May 7, 2020

ભાગવત રહસ્ય -૨૬૭

સીતાજી દોડતાં ,કૌશલ્યા પાસે ગયાં છે.કહ્યું-કે એમની આંખ ઉઘાડી,મોઢું ઉઘાડું,
હાંફતા હોય તેવું દેખાય છે,કંઈ બોલતા નથી અને સૂતા પણ નથી.
કૌશલ્યા કહે છે-કે-કોઈ રાક્ષસની નજર તો લાગી નથી ને ? વશિષ્ઠજીને બોલાવ્યા.
વશિષ્ઠજી સમજી ગયા છે,આજે ભગવાનના કોઈ લાડીલા ભક્તનો અપરાધ થયો હશે.
ભક્તનું અપમાન થાય કે ભક્ત દુઃખી થાય તો ભગવાનને નિંદ્રા આવતી નથી.

વશિષ્ઠજીએ પૂછ્યું-કે આજે કંઈ ગરબડ તો નથી થઇ ને ?
સીતાજી કહે છે-કે-હનુમાનજી માટે કોઈ સેવા રાખી નહિ,તેથી આમ બન્યું હોય.હનુમાનજીની સેવા ગઈ-
ત્યારથી તેમણે ભોજન પણ બરાબર કર્યું નથી.અને હનુમાનજી ને ચપટી વગાડવાની સેવા આપી છે-તેનો આખો પ્રસંગ વર્ણવી બતાવ્યો.

બધા રાજમહેલમાં આવ્યા છે.હનુમાનજી રાજમહેલની અગાસીમાં ચપટી વગાડતાં રામનામનો જપ 
કરતા નાચી રહ્યા છે.વશિષ્ઠજીએ કહ્યું-કે મહારાજ કિર્તન ભલે કરો પણ ચપટી વગાડશો નહિ,
ચપટી વગાડશો તો –રામજીને બગાસું આવશે. ચપટી બંધ થઇ અને રામજીનાં બગાસાં બંધ થયાં.

આખું જગત રામજીને આધીન છે-અને રામજી –હનુમાનજી (ભક્ત)ને આધીન છે.
હનુમાનજી કહે છે-કે-“દેહ (શરીર) બુદ્ધિથી હું રામજીનો દાસ છું,જીવ (આત્મા)-બુદ્ધિથી –હું રામજીનો અંશ છું,અને આત્મ-દૃષ્ટિથી વિચાર કરો-તો હું અને મારા પ્રભુ એક જ છીએ.મારામાં અને રામમાં ભેદ (ફરક) નથી.”ભક્ત અને ભગવાન એક જ છે. “બ્રહ્મ”ને જાણનારો –“બ્રહ્મ” થી અલગ રહી શકતો નથી.

રામાયણનું એક એક પાત્ર અતિ દિવ્ય છે.ભરત જેવો ભાઈ થયો નથી,સીતા જેવી સ્ત્રી થઇ નથી.
સીતાજીની સરળતા,ઉદારતા,દયાળુતા,પતિવ્રતાપણું –અદભૂત છે.
અરણ્યકાંડમાં જયંતની કથા આવે છે.ઇન્દ્રપુત્ર –જયંત કાગડાનું રૂપ લઈને આવ્યો છે.માતાજીના પગમાં 
ચાંચ મારી.પગમાંથી લોહી નીકળવા લાગ્યું.રામજી જયંત ને સજા કરવા તૈયાર થયા છે,
પણ સીતાજી રામજીને વારે છે. અપરાધી પર સીતાજી દયા બતાવે છે.

વાલ્મીકિ રામાયણમાં એક પ્રસંગ આવે છે.રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું છે,હનુમાનજી અશોકવનમાં 
સીતાજી પાસે આવ્યા છે,અને કહે છે-કે-મા,તમારા આશીર્વાદથી આપણી જીત થઇ છે,સર્વ રાક્ષસોનો વિનાશ થયો છે.રામજીનો વિજય થયો છે,તમારો દાસ હવે તમને રામ દર્શન કરાવશે.
સીતાજીને અતિ આનંદ થયો છે.હનુમાનજીને અનેક આશીર્વાદ આપ્યા છે.
“મોટા મોટા સાધુસંતો તને ગુરૂ માની તારી પૂજા કરશે,અષ્ટસિદ્ધિઓ હાથ જોડી તારી સેવામાં ઉભી રહેશે.
મારો આશીર્વાદ છે-કે-કાળ પણ તને મારી શકશે નહિ.”

હનુમાનજીને આશીર્વાદથી સંતોષ થયો નથી.કહે છે-કે-મને એક આશીર્વાદ માંગવાની ઈચ્છા છે.
સીતાજી કહે છે-કે માગ તુ જે માગે તે હું આપીશ.
હનુમાનજી કહે છે-કે-રામજીનો સંદેશો લઇ પહેલીવાર જયારે હું આવ્યો હતો,ત્યારે મેં મારી નજરે જોયું હતું કે-આ રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપતી હતી.રાક્ષસોનો તો પ્રભુએ વિનાશ કર્યો છે,પણ તમે 
આજ્ઞા આપો તો એક એક રાક્ષસીઓનો વિનાશ કરું.એવા મને આશીર્વાદ આપો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE