Nov 14, 2020

ભાગવત રહસ્ય -૪૪૬

શ્રીકૃષ્ણના વિરહ માં નંદબાબા પાગલ બન્યા છે.એક એક વાત સંભાળી-સંભાળીને  ઉદ્ધવને કહે છે-આ જમુના છે,જેમાં કનૈયો જલક્રીડા કરતો હતો,આ તે જ ગિરિરાજ છે,
જે તેણે એક આંગળી પર ઉઠાવી લીધેલો,આ તે જ વન-પ્રદેશ છે જ્યાં કનૈયો ગાયોને ચરાવતો મિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમતો,અને વાંસળી વગાડતો.આ બધું જોઈને મારું મન કૃષ્ણ-મય થઇ જાય છે.મને એવો ભાસ થાય છે કે મારો કનૈયો મથુરા ગયો જ નથી.

મને મારો બાલ-કૃષ્ણ પારણામાં સૂતેલો દેખાય છે,ગઈ કાલે આખી રાત અમે કનૈયાની વાતો કરતાં હતા,
અને આખી રાત પારણામાં મને કનૈયો દેખાયો.આખી રાત જાગરણ કર્યું અને લાલાને પારણા માં ઝુલાવ્યો.
સવાર થયું એટલે મને થયું કે ચલ,લાલાને ઉઠાડું,નહિતર ગાયો ચરાવવાનું મોડું થશે.
પણ જ્યાં હું પારણામાં જોઉં તો પારણું ખાલી જોયું.

ઉદ્ધવ,કનૈયો અમને ભૂલાતો નથી,કોઈ શાસ્ત્ર એવું નથી કે જેથી અમે તેને ભૂલી શકીએ.
મને રોજ લાલાની વાંસળી સંભળાય છે.આ કદંબના ઝાડ પર સરસ વાંસળી વગાડતો તે મને દેખાયો,
મને થયું કે –લાલો ત્રણ કલાકથી વાંસળી વગડે છે,તો હવે તેને ભૂખ લાગી હશે.આવું વિચારી,
લાલાને માખણ-મિસરી આપવા ઝાડ પર ચડ્યો,કનૈયો કદંબ પર દેખાય છે પણ હાથમાં આવતો નથી.

મને ઘણીવાર એમ થાય છે કે-કનૈયો મારી ગોદમાં રમે છે,મારી દાઢી ખેંચે છે,એ બધા ભણકારા હજુ વાગે છે.જ્યાં જ્યાં મારી નજર જાય છે,ત્યાં મને કૃષ્ણ જ દેખાય છે,યમુનામાં સ્નાન કરવા જાઉં તો કનૈયો ,
છમછમ કરતો મારી પાછળ દોડતો આવે છે.અનેક વાર લાગે કે તે મારી ખાંધ પર બેઠો છે.
એવો સમય હવે ક્યાંથી ફરીથી આવશે ? ઉદ્ધવ,એક એક વસ્તુમાં મને લાલા નાં દર્શન થાય છે,
મારો કનૈયો ક્યારે પાછો આવશે ? ઉદ્ધવ,મેં કોઈ અપરાધ કર્યો છે? કે જેથી તે નથી આવતો ?

કંસ જેવાને તેણે મારી નાખ્યો છે.લોકો ભલે તેને ઈશ્વર માને પણ તે,મારો પુત્ર છે.કનૈયો મારો છે.
નંદબાબાની આંખમાંથી આંસુઓ ની ધાર થાય છે.અને કહેતા જાય છે-
ઉદ્ધવ,વસુદેવને કહેજે કે-કૃષ્ણ તમારો છોકરો છે,હું તો તેનો દાસ છું.
લાલાને કહેજે કે-તારી મા રોજ રડે છે,ગોકુલમાં તો રોજ તે મા ને મનાવતો તેને રડવા પણ ના દેતો,
પણ હવે તેને (યશોદાને) કોણ મનાવશે ? નંદજી કૃષ્ણ-વિરહમાં તેની યાદે અત્યંત વ્યાકુળ થયા છે.

ઉદ્ધવ ક્યારના યે નંદજી ને સાંભળી રહ્યા છે અને વિચારે છે કે-
આમને હું શું બોધ આપું ?આમને પારણામાં,ઝાડમાં,યમુનાને કિનારે સર્વ જગ્યાએ શ્રીકૃષ્ણનો અનુભવ થાય છે. મેં અનેક વાર લોકો ને બોધ આપ્યો છે કે-બ્રહ્મ વ્યાપક છે,પણ બ્રહ્મની વ્યાપકતાનો અનુભવ જે રીતે
નંદબાબા કરે છે,તેવો તો મને પણ થયો નથી,તેમને હું શું ઉપદેશ આપું?કેવી રીતે તેમને હું મનાવું?
ઉદ્ધવજી હવે કહે છે-કે-બાબા,તમારું જીવન સફળ થયું છે,કે તમે શ્રીકૃષ્ણ-પ્રેમમાં પાગલ થયા છો.
તે જ સમયે યશોદા મા પણ ત્યાં આવ્યાં છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE