May 4, 2020

ભાગવત રહસ્ય -૨૬૪

તે પછી,વાનર સેનાએ સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો છે.પથ્થર પર રામનામ લખવાથી પથ્થર તરે છે. રામનામથી જડ પથ્થર તરે છે-તો મનુષ્ય શું ના તરે? 
વિશ્વાસ રાખી રામનામનો જપ કરવાથી મનુષ્ય સંસાર-સાગરને તરે છે.કલિકાળમાં રામનામના જપ સિવાય સંસાર-સાગર તરવાનો-બીજો કોઈ ઉપાય નથી.

રઘુનાથજીએ લંકામાં પ્રવેશ કર્યો છે.અનેક રાક્ષસોને માર્યા છે.
ઇન્દ્રજીત અને લક્ષ્મણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. લક્ષ્મણ “ઇન્દ્રિયજીત” છે.જે ઇન્દ્રિયજીત (લક્ષ્મણ) છે તે ઇન્દ્ર કરતા પણ મોટો છે,”ઇન્દ્રજીત” ને પણ તે મારી શકે છે.લક્ષ્મણે ઇન્દ્રજીતનું માથું કાપ્યું છે.
ઇન્દ્રજીતનો હાથ, સુલોચના (ઇન્દ્રજીતની પત્ની)ના આંગણામાં આવ્યો અને તે હાથે લખી આપ્યું કે-
લક્ષ્મણ સાથે લડતાં મારો વધ થયો છે.સુલોચના વિલાપ કરે છે,”મારે હવે નથી જીવવું,
મારા પતિદેવનો હાથ આવ્યો છે પણ મને મસ્તક લાવી આપો,મસ્તક લઇને મારે સતી થવું છે.”

સુલોચના રાવણ પાસે ગઈ અને ઇન્દ્ર્જીતનું મસ્તક માગ્યું.
રાવણે કહ્યું-કે-મસ્તક મારી પાસે નથી આવ્યું,વાનરો તે રામજી પાસે લઇ ગયા છે.
સુલોચના કહે છે-તમે તે મસ્તક મગાવી આપો.
રાવણ કહે છે કે-હું માંગીશ તો વાનરો મસ્તક આપશે નહિ,પણ હું તને એક યુક્તિ બતાવું છું,
તે પ્રમાણે કરીશ તો મસ્તક મળશે.તારા પતિનું મસ્તક રામજી જરૂર તને આપશે,તેની પાસે જા.
અગ્નિમાં પ્રવેશ કરતાં પહેલાં તુ રામજીનાં દર્શન કર,રામજીને વંદન કર.

સુલોચન કહે છે-કે- તમે મને શત્રુ પાસે કેમ મોકલો છો ? હું અતિ સુંદર છું,ત્યાં જઈશ તો મને જોતાં શત્રુઓની દાનત બગડશે,તો અનર્થ થશે.
ત્યારે રાવણે તે વખતે રામજીનાં વખાણ કર્યાં છે,કહે છે-કે- રામજી જગતની બીજી સ્ત્રીઓને માતૃવત જુએ છે. રામ તને માતા જેમ માનશે,તારાં વખાણ કરશે,હું રામ જોડે વેર રાખું છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.રામ-દરબારમાં કદી અન્યાય થયો નથી.રામજી જેવો કોઈ મહાન થયો નથી,મને સંપૂર્ણ વિશ્વાસ છે-કે તને તે મસ્તક આપશે.

શત્રુ-રાવણ પણ રામજીનાં વખાણ કરે છે.શત્રુ પણ જેનાં વખાણ કરે તે પરમાત્મા.
સુલોચના રામજી પાસે આવ્યાં છે,રામજીએ તેને માન આપ્યું છે.તેનાં વખાણ કર્યાં છે.
સુલોચના મસ્તક માગે છે, રામજીએ સુલોચનાને તેના પતિનું મસ્તક આપ્યું છે.
સુલોચના અતિ વિલાપ કરે છે,સુલોચનાનો વિલાપ જોઈ માલિકનું હૃદય પીગળ્યું છે.
રામજી કહે છે-કે તમે કહો તો તમારાં પતિને હું જીવતો કરું.તેને હજાર વર્ષનું આયુષ્ય આપું.
ત્યારે સુલોચના એ ના પાડી છે,”મારા પતિ યુદ્ધ કરતાં કરતાં મર્યા છે,તેથી તે વીરગતિને પામ્યા છે,
તમે જો તેમણે જીવતા કરો તો તે મને ઠપકો આપે.

રામ-રાવણનું ભયંકર યુદ્ધ થયું,રાવણની ડુંટીમાંનુ અમૃત,(ડુંટીમાંનુ અમૃત!!!!!) અગ્ન્યાસ્ત્ર દ્વારા સુકવી નાખ્યું. અને રાવણનો વિનાશ કર્યો.સીતાજીને હનુમાનજીએ વિજયની ખબર આપી છે.
ઈન્દ્રિયસુખ માટે પ્રવૃત્તિ કરે તે રાવણ છે,જેને સાચાં સુખની દિશાનું ભાન નથી,તેનો વિનાશ નક્કી છે.
પ્રભુએ લંકાનું રાજ્ય વિભીષણને આપ્યું,પ્રભુએ કંઈ લીધું નથી,વાનરોનું બહુ સન્માન કર્યું છે.
પુષ્પક વિમાનમાં રામ-સીતાએ ત્યાંથી પ્રયાણ કર્યું છે.
રસ્તામાં પ્રભુ,સીતાજીને રામેશ્વરની સ્થાપના કરી હતી તે બતાવે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE