Jun 10, 2020

ભાગવત રહસ્ય -૩૦૧

આ બાજુ બાલકૃષ્ણલાલને ખબર પડી કે-શંકરજી આવ્યા છે –પણ મા બહાર કાઢતી નથી.....બહાર નીકળવા માટે ટે જોરથી રડવા લાગ્યા. હજાર વાનાં કર્યા છતાં લાલો શાંત થતો નથી.રડતાં રડતાં કનૈયો હાથ ઉંચા કરીને બતાવે છે-કે મારે બહાર જવું છે,પણ મા,બહાર લઈ જતી નથી.ગોપીઓ દોડતી દોડતી આવી છે,ત્રણ ચાર દિવસમાં તો બિલકુલ રડ્યો નથી,પણ આજે લાલાને થાય છે શું ?

એક ગોપીએ કહ્યું-કે મા સાચું કહું,આ પેલો સાધુ ઝાડ નીચે બેઠો છે,તેના હોઠ હાલે છે,તેણે લાલાને કોઈ મંત્ર માર્યો છે,તેથી લાલો રડે છે. મા,ઘણા સાધુ જોયા પણ આવો સાધુ જોયો નથી,કોઈના સામું જોતા નથી,પાણી પણ પીતા નથી.બીજી ગોપી કહે છે-મા, મને લાગે છે કે કદાચ શંકર ભગવાન લાલાને આશીર્વાદ આપવા તો નહિ આવ્યા હોય? મા,હું તેમની પાસે લાલાને લઇ જઈશ,તો તે લાલાને આશીર્વાદ આપશે.

યશોદાજી તો પણ માનતા નથી.યશોદાજી અને ગોપીઓ વ્યાકુળ થઇ છે,બધા એક જ વિચારે છે-કે-”મારા લાલા ને આજ થાય છે શું ?” છેવટે,શાંડિલ્ય ઋષિને બોલાવ્યા.કહ્યું કે –લાલો ધાવતો પણ નથી અને રડે છે.
શાંડિલ્યઋષિ આવ્યા અને મામલો સમજી ગયા છે.અને કહે છે-કે-ઝાડના તળે જે સાધુ બેઠા છે,તેમના માટે લાલો રડે છે. તે સાધુનો અને લાલાનો જન્મો જન્મનો સંબંધ છે.આંગણામાં સાધુ ભૂખ્યા બેસી રહે તે સારું નથી,તેમને લાલાના દર્શન કરાવો.

બાલકૃષ્ણનો શૃંગાર કર્યો છે,પીળું ઝભલું પહેરાવ્યું છે,વાઘ-નખ ગળામાં પહેરાવ્યા છે,આંખમાં મેંશ આંજી છે,અને કોઈની નજર ના લાગે તે માટે ગાલ પર મોટું મેંશ નું ટપકું પણ કર્યું છે.
યશોદા મા હજુ એ ગભરાય છે,દાસીને કહે છે-કે એ સાધુ મહારાજને તું કહેજે કે –
“મારા લાલાને જો જો --પણ એક ટક નજર નહિ રાખજો.” એણે કદાચ નજર ના લાગી જાય.........
શિવજી મહારાજ આંગણામાં આવ્યા છે,અને છેવટે શિવજીની હઠનો વિજય થયો છે.
યશોદા મા લાલાને લઇ બહાર આવ્યા છે.(આ દૃશ્ય ની આંખ બંધ કરી કલ્પના કરો)
અને બધાની હાજરી વચ્ચે-લાલાનું રડવાનું ગાયબ!!!!

શિવજી અને લાલાની નજર મળી છે,હરિ અને હર બંનેના ગાલમાં સ્મિત થયું છે.
લાલાજીના દર્શન થતાં જ શિવજીને સમાધિ લાગી છે.
શિવજીના દર્શન કરતાં લાલાને આનંદ થયો છે ને તે હસવા લાગ્યો.રડવાનું ક્યાં? આ કનૈયો તો હસે છે.
યશોદાજી વિચારે છે-ઘરમાં બહુ રડતો હતો પણ આ સાધુની નજર પડ્યા પછી મારો કનૈયો હસવા લાગ્યો.
મહારાજની નજરમાં જાદુ લાગે છે,આ સાધારણ સાધુ નથી.
પરમાનંદ થયો છે. શિવજી લાલાજીના અને લાલાજી શિવજીનાં દર્શન કરે છે.

યશોદા મા કહે છે-મહારાજ હવે તો તમે કાયમને માટે અહીં જ રહેજો.મહારાજ મારા લાલાનું ભવિષ્ય કહો.
શિવજીને અદ્વૈત પ્રિય છે,શિવજીએ વિચાર કર્યો કે –બાલકૃષ્ણ લાલ મારી ગોદમાં આવે તો સારું.
શિવજી કહે છે-તમે લાલાનું ભવિષ્ય પૂછો છો,પણ તે તમારી ગોદ માં હોય તો મને તેના હાથની રેખા 
બરોબર દેખાય નહિ,લાલાને મારી ગોદમાં આપો.યશોદાજી એ લાલાને શિવજી ની ગોદમાં આપ્યા છે. 
શિવ (હર) અને શ્રીકૃષ્ણ (હરિ) એક થયા છે (અદ્વૈત) શિવજીને સમાધિ લાગી છે.

ભેદમાં વાતો હોય,અભેદ (અદ્વૈત)માં નહિ,હરિ અને હર ભેગા થાય પછી બોલે કોણ?
શિવજીને પરમાનંદ થયો છે.લાલાની હાથની રેખા જોતાં જોતાં કનૈયાનું ભવિષ્ય કહી સંભળાવ્યું-
મા.તમે ચિંતા કરશો નહિ,તમારાં દેખતાં જ કનૈયો,મોટો રાજા થશે,કોઈ રાક્ષસ મારવા આવશે તો પણ તેનોવાળ વાંકો થવાનો નથી.એ તો સોનાની નગરી બાંધશે,સોળ હજાર રાણીઓનો ધણી થશે.

સુરદાસજીએ વર્ણન કર્યું છે-કે-લાલાને ખુશ કરવા –જટા છોડીને શિવજીએ તાંડવ નૃત્ય કર્યું છે.
અતિ આનંદમાં સામાન્ય જીવ નાચે છે,જયારે અહીં આજે તો શિવજીના હાથમાં લાલાજી આવ્યા છે !!!

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE