Sep 23, 2020

ભાગવત રહસ્ય -૩૯૯

શ્રીધર સ્વામી “રાસલીલા” ને “કામવિજય લીલા” કહે છે.
શ્રીધરસ્વામી કહે છે કે-કામદેવ આકાશમાં ઉભો છે અને શ્રીકૃષ્ણને બાણ મારે છે,પણ શ્રીકૃષ્ણને કાંઇ થયું નથી,તેઓ નિર્વિકાર રહ્યા છે.કામદેવની હાર થઇ છે,તેને ખાતરી થઇ કે શ્રીકૃષ્ણ દેવ નથી, ઈશ્વર છે.ભગવાને કામદેવનો પરાજય કર્યો છે.રાસલીલા આમ “મદન માનભંગ લીલા” છે. કામનો પરાભવ કરવા માટે છે.શ્રીકૃષ્ણનું નામ પડ્યું છે-મદન-મોહન.શ્રીકૃષ્ણ એ-યોગ-યોગેશ્વર છે.રાસલીલામાં ભગવાને બોધ આપ્યો છે કે-કામ મારા આધીન છે,હું કામને આધીન નથી.

શ્રીકૃષ્ણ નું બીજું પણ એક નામ છે-“અચ્યુત”
રાસલીલામાં અનેકવાર શુકદેવજી આ શબ્દ (નામ) બોલ્યા છે.
વિષ્ણુ સહસ્ત્ર નામ માં પણ બે-ત્રણ વાર આ નામ આવે છે
”ન ચવ્ય્તે નાપિ ચવિષ્યતે ઇતિ અચ્યુત” જેનું કદી પતન થતું નથી કે જે કોઈનું પતન કરતા નથી તે.

જંગલમાં ઝાડ નીચે બેસી પાંદડાં ખાઈ સંયમ પાળે,કામને મારે તેમાં આશ્ચર્ય નથી.
અનેક સ્ત્રીઓમાં માતૃભાવ રાખે અને કામ ને મારે તેમાં આશ્ચર્ય નથી.
પણ શ્રીકૃષ્ણ અનેક સ્ત્રીઓ વચ્ચે રહી ને કામ નો પરાભવ કર્યો-તેવો કહેવાનો મતલબ છે.

દેવીભાગવતમાં વ્યાસજીએ પોતાની વાત (કથા) પણ કહી છે.
એક શૂદ્ર મત્સ્યગંધા ને જોઈ કામાધીન થયેલા પરાશર પોતાના તપોબળથી સૂર્ય ને ઢાંકી શક્યા હતા,
સૂર્યને ઢાંકી શકવાની શક્તિ હતી પણ કામને મારી શક્યા નહોતા.કામ ને જીતવો દુષ્કર છે.
કામ ને મારી તેનો પરાભવ કરી શકે તે ઈશ્વર છે.

આ રાસલીલાનું ચિંતન કરવાથી કામવિકાર થવાને બદલે ઉલટો કામવિકારનો નાશ થાય છે.
રાસલીલામાં જીવ-ઈશ્વર નું મિલન ઘણા ઉચ્ચ પ્રકારનું મિલન બતાવ્યું છે.તે યાદ રાખવું જોઈએ.
શ્રીધરસ્વામી કહે છે કે-જીવમાત્ર ને પ્રભુ નું આ આહવાન છે.ભગવાન વાંસળી વગાડી જીવને બોલાવે છે,
કહે છે કે-“તારો સાચો પતિ-પિતા હું છું.તું મારી પાસે આવ.”

રાસલીલા એ અનુકરણીય નથી પણ ચિંતનીય છે.
રાસલીલાના પાંચ અધ્યાય એ પાંચ પ્રાણના સૂચક છે.પાંચ પ્રાણોનું ઈશ્વર સાથે રમણ તે રાસ.
શરદપૂર્ણિમાની રાત્રિ છે.પ્રભુએ સુંદર શૃંગાર કર્યો છે.અને સુંદર વાંસળી વગાડે છે.
જે જીવનો છેલ્લો જન્મ હતો,જે જીવ ને પરમાત્માએ અપનાવ્યો હતો,જે જીવ પરમાત્માને મળવા માટે લાયક થયો હતો,
તેવા જીવને જ તે વાંસળી (નાદબ્રહ્મ) સંભળાય છે.

આગળ આવી ગયું તેમ વેણુગીતની વાંસળી સર્વેને સંભળાઈ હતી,પણ રાસલીલાની વાંસળી જુદી છે.
આ વાંસળી નો નાદ અધિકારી ગોપી (અધિકારી જીવ) જ સાંભળી શકે છે.

શ્રીકૃષ્ણ વડે જેઓનું ચિત્ત હરાયેલું  હતું,તેવી વ્રજ ની ગોપીઓ આ વાંસળી સાંભળી દેહનું ભાન ભૂલી છે,
અને આતુરતાપૂર્વક શ્રીકૃષ્ણને મળવા દોડતી દોડતી ગઈ છે.
પોતાનાં સંસારિક કામોને પડતાં મૂકી,અન્ય ગોપીઓને બોલાવવા પણ ઉભી રહી નથી.
આજ સુધી તો ગોપીઓ શ્રીકૃષ્ણ પાસે જતી તો અન્ય ગોપીઓને બોલાવી ને જતી,પણ.....
આજે દેહનું ભાન નથી તો બીજી ગોપીઓ ને ક્યાંથી બોલાવે ? કોઈને પણ ખબર આપ્યા વગર દોડી છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE