Oct 5, 2020

ભાગવત રહસ્ય -૪૦૯

નારદજીને અભિમાન હતું કે હું મોટો કીર્તનકાર છું.હું ભક્ત છું,હું જ્ઞાની છું.
જેવો તેમનો અહમ પીગળ્યો અને અહમનો ત્યાગ કર્યો એટલે જ તેમને રાસમાં પ્રવેશ મળ્યો. 
જે દીન બનીને જાય તેને રાસ-મંડળમાં પ્રવેશ મળે.તેને ઈશ્વર અપનાવે.
રાસલીલા એ પ્રેમલીલા છે,મોહલીલા નથી.ગોપીઓને શ્રીકૃષ્ણ પ્રત્યે અતિ પ્રેમ હતો,મોહ નહિ.
શરીરનું ચિંતન કરવાથી મોહ થાય છે,મોહમાં પતન થાય છે.પ્રેમમાં ઉન્નતિ થાય છે.

આત્માનું ચિંતન કરવાથી પ્રેમ થાય છે,પ્રેમ અમર છે,તે કદી મરી શકે નહિ.
મોહ ભોગ માગે છે,જયારે પ્રેમી તેના પ્રિયતમને ભોગ આપે છે.
મોહમાં જાતે ભોગવવાની ઈચ્છા હોય છે,પ્રેમમાં પ્રિયતમ ને સુખી કરવાની ઈચ્છા હોય છે.
મોહ કેવળ સંયોગ માગે છે,મોહ સંયોગમાં પુષ્ટ થાય છે,મોહ એ દેહ-ધર્મ છે જયારે પ્રેમ એ આત્મ-ધર્મ છે.
મોહમાં દ્વૈત (બે) છે જયારે પ્રેમ માં અદ્વૈત (એક) છે.
ત્યાગ હોય ત્યાં પ્રેમ પ્રગટ થાય છે,પ્રેમમાં અત્યંત ધીરજ હોય છે.

રૂક્ષ્મણીએ શ્રીકૃષ્ણને લખેલા પત્રમાં લખ્યું છે તેવી ધીરજ પ્રેમમાં હોય છે.રૂક્ષ્મણીએ લખ્યું છે કે-
“આપ આ દાસીનો સ્વીકાર નહિ કરો તો આપને મળવા બીજો જન્મ લઈશ,ત્રીજો જન્મ લઈશ,
સો જન્મ લઈશ.ભલે અનેક જન્મ લેવા પડે પણ વરીશ તો શ્રીકૃષ્ણ ને જ.”

દશમ સ્કંધ એ ભાગવતનું હૃદય છે.માનવજીવનનું છેલ્લું લક્ષ્ય છે –રાસલીલા.(જીવ-ઈશ્વર નું મિલન)
જીવ ઈશ્વર સાથે એક ના થાય ત્યાં સુધી શાંતિ નથી,જેવો તે એક થાય એટલે તે મુક્ત થયો.
પણ આ જીવ કંઈ લક્ષ્ય ને પહોંચવા સાધન કરતો નથી. તેથી પરમાત્માનો અનુભવ થતો નથી.
મહાત્માઓ કહે છે-કે-આ જ ક્ષણે સત્કર્મ (સાધન)ની શરૂઆત કરો,તે માટે મુહૂર્ત જોવાની જરૂર નથી.
વાતો અને વિચારમાં સમય ગુમાવવાની જરૂર નથી.
આજ સુધી પૈસા પાછળ ઘણા પડ્યા,હવે થોડા ભગવાન પાછળ પડો.

આજકાલ અશાંતિ જ જોવા મળે છે તેનું કારણ એ છે કે જીવ ઈશ્વરને ભૂલી ગયો છે.
મનુષ્ય મોટો રાજા થાય,અતિ શ્રીમંત થાય,કે સ્વર્ગનો દેવ થાય પણ તેને શાંતિ નથી.
શાંતિ અને આનંદ -ત્યારે મળે કે જયારે જીવ ઈશ્વરને મળે છે.
પરમાત્મા પોતે આનંદ-સ્વ-રૂપ છે. તેમને આનંદની જરૂર નથી.
ગોપીઓને પરમાનંદનું દાન કરવા પ્રભુએ આ લીલા કરી છે.
આનંદ ત્રણ પ્રકારના છે –વિષયાનંદ,બ્રહ્માનંદ અને પરમાનંદ.આ સહુમાં પરમાનંદ સર્વ-શ્રેષ્ઠ છે.

પરમાત્મા સાથે મિલન થાય પછી પણ સાધકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સાધન ચાલુ રાખવું પડે છે.
મન પર વિશ્વાસ રાખવા જેવો નથી,મન બહુ દગાખોર છે.તે ક્યારે દગો દે તે ખબર પડતી નથી.
સેવાની સમાપ્તિ કદી નથી,જે દિવસે જીવનની સમાપ્તિ તે દિવસે સેવાની સમાપ્તિ.
જીવનના છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા ની સેવા કરવાની ,પરમાત્માના નામજપ કરવાના.
પરમાત્માનું કીર્તન કરવાનું,તે પછી કાળને ભલે જયારે આવવું હોય ત્યારે આવે.

ઘણા મનુષ્યો સાધન કરે છે,સાધન કરતાં કરતાં થોડી સિદ્ધિ મળે છે.જે બોલે તે સાચું પડે...વગેરે....
આ સિદ્ધિનો ઉપયોગ કરે એટલે પ્રસિદ્ધિ મળે.પ્રસિદ્ધિ મળે એટલે લોકો પાછળ પડે.
અને અભિમાન આવે.અભિમાન આવે એટલે તેનું પતન થાય છે.
કેટલીક વાર સાધુઓને બગાડનાર તેમના ચેલા હોય છે.ચેલાઓની જમાત “બાપજી-બાપજી” કરે
એટલે સાધુને થાય કે હું પણ કંઈક છું. હું પણું આવ્યું એટલે સાધનમાં ઉપેક્ષા આવી.
સાધુ માનવા માંડે છે કે-પ્રભુની સેવા થાય તોય ઠીક,ને ના થાય તો પણ ઠીક છે.
ચેલાઓ સેવા કરે છે.હું તો મનથી સેવા કરું છું,હું તો સિદ્ધ છું.

તુકારામ જેવું રાખવું-“હવે હું અને પાંડુરંગ (પ્રભુ) એક થયા છીએ 
પણ ભજન કરવાની જે આદત પડી છે તે જતી જ નથી.”

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE