May 2, 2020

ભાગવત રહસ્ય -૨૬૨

હનુમાનજી રામજી પાસે આવ્યા છે.લક્ષ્મણ પત્ર વાંચે છે,અને રામજી સાંભળે છે.
હનુમાનજી કહે છે-કે-નાથ.આ તો તમારો પ્રતાપ છે,નાથ,કૃપા કરો કે મને અભિમાન ન થાય.માલિકની નજર નીચી થઇ છે,મારા હનુમાનને તેના આ કામ (ઉપકાર) બદલ હું શું આપું ? જગતના ધણી આજે હનુમાનજીની આંખમાં આંખ મિલાવી શકતા નથી,(સન્મુખ થઇ શકતા નથી) આંખ સહેજ ભીની થઇ છે,માલિક આજે ઋણી બન્યા છે.વધુ તો શું કરે ? ઉભા થઇ હનુમાનજીને ભેટી પડ્યા છે.

ત્યાંથી વિજયાદશમીના દિવસે પ્રયાણ કર્યું છે,અને સમુદ્રના કિનારે આવ્યા છે.
રઘુનાથજીનો રોજ નો નિયમ હતો કે શિવજીની પૂજા કરવી.સમુદ્રકિનારે કોઈ શિવલિંગ મળ્યું નહિ,
હનુમાનજીને શિવલિંગ લેવા મોકલ્યા છે,હનુમાનજીને આવતા વાર લાગી –એટલે રામજીએ રેતીનું 
શિવલિંગ બનાવી તેની પૂજા કરી છે.પ્રભુએ રામેશ્વરની સ્થાપના કરી.

તે પછી હનુમાનજી શિવલિંગ લઈને આવ્યા.પણ અહીં તો શિવની સ્થાપના થયેલી જોઈ,
હનુમાનજી ને ખોટું લાગ્યું-કહે છે-કે-
પ્રભુ તમારે રેતીનું શિવલિંગ બનાવવું હતું તો મારી પાસે આટલી બધી ખટપટ કરાવી શું કામ ? 
રામજીએ કહ્યું-કે મેં સ્થાપેલા શિવલિંગને ઉખેડી કાઢ,આપણે ત્યાં ,તેં લાવેલા શિવલિંગની સ્થાપના કરીએ.
હનુમાનજીએ શિવલિંગ પર પોતાનું પુચ્છ ભરાવ્યું અને જોરથી ખેંચવા લાગ્યા –પણ શિવલિંગ એક તસુ 
પણ ખસ્યું નહિ.(કહે છે- આજ પણ શિવલિંગ પર પુચ્છના કાપા છે),હનુમાનજી નારાજ થયા.

રામજી તેમના ભક્તની નારાજી સહન કરી શકતા નથી,
તેમણે કહ્યું-કે-તેં લાવેલા શિવલિંગની પણ સ્થાપના કરીએ.
તારા લાવેલા શિવલિંગનાં જે પહેલાં દર્શન કરશે –તેને જ મેં સ્થાપેલા શિવલિંગના દર્શનનું પુણ્ય મળશે.
ઋષિઓ ત્યાં દર્શન કરવા આવેલા,તેઓએ પુછ્યું કે- અમને રામેશ્વરનો અર્થ કહો.
રામજીએ સરળ અર્થ કહ્યો-રામના ઈશ્વર તે રામેશ્વર.
પણ શિવજી એ પ્રગટ થઇ કહ્યું કે-મને એ અર્થ ગમતો નથી,”રામ છે ઈશ્વર જેના તે રામેશ્વર”

આ બાજુ રાવણે સભા ભરી છે. વિભીષણ કહે છે કે-મોટાભાઈ,તમે રામજીને શરણે જાવ,સીતાજીને આપી દો. રાવણે માન્યું નહિ અને વિભીષણને લાત મારી છે.
વિભીષણ કહે છે-કે-તમે ભલે મને લાત મારો,તમે મારા મોટાભાઈ છો,મોટાભાઈ પિતા સમાન છે,
હું તમને વંદન કરું છું. છતાં હું તમને કહું છું-કે-રામજી સાથે વેર કરશો તો વંશનો વિનાશ થશે.
તેમ છતાં તમને યોગ્ય લાગે તે કરો,હું તો રામજી ને શરણે જઈશ.

વિભીષણ જે ક્ષણે લંકામાંથી ગયા છે,તે જ ક્ષણે સર્વ રાક્ષસો આયુષ્ય વગરના થઇ ગયા છે.
સાધુ પુરુષનું અપમાન સર્વનો નાશ કરે છે.
સમુદ્ર કિનારે રામજી બેઠા છે.વિભીષણ રામજીને શરણે જવા માટે સમુદ્રકિનારે આવ્યા છે.
વિભીષણને આવતાં આવતાં –એક ક્ષણ સંકલ્પ થયો કે-રામજી જીતશે અને લંકાનું રાજ્ય મને આપશે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE