે છે, વાલ્મિક ઉપરથી વાલ્મીકિ નામ પડ્યું છે.
રામજીના ઉલ્ટા નામ “મરા-મરા” સ્મરણે પણ વાલ્મીકિને એક મહાન કવિ અને મહર્ષિ બનાવ્યા.

પ્રભુએ વાલ્મીકિને પૂછ્યું--કે અમારે વનમાં નિવાસ કરવો છે,અમને કોઈ સ્થાન બતાવો.
વાલ્મીકિ કહે છે-કે આપ ક્યાં નથી ?નાથ તમે તો આ લીલા કરો છો,
તેમ છતાં હું આપણે સ્થાન બતાવું છું,આપ ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજો.

ભાગવતની જેમ જ વાલ્મીકિ રામાયણમાં પણ સમાધિ ભાષા છે.
શુદ્ધ ચિત્ત એ ચિત્રકૂટ છે.
અંતઃકરણ જયારે પરમાત્માનું સતત ધ્યાન કરે –સતત ચિંતન કરે ત્યારે તેને “ચિત્ત” કહેવાય છે


એક જ અંતઃકરણ જયારે..
(૧) ચિંતન કરે- ત્યારે –ચિંતન એ “ચિત્ત” નો ધર્મ છે.
(૨) સંકલ્પ-વિકલ્પ કરે-ત્યારે સંકલ્પ-વિકલ્પ એ “મન” નો ધર્મ છે.
(૩) નિશ્ચય કરે –ત્યારે- નિશ્ચય એ “બુદ્ધિ” નો ધર્મ છે.
(૪) અભિમાન કરે-ત્યારે-અભિમાન એ “અહંકાર” નો ધર્મ છે.
ચિત્ત,મન,બુદ્ધિ અને અહંકાર –એ-એક જ અંતઃકરણના – ભેદ છે.

પાપ થાય છે-અજ્ઞાનથી.અજ્ઞાન ચિત્તમાં છે.અને ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે.
પરમાત્માનાં દર્શન થાય ત્યારે “ચિત્ત” ચિત્રકૂટ બની જાય છે.
જયારે અંતઃકરણ - ચિત્ત બને છે-(ચિંતન કરતાં-કરતાં) –
ત્યારે તે “ચિત્ત” ચિત્રકૂટમાં –સીતારામજી (પરમાત્મા) વિરાજે છે.
લક્ષ્મણ વૈરાગ્ય છે,સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે,રામ એ પરમાત્મા છે.
જયારે “ધારણા” કરવામાં આવે છે-ત્યારે-ચિત્તમાં પરમાત્મા બિરાજે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE