Aug 30, 2020

ભાગવત રહસ્ય -૩૭૬

એક ગોપી બોલી કે-અરી સખી તને શું કહું?બંસીનાદ સાંભળી,બંસીની તાનમાં મસ્ત બની,ગાયો ઘાસ ખાવાનું ભૂલી જાય છે,ઘાસ ખાવાનું છોડી દે છે. ગૌમાતાઓ કાન ઉભા-ઉંચા કરી જાણે કાન વાટે અમૃત પીતી હોય તેવું લાગે છે.કનૈયાની બંસરીનો નાદ સાંભળી ગાયોના આંખમાંથી આનંદના અશ્રુઓની ધાર થાય છે,મોઢામાં લીધેલો ઘાસનો કોળીઓ ચાવવાનું ભૂલી જાય છે.વાછરડાં પણ ધાવવાનું છોડી દે છે.અને વાછરડાં પણ મુરલીની તાનમાં મસ્ત બન્યાં છે.

તો વળી બીજી એક ગોપી કહે છે-કે-મારો કનૈયો જયારે વાંસળી વગાડે છે ત્યારે પક્ષીઓ પણ અવાજ કરતાં નથી,કોયલનો કલરવ કે મોરનો ટહુકાર બંધ થઇ જાય છે.સર્વ મૌન રાખી મોરલી સાંભળે છે.
આ પક્ષીઓ કોઈ સાધારણ પક્ષીઓ નથી પણ મોટા મોટા ઋષિઓ,પક્ષી બની વૃંદાવનમાં આવ્યા છે.
આખો દિવસ લીલાનિકુંજમાં રાધેકૃષ્ણ –રાધેકૃષ્ણ બોલતા ફરે છે.પણ લાલાની મોરલી મૌન થઇ સાંભળે છે.

ગોપીઓ લાલાની વાંસળીની વાતો (વેણુગીત) કરે છે તે જ વખતે યશોદામા ત્યાં આવે છે.
તે કહે છે કે-રોજ હું કનૈયાને કહું છું કે ગરમી છે,પગમાં જોડા પહેરી ને જા,છતાં તે પહેરતો નથી.
ત્યારે એક ગોપી કહે છે કે-મા,તમે ચિંતા ના કરો,વનના દેવી-દેવતાઓ લાલાની સેવા કરે છે.
કનૈયાનો એક મિત્ર તો એવો છે કે કનૈયાને માથે છત્રી રાખીને ચાલે છે.
યશોદાજી પૂછે છે કે-એવો એનો કોણ મિત્ર છે ? તે તો મને કહો,હું ઘેર આવે ત્યારે તેને સુંદર રીતે જમાડીશ.
ત્યારે ગોપી કહે છે કે-મા,એ મિત્ર એવો છે કે ઘેર આવતો નથી.એ મિત્ર નું નામ છે મેઘરાજ.
કનૈયો જ્યાં જ્યાં જાય ત્યાં છાયા કરે છે.મેઘરાજ એમ માને છે કે,”મારો અને કનૈયા  રંગ એકસરખો છે,
એટલે હું તેનો ખાસ મિત્ર છું.” જે દિવસે ખૂબ ગરમી થાય 
તે દિવસે લાલાને પરિશ્રમ ના થાય એટલે મેઘો ઝરમર ઝરમર વરસે છે.
જશોદા કહે છે કે-પણ સખત પથ્થરવાળી જમીન પર ચાલતી વખતે પગને કષ્ટ તો થાય ને ?

ત્યારે ગોપી કહે છે કે-ના,મા,ગિરિરાજ મહારાજને કનૈયો બહુ વહાલો લાગે છે.
કનૈયો જ્યાં જ્યાં પગ પધરાવે છે ત્યાં ત્યાં ગિરિરાજ મહારાજ માખણ જેવા કોમળ થાય છે.
યશોદાજી આ વાત માનવા તૈયાર નથી તે પ્રશ્ન કરે છે કે-જો ગિરિરાજ માખણ જેવા કોમળ થતા હોય તો 
તેમાં લાલાના પગલાંના ખાડા તો પાડવા જોઈએ ને ?વળી બધી ગાયો અને ગોવાળો પણ ત્યાં ફરતા હોય તેના પણ ખાડા તો પડે જ,પણ મને તો કોઈ દિવસ તેવા ખાડા દેખાતા નથી.

ત્યારે ગોપી જવાબ આપતાં કહે છે કે-મા તમારી શંકા બરાબર છે,પણ સાંજ ના સમયે જયારે લાલો ઘેર આવવા નીકળે છે,ત્યારે ગિરિરાજ, પોતાને લાલાનો વિયોગ થશે –એ વાતે અકળાય છે,કનૈયા પાસે તેની દવા પણ છે. કનૈયો અતિપ્રેમથી તેમને નજર આપે છે અને તેમને રાજી કરવા વાંસળીનો સુર છેડે છે.
ગિરિરાજને અતિ આનંદ થાય છે અને આનંદમાં એવા ફુલાઈ જાય છે કે-બધા ખાડા પુરાઈ જાય છે.

બીજી એક સખી કહે છે-કે-અરી,સખી તું જો તો ખરી,આ લાલો,ટેર કદમ પર ચડ્યો છે,અને ત્યાં બેઠાં બેઠાં  
વાંસળીના સુરથી જ એક એક ગાયના નામ દઈ તેમને બોલાવે છે,ગાયોને આનંદ થાય છે,
જે જે ગાયનું નામ દે તે ગાય હુમ્ભ-હુમ્ભ કરતી દોડતી દોડતી જાય છે,તે ગાયોની આંખો કનૈયાના મુખનું દર્શન કરતાં એકીટશે લાલાને જોઈ રહી છે,કાન ઉંચા કરી લાલાની વાંસળી સાંભળવામાં મગ્ન છે અને 
ખૂબ જ વહાલ ઉભરાઈ આવવાથી લાલાના પગ ચાટે છે. વ્રજની ગાયો ધન્ય છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE