Sep 22, 2020

ભાગવત રહસ્ય -૩૯૮

ગોવર્ધનલીલામાં કનૈયાના દર્શન થયા ત્યારથી ગોપીઓમાં પ્રેમનું બીજારોપણ થયું હતું.
પ્રેમનો આરંભ દ્વૈતથી થાય છે પણ સમાપ્તિ થાય છે અદ્વૈતમાં.
આરંભમાં પ્રેયસી અને પ્રિયતમ જુદાં હોય છે,પણ જયારે પ્રેમ અતિશય વધે છે ત્યારે તે અલગ રહી શકતા નથી.રાસલીલામાં પણ અતિશય શુદ્ધ પ્રેમ,શુદ્ધ પ્રેમની પરાકાષ્ઠા છે. અદ્વૈત થયું છે.કૃષ્ણ-ગોપી અલગ નથી પણ એક થયા છે.

પ્રેમની છેલ્લી કક્ષા એ મૂર્છા છે.ગોપીઓમાં કૃષ્ણ-પ્રેમ એટલો વધ્યો છે કે હવે આંખમાંથી આંસુ નીકળતાં નથી,પણ મૂર્છા આવે છે (દેહનું ભાન ભૂલાઈ જાય છે,હવે કોઈ વાસના નથી,જીવ અતિશય શુદ્ધ થયો છે.)
શ્રીકૃષ્ણે પોતાના બાળમિત્રો ને કહી રાખ્યું હતું કે-“કોઈ ગોપીને મૂર્છા આવે તો મને બોલાવજો.મને મૂર્છા
ઉતારવાનો મંત્ર આવડે છે.ગોપીના પ્રાણ અને મન મારા હાથમાં છે.”

આથી કોઈ ગોપી ને મૂર્છા આવે ત્યારે કનૈયા ને બોલાવવામાં આવે છે.
શ્રીકૃષ્ણ સમજી ગયા છે કે આ ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધે છે.એટલે તે આવીને ગોપીના માથે હાથ ફેરવે અને કાનમાં કહે છે કે-શરદપૂર્ણિમાની રાત્રિએ તને મળીશ,ધીરજ રાખ અને સતત મારું ધ્યાન કર.
આ તારો છેલ્લો જન્મ છે.તું મને જ આવી ને મળીશ.મારામાં સમાઈ જઈશ.

ભક્તો તો પરમાત્માને મળવાની આશામાં જ જીવે છે.
જેને ભગવાન અપનાવે છે,જેનો ભગવાન અંગીકાર કરે છે,તેને જ રાસમાં પ્રવેશ મળે છે.
ગોકુલની બધી ગોપીઓ રાસમાં ગઈ નથી.માત્ર જેનો અધિકાર સિદ્ધ થયો હતો,જેમનો છેલ્લો જન્મ હતો,
તે ગોપીઓ જ રાસલીલામાં ગઈ છે.રાસલીલામાં ગોપી અને કૃષ્ણ એક થવાનાં છે.

શ્રીકૃષ્ણની આગળની લીલાઓમાં  આવી ગયું તેમ- શ્રીકૃષ્ણે બ્રહ્મા વગેરે દેવોનો પરાભવ કરીને એ બતાવી આપ્યું છે કે-શ્રીકૃષ્ણ એ દેવ નથી પણ સાક્ષાત પરમાત્મા છે.
પણ હજુ કામ-દેવ (કંદર્પ-દેવ) ને ગર્વ રહી ગયું છે કે-મોટામાં મોટો દેવ હું છું.
સંસ્કૃતમાં કામનું નામ છે માર. સમય આવે કામ બધાને મારે છે.કામદેવ શ્રીકૃષ્ણ પાસે આવ્યો અને કહે છે કે-નાથ,તમારી અને મારી કુસ્તી (યુદ્ધ) થાય.અને તે પરથી કોણ વધુ બળવાન છે તે સાબિત થાય.
શ્રીકૃષ્ણ કહે છે-કે-શિવજીએ તને બાળીને ખાક કરેલો તે ભૂલી ગયો ?

કામદેવ કહે છે –કે-શિવજી સમાધિમાં તેજોમય બ્રહ્મનું ચિંતન કરતા હતા ત્યારે હું સમયનો વિચાર કર્યાં વગર ગયેલો,અને બળીને ભસ્મ થયેલો.સમાધિમાં મને મારે તેમાં બહુ આશ્ચર્ય નથી.
પ્રભુએ કહ્યું-મારા રામાવતારમાં પણ તારી હાર થયેલી છે.
કામદેવ કહે છે કે-રામાવતારમાં આપ ખૂબ મર્યાદામાં રહેતા હતા,ખૂબ મર્યાદામાં રહી ને તો –
કોઈ પણ સામાન્ય જીવ પણ મારો પરાભવ કરી શકે છે.

શ્રીકૃષ્ણ કહે છે કે-બોલ તો હવે તારી ઈચ્છા શું છે ?
કામદેવ કહે છે કે-શરદઋતુ ની પૂર્ણિમાની રાતે આપ,સર્વ મર્યાદા છોડી,વૃંદાવનમાં અનેક સ્ત્રીઓ સાથે વિહાર કરો અને હું તમને બાણ મારું,તેમ છતાં જો તમે નિર્વિકાર રહો તો તમારી જીત,તમે ઈશ્વર અને કામાધીન બનો તો મારી જીત, હું ઈશ્વર.શ્રીકૃષ્ણ કહે છે –તારી ઈચ્છા છે તો તે પ્રમાણે હું કરીશ.
કામદેવે માનેલું કે શ્રીકૃષ્ણને હરાવવા સહેલા છે.કારણકે શ્રીકૃષ્ણ તો ગોપીઓ સાથે મુક્તપણે સંચરે છે,


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE