Jun 9, 2020

ભાગવત રહસ્ય -૩૦૦

શિવજી મહારાજ સાધુના સ્વરૂપે લાલાજીના દર્શન કરવા યશોદાના આંગણામાં પધાર્યા છે.લોકો એમને જોઈને કહે છે-કે આ સાધારણ સાધુ લાગતો નથી,આ તો શિવજી જેવો લાગે છે.શિવજી સાધુનો વેશ લઇ સ્વ-રૂપ છુપાવે પણ શિવજીનું તેજ જાય ક્યાં ? યશોદાજી નો નિયમ હતો કે રોજ સાધુ-બ્રાહ્મણને જમાડી (ભિક્ષા આપીને) ને જમવું.દાસી મારફતે થાળીમાં ભિક્ષા (ભોજન)-શિવજીને મોકલાવી છે. દાસી શિવજી પાસે આવીને કહે છે-કે-યશોદાજીએ આ ભિક્ષા મોકલવી છે,આપ સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો.

શિવજી મહારાજની આંખ બ્રહ્મ-ચિંતનમાં લીન છે, દાસીના શબ્દો કાને પડ્યા-તે સાંભળીને કહે છે-કે-
“મને આવી ભિક્ષાની અપેક્ષા નથી,મારે આવી ભિક્ષા લેવી નથી,આવી ભિક્ષા માટે હું સાધુ થયો નથી,
હું સાધુ થયો છું,શ્રીકૃષ્ણના દર્શન માટે,પરમાત્મા માટે મેં ઘર છોડ્યું છે.મને બાલકૃષ્ણ લાલાજીનાં દર્શન કરાવો,બીજું કશું મારે જોઈએ નહિ.”

દાસીએ યશોદા પાસે આવી ને કહ્યું કે-મહારાજ કહે છે-કે-હું દુરથી લાલાના દર્શન કરવા આવ્યો છું,
મારે બીજુ કાંઇ જોઈતું નથી,હું તો દર્શનનો ભિખારી છું.યશોદાજી ને આશ્ચર્ય થયું.વિચારે છે-કે- એવો કેવો સાધુ છે કે જે ભિક્ષા લેવાની ના પાડે છે!! યશોદાજીએ બારીમાંથી શિવજીના દર્શન કર્યા છે.
“એમની જટા કેવી સુંદર છે! આંખો બ્રહ્માનંદમાં મળેલી છે,વ્યાઘ્રામ્બર પહેર્યું છે,ગળામાં સર્પ છે!
આ કોણ હશે ? સાધુ મહારાજ તો શંકર ભગવાન જેવા લાગે છે.ના આ કોઈ સાધારણ સાધુ નથી”

યશોદા મા શિવજી જોડે આવ્યા છે.કહે છે-કે-“મહારાજ ભિક્ષા ઓછી લગતી હોય તો આ કામળો આપું,
કમંડળ આપું.સાધુ,જયારે ગૃહસ્થને ત્યાં જાય ત્યારે ગૃહસ્થ જે ભિક્ષા આપે તેનો સ્વીકાર કરવો જોઈએ.આપ હઠ ના કરો.હું તમે જે માગો તે આપવા તૈયાર છું,તમે માગો તે હું આપીશ.પણ મારા લાલાને હું બહાર નહિ કાઢું.મારો લાલો હજુ બાળક છે,તમારાં ગળામાં સર્પ છે,તે જોઈ કદાચ મારો લાલો બી જાય....તો.”

શિવજી બોલ્યા છે-મા,તારો લાલો તો-કાલ કો કાલ (કાળનો કાળ),બ્રહ્મ કો બ્રહ્મ,શિવ કો ધન ઔર સંતકો સર્વસ્વ હૈ.મા તારો લાલો તો કાળ નો કાળ છે,તારા લાલા ને તો જગતમાં કોઈની યે બીક લાગે નહિ,તેને કોઈની નજરે ય લાગે નહિ.મા.તમે મને ઓળખતાં નથી પણ તારો લાલો મને ઓળખે છે,એ મને જોતાં જ રાજી થઇ જશે.

યશોદાજી કહે છે-કે-આ તમે શું બોલો છો ?તમે કહો છો કે –મારો લાલો તમને ઓળખે છે ?હું આટલા
વર્ષની થઇ ને તમને ઓળખાતી નથી તો મારો ત્રણ ચાર દિવસનો લાલો તમને ક્યાંથી ઓળખે ?
મહારાજ મારો લાલો બહુ નાનો છે,તેને બહાર કેમ કઢાય ?
શિવજી એ કહ્યું,કે-મૈયા બહુ દુરથી લાલાના દર્શનની આશાએ આવ્યો છું,અને દર્શન વિના હું પાણી પણ નથી પીવાનો.હું બાર વર્ષ અત્રે બેસી રહીશ,પણ લાલાના દર્શન કર્યા વગર હું જવાનો નથી.શ્રીકૃષ્ણના દર્શન માટે હું સાધુ થયો છું.

યશોદાજીએ વંદન કર્યા છે.કહે છે-કે તમે હઠ કરો તે ઠીક નથી,હું લાલાને બહાર કાઢવાની નથી.
લાલાજીના દર્શનની આશાએ,શિવજી એક ઝાડ નીચે જઈ ને બેઠા છે.
પ્રેમ અન્યોન્ય હોય છે.ભક્તો ભગવાનના દર્શન માટે જેમ આતુર હોય છે-તેમ -
ભગવાન પણ પોતાના લાડીલા ભક્તો ના દર્શન માટે આતુર હોય છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE