May 8, 2020

ભાગવત રહસ્ય -૨૬૮

સીતાજી તે વખતે બોલ્યા છે-તુ આ શું માગે છે ? તુ આવું વરદાન માગે તે યોગ્ય નથી,
વેરનો બદલો તુ વેરથી આપવા માગે છે ? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય.
અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત.અપમાનનો બદલો માનથી આપે તે સંત.
ચારિત્ર્ય એ જ સંતોનું ભૂષણ છે.શ્રેષ્ઠ પુરુષોનો ધર્મ છે-કે- કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય-અથવા તો તે વધને યોગ્ય અપરાધવાળો કેમ ના હોય-પણ તે સર્વ ઉપર દયા કરે.
કારણકે-એવું કોઈ પણ પ્રાણી નથી,કે જેનાથી કોઈ અપરાધ થતો જ ના હોય.

એક પારધી જંગલમાં ગયો.ત્યાં પારધી પાછળ એક વાઘ પડ્યો,જીવ બચાવવા પારધી ઝાડ પર ચડી ગયો.
પારધીએ ઉપર જોયું તો ઉપરની ડાળ પર એક રીંછ બેઠું હતું.નીચેથી વાઘ,રીંછ સાથે પશુની ભાષામાં વાત કરે છે,માનવ તારો શત્રુ છે,તને એ કોઈ દિવસ મારી નાખશે,તેને ધક્કો મારી નીચે પાડ.
રીંછ કહે છે-કે આ માનવ મારા નિવાસસ્થાન પર આવ્યો છે,તેથી એક પ્રકારે મારી શરણમાં આવ્યો છે,તેને નીચે પાડું તો –ધર્મનો ભંગ થાય.હું તેને ધક્કો નહિ મારું.

મોડી રાત્રે રીંછને નિંદ્રા આવી છે. હવે વાઘે માનવને કહ્યું-કે-આ રીંછ ભયંકર છે તે-તને ખાઈ જશે.
તુ રીંછને ધક્કો માર તો હું તેને ખાઈ જઈશ અને તુ નિર્ભય બનીશ.માનવ કૃતઘ્ની હતો,,તેણે ઊંઘતા રીંછને ધક્કો માર્યો, પરંતુ પરમાત્મા જેનું રક્ષણ કરે તેને કોણ મારી શકે છે? રીંછ નિંદ્રામાંથી પડ્યો પણ પ્રભુનું કરવું એવું કે એક ડાળી તેના હાથમાં આવી ગઈ અને રીંછ નીચે પડ્યું નહિ. વાઘ હવે રીંછને કહે છે-કે-તેં જેનું રક્ષણ કર્યું-તેને તારી સાથે કપટ કર્યું,તુ હજુ સમજતો નથી?તુ હજુ તેં પર વિશ્વાસ કરે છે?તુ એને ધક્કો માર.
રીંછે તે વખતે પણ ના પાડી છે.”એ ભલે તેનો ધર્મ છોડે પણ મારે મારો ધર્મ છોડવો નથી”
એક સાધારણ પશુ પણ ધર્મનું પાલન કરે છે.મનુષ્ય જો સ્વ-ધર્મનું પાલન ના કરે તો તે પશુથી પણ અધમ છે.

સીતાજી કહે છે-કે-તુ તારો ધર્મ છોડવા કેમ તૈયાર થાય છે ? વળી રાક્ષસીઓનો કોઈ દોષ નથી,તેઓ રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી. તેઓ રાવણની આજ્ઞામાં હતી.
આ દુઃખ મારા કર્મનું ફળ છે.મેં લક્ષ્મણજીનું વિના કારણ અપમાન કર્યું હતું,તેનું આ ફળ છે.
ઘણા દિવસ હું રાક્ષસીઓ સાથે રહી.અયોધ્યા જતાં પહેલાં રાક્ષસીઓ જે વરદાન માગશે તે હું આપીશ.
બેટા,તુ માગે છે-તેવો આશીર્વાદ હું તને નહિ આપું.

હનુમાનજી કહે છે-મા,હું સાચું કહું છું,આવી દયા તો મેં રામજીમાં પણ જોઈ નથી.જયારે રામજી –રાક્ષસોને
મારે છે-ત્યારે તે દયાને દૂર બેસવા કહે છે.મા.તમારા સિવાય આવી દયા કોઈ બતાવી શકે નહિ.
જે રાક્ષસીઓ સીતાજીને ત્રાસ આપ્યો છે,તે રાક્ષસીઓ માટે પણ સીતાજીના હૃદયમાં દયા છે.તેમને વરદાન આપ્યું છે.સીતાજી પ્રેમની –દયાની-મૂર્તિ છે.

રામાયણમાં લખ્યું છે,કે-રામજી ને કોઈ વાર ક્રોધ આવ્યો છે,રાક્ષસો સાથે યુદ્ધ કરતાં કોઈ વખત તેમની આંખ લાલ થઇ છે.પણ જીવનમાં સીતાજીને કોઈ વખત ક્રોધ આવ્યો નથી. તેમને દુનિયામાં સર્વ જીવોની દયા આવે છે. માતાજીના ગુણો જો યાદ કરીએ તો ઘણી વખત રામ કરતાં પણ સીતાજી શ્રેષ્ઠ જણાય છે.

સીતાજીના સ્મરણ માત્રથી હૃદય પવિત્ર થાય છે,તેમણે અગ્નિપરીક્ષા આપેલી,દેવોએ પણ કહ્યું કે-
સીતાજી મહાન પતિવ્રતા છે.છતાં એક અધમ ધોબીએ સીતાજીની નિંદા કરી.
પ્રભુએ લક્ષ્મણ ને કહ્યું કે-અયોધ્યાના લોકો મારા માટે-સીતાજીને માટે ગમે તે કહે છે,મારા પર કલંક આવ્યું છે.મારી પ્રજાને મારા વર્તનમાં શંકા હોય તો મારે સીતાજીનો ત્યાગ કરવો છે.
રાજાની ગાદી રાણીને રાજી કરવા માટે નહિ પણ પ્રજાને રાજી કરવા માટે છે.
હું સીતાજીનો ત્યાગ કરું તો આ પ્રજા સુખી થશે, ભલે અમે બંને દુઃખી થઈશું પણ પ્રજા સુખી થશે.
મારે જગતને બોધ આપવો છે,કે રાજાનું વર્તન કેવું હોવું જોઈએ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE