Sep 1, 2020

ભાગવત રહસ્ય -૩૭૮

હું પુરુષ છું-હું સ્ત્રી છું-એવો દેહાધ્યાસ જ્યાં સુધી યાદ આવે ત્યાં સુધી શુદ્ધ ગોપીભાવ જાગતો નથી.સ્ત્રીત્વ અને પુરુષત્વનું સ્મરણ જ્યાં સુધી બુદ્ધિમાં છે ત્યાં સુધી “કામ” દેહમાં રહેલો છે.જયારે પરમાત્મા શ્રીકૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં તેમનામાં તન્મયતા થાય,અને દેહનું ભાન ના રહે (સ્ત્રીત્વ-પુરુષત્વ નું સ્મરણ ના રહે) ત્યારે શુદ્ધ ગોપીભાવ ની પ્રાપ્તિ થાય છે.તે પછી રાસ લીલામાં પ્રવેશ મળે છે.દેહાધ્યાસ (હું સ્ત્રી છું-હું પુરુષ છું) ની વિસ્મૃતિ થાય (ભૂલાઈ જાય)-તો બેડો પાર છે.

કારણકે –આમ થવાથી “આત્મા” –એ -દેહ થી (શરીરથી) છુટો પડે છે,અને પરમાત્મામાં મળે છે (તન્મયતા) એટલે એમ પણ કહી શકાય કે-“જીવને પરમાત્માનાં (ઈશ્વરનાં- (શ્રીકૃષ્ણનાં) દર્શન થાય છે.”
લાલાની વાંસળીનો નાદ (નાદબ્રહ્મ)માં તન્મયતા અને તેનાથી દેહાધ્યાસ-નું વિસ્મરણ -
આ પ્રસંગ એ રાસલીલામાં જવાની તૈયારી બતાવે છે.
એટલે જ વેણુગીત (લાલાની વાંસળીના નાદની ગોપીઓની વાતો)થી ગોપીઓની કથા શરુ થઇ છે.

(૧) આ વેણુગીતમાં “બ્રહ્મચારિણી ગોપીઓ”ની કથા છે.હવે પછી જે આવશે..તે...
(૨) યજ્ઞ કરનારા બ્રાહ્મણોની પત્નીઓના પ્રસંગ માં “વિવાહિતા –ગૃહસ્થાશ્રમી ગોપીઓ” ની કથા છે.
(૩) ગોવર્ધન લીલામાં “વાનપ્રસ્થ ગોપીઓ” ની કથા છે.
(૪) રાસલીલામાં “સંન્યાસીની ગોપીઓ” ની કથા છે.

ભાગવતમાં શ્રીકૃષ્ણની લીલાઓનો ક્રમ છે,તેમાં પણ રહસ્ય છે.
જે સંન્યાસી છે.તે પરમાત્મા માટે-સર્વનો અને –જે- શરીરમાં રહે છે,તે શરીરનો –પણ મનથી ત્યાગ કરે છે.
એટલે રાસલીલામાં ગોપીઓ કનૈયાને કહે છે કે-“તમારા માટે અમે બધું છોડી દીધું છે.”
એ શ્લોકમાં ગોપીઓનો સન્યાસ પ્રગટ થાય છે.એટલે રાસલીલા ની ગોપીઓ સંન્યાસીનીઓ છે.

હવે “યજ્ઞ-પત્નીઓ” (યજ્ઞ કરનારા બ્રાહ્મણની પત્નીઓ-ગૃહસ્થાશ્રમી ગોપીઓ) નો પ્રસંગ આવે છે.
એક વખત યમુના કિનારે રમતાં કનૈયો બાળકોને ઉપદેશ આપે છે કે-
વૃક્ષ કેટલાં પરોપકારી છે કે પોતે ટાઢ તડકો સહન કરી બીજાંને છાયાઓ આપે છે,
જે પોતાને પથ્થર મારે છે તેને પણ તે ફળ આપે છે.પરોપકાર માટે તે વૃક્ષો મહાન છે.

થોડા સમય પછી ગોપ-બાળકો કહે છે કે –કનૈયા અમને ખૂબ ભૂખ લાગી છે.
શ્રીકૃષ્ણે કહ્યું કે –પેલા બ્રાહ્મણો યજ્ઞ કરે છે,ત્યાં જાવ.એટલે બાળગોપાળો બ્રાહ્મણો પાસે જાય છે.
એ બ્રાહ્મણો યજ્ઞ કરે છે પણ યજ્ઞનું રહસ્ય સમજતા નથી.ભાંગનો નશો કરીને બેઠા છે.
વ્યસનીઓની બુદ્ધિ સુધરતી નથી.બ્રાહ્મણોએ ગોપાળોને કંઇ ખાવાનું આપ્યું નહિ,
એક બ્રાહ્મણે તો મારવા માટે લાકડી ઉગામી.

મહાત્માઓ કહે છે કે-અન્નની કોઈને ના કહેશો નહિ,તેમનો તિરસ્કાર કરશો નહિ,અન્નદાન ઉત્તમ દાન છે.
ભગવાન ગરીબના મુખથી જમે છે. સાચા બ્રાહ્મણોના મુખથી જમે છે.
બ્રાહ્મણ પત્નીઓ (યજ્ઞ-પત્નીઓ) લાલાને ઓળખે છે, તેઓ ભોજન સામગ્રી લઇ આવી અને બધાને 
પ્રેમથી જમાડ્યા.આમ,અહીં,લાલાએ યજ્ઞ-પત્નીઓનો (ગૃહસ્થાશ્રમી-ગોપીઓનો) ઉદ્ધાર કર્યો છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE