Nov 13, 2020

ભાગવત રહસ્ય -૪૪૫

ગ્વાલ-બાલો પણ કૃષ્ણના મથુરા ગયા પછી,મથુરાના માર્ગ પર બેસી રોજ પ્રતીક્ષા કરતા.
“મને લાલાએ કહ્યું છે કે હું આવીશ” એટલે રોજ રાહ જુએ છે,સાંજ પડે પણ શ્રીકૃષ્ણ,ના આવે એટલે રડતા,રડતા ઘેર જાય છે.રોજના નિયમ મુજબ આજે પણ બાળકો મથુરાના રસ્તા પર રાહ જોઈ બેઠા છે.ત્યાં દુરથી રથ આવતો દેખાણો.બાળકો એ મનથી વિચાર કર્યો કે અમારો કનૈયો આવ્યો. એટલે તે દોડતા દોડતા રથ પાસે જવા લાગ્યા પણ તેમણે કોઈને રથમાંથી ઉતરતા કે કૂદકો મારતા ન જોયા.

એટલે એક બીજાને કહે છે કે-આ કનૈયો નથી બીજો કોઈ લાગે છે,કનૈયો હોય તો રથમાંથી કુદી પડે, 
આમ બેસી રહે નહિ. ઉદ્ધવજીએ એ બાળકોને જોયાં હતા પણ રથમાં બેસી રહ્યા હતા.
ઉદ્ધવને થયું કે મારે રથમાંથી ઉતારવાની શી જરુર છે ? ગ્વાલ-બાલો રથને ઘેરીને ઉભા છે.
ઉદ્ધવે સંદેશો આપતાં કહ્યું કે-તમારા શ્રીકૃષ્ણનો સંદેશો લઈને હું આવ્યો છું.શ્રીકૃષ્ણ આવવાના છે.

બાળકો કહે છે કે- કનૈયો સુખી થાય એટલે અમે તેની સેવા કરતા હતા પણ અમને લાગતું નહોતું કે 
તે આવો નિષ્ઠુર થશે.ઉદ્ધવ,કનૈયા વગર અમારી એક ક્ષણ પણ જતી નથી.આ બધું ખાવા દોડે છે.
કનૈયા વગર બધું સુનું  છે.તે અહીં હતો ત્યારે અમારી સાથે ઘણો પ્રેમ કરતો,પણ હવે અમને ભૂલી ગયો છે.
ઉદ્ધવ કનૈયાને કહેજે કે ગોવર્ધનનાથ તને યાદ કરે છે,કનૈયો હવે ક્યારે આવશે ?
અમારે એક સંદેશો કહેવો છે પણ તમે આવ્યા છો તો જલ્દી તમે નંદબાબાને ઘેર જાવ.
ત્યાં યશોદામા અને નંદબાબા પ્રતીક્ષા કરે છે.અમે પછી ત્યાં આવીશું.

ઉદ્ધવજીનો રથ નંદબાબાના આંગણામાં આવ્યો છે,તે વખતે નંદબાબા અને યશોદામા શ્રીકૃષ્ણ-લીલાના
સ્મરણમાં તન્મય થયા હતા.નંદબાબાએ રથ ને દુરથી જોયો અને કનૈયો જ આવ્યો છે તેમ માન્યું.
કનૈયો આવ્યો જાણી જાણે મડદામાં પ્રાણ આવ્યા.
મોટેથી યશોદાને કહે છે,આપણો કનૈયો આવ્યો,કનૈયો આવ્યો.પતિ પત્ની બંને દોડતાં રથ પાસે આવ્યા છે,
પણ રથમાં કૃષ્ણ,ના દેખાતાં,નંદબાબા બોલી ઉઠયા કે-આ મારો કૃષ્ણ નથી આ મારો કૃષ્ણ નથી,
મારો કનૈયો આવ્યો નથી.કૃષ્ણ કૃષ્ણ- બોલતાં નંદજી મૂર્છામાં પડ્યા છે

ઉદ્ધવને આશ્ચર્ય થાય છે કે-આ લોકો કૃષ્ણ-કૃષ્ણ કેમ બોલતા હશે?આ લોકો રડે કેમ છે ?તેમને મૂર્છા
કેમ આવે છે ? આ કંઈ સમજાતું નથી.યશોદા એ ધૈર્ય રાખી રડતાં રડતાં જ દાસીઓ ને કહ્યું કે-
આ કોઈ મોટા ઘરનો મહેમાન લાગે છે તેમનું સ્વાગત કરો.

ઉદ્ધવનું સ્નાન થયું,ભોજન થયું..દાસીઓએ નંદબાબાની જોડે ઉદ્ધવની પથારી કરી છે.
દાસીઓ એ મૂર્છામાં પડેલા નંદબાબાને કહ્યું કે-કનૈયાનો ખાસ મિત્ર તમને મળવા આવ્યો છે.
કનૈયાનું નામ સાંભળતાં જ નંદબાબાએ આંખો ખોલી.
ઉદ્ધવ કહે છે કે-તમારા કનૈયાનો મિત્ર હું ઉદ્ધવ તમને મળવા આવ્યો છું,તેમનો સંદેશો આપવા આવ્યો છું.
નંદબાબા બેઠા થયા.ઉદ્ધવે વંદન કર્યા,નંદબાબાએ તેમનું સ્વાગત કર્યું.
નંદબાબા સર્વના કુશળ પૂછે છે,કહે છે કે-ઉદ્ધવ તમે આવ્યા તે સારું થયું.

ઉદ્ધવ,તું ખરું કહે કે-કનૈયો મને અને તેની મા ને કોઈ દિવસ યાદ કરે છે ?
આ તેની મા છે,આ સ્વજનો છે,મિત્રો અને ગોપ-ગોપીઓ છે.કનૈયાને જ સ્વામી માનવાવાળું આ વ્રજ છે.
આ તેની ગાયો,વૃંદાવન અને ગિરિરાજ,શું કનૈયો કોઈ દિવસ આનું સ્મરણ કરે છે ?
ઉદ્ધવ કનૈયાને કહે જે કે-આ ગિરિરાજ,આ યમુના બધા તારી પ્રતીક્ષા કરે છે.
હા,કનૈયા ને ખાસ કહેજે કે તારી ગંગી ગાય હવે ઘેર આવતી નથી અને ખાધા પીધા વગર
વૃંદાવનમાં ફરે છે.તેની નજર મથુરાના માર્ગ પર જ રહે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE