Nov 12, 2020

ભાગવત રહસ્ય -૪૪૪

આ બાજુ વ્રજમાંથી કનૈયો ગયો એટલે સઘન વ્રજની બધી કુંજો વેરાન થઇ ગઈ છે.
યમુનાનાં જળ જાણે ગોપીઓના આંસુઓથી વહી રહ્યાં હોય તેવાં લાગે છે,ગાયો ખડ ખાતી નથી.વારંવાર મથુરા તરફ નિહાળી ભાંભરે છે.શ્રીકૃષ્ણ મથુરા ગયા પછી,
નંદ-યશોદાએ અનાજ લીધું નથી.”કનૈયો ના આવે ત્યાં સુધી ખાવું નથી.” નંદ-યશોદાના શરીર કૃશ થયા છે અને આંખો ઊંડી ઉતરી ગઈ છે.રાત્રે નિંદ્રા આવતી નથી અને દિવસે ગમતું નથી.લાલાના વિરહમાં જીવ અકળાય છે,આંસુ નીકળે છે.

યશોદાજી રોજ વિચારે છે-આજે મારો કનૈયો આવવાનો છે,તે આવશે એટલે પ્રેમથી ગોદમાં લઇ જમાડીશ.
લાલાને જમાડીને પછી હું જમીશ--
કનૈયો વારંવાર યાદ આવે છે.મારો લાલો આ વાટકામાં માખણ-મિસરી જમતો હતો,આ પારણામાં સૂતો હતો.
આ પથારી માં આરામ કરતો હતો,આ પ્રમાણે યાદ કરી પતિ પત્ની રડે છે.
અનેકવાર નંદજી યશોદા ને આશ્વાસન આપે.કોઈવાર નંદજી વિહ્વળ થાય તો યશોદાજી તેમને સમજાવે.

નંદ-યશોદા આંગણામાં બેઠાં છે.યશોદા નંદને ઠપકો આપે છે.
મારા લાલા ને તમે ગાયો પાછળ મોકલતા હતા.તે મને કહેતો હતો કે-મા,મને બાળકો ગાયોની પાછળ દોડાવે છે.આ ગોવાળો મને નચાવે છે.વ્રજવાસીઓ મને ઠંડી રોટી ખવડાવે છે.
તેથી ગોકુળમાં મારો કનૈયો,બહુ દુઃખી થયો.તમે તેને ગાયો પાછળ મોકલતા,તેથી તે રિસાઈને
ગોકુલ છોડીને ગયો છે.હું તો તમને,તેને મથુરા લઇ જવાની ના પડતી હતી,છતાં તમે લઇ ગયા.

પણ જતાં તે મને કહી ગયો હતો કે મા,હું આવીશ.ગોકુળમાં હતો ત્યાં સુધી મને કંઇ થાય,તો તે મને સમજાવતો,હું રડું તે તેનાથી સહન થતું નહિ.પણ હાય,હવે મારો કનૈયો નિષ્ઠુર થયો છે.
મથુરા ગયા પછી આવો નિષ્ઠુર થશે તેવું લાગતું નહોતું.મથુરાના લોકોએ તેના પર જાદુ કર્યો હોય તેમ લાગે છે.
મે સાંભળ્યું છે કે તે હવે મથુરાનો રાજા થયો છે,તેથી મને આનંદ તો થાય છે.
પણ તે અહીં કેમ આવતો નથી?” આમ લાલાને સંભાળીને યશોદાજી રડે છે.

નંદજી કહે છે-કે-હું તેને ગાયો પાછળ ક્યાં મોકલતો હતો ?ઉલટું તે મને કહેતો હતો કે-બાબા,તમારે ત્યાં હું ગાયોની સેવા કરવા આવ્યો છું.હું ગોપાલ છું.એણે ગાયો વિના ચેન પડતું નહિ,ગાયો પર તેને એવો પ્રેમ હતો.ગાયો પણ તેના વિના દુબળી પડી ગઈ છે,ખડ ખાતી નથી. ગંગી ગાય તો ઘરે આવતી જ નથી,
ભુખી તરસી વૃંદાવનમાં ફર્યા કરે છે.ગાયો તેને વહાલી હતી તેથી તે તેની જાતે ચરાવવા લઇ જતો હતો.
મે તો તેને કંઈ કોઈ દિવસ ગાયો ચરાવવા જવાનું કહ્યું નહોતું.પણ મને એમ લાગે છે કે-લાલો,નાનો હતો 
ત્યારે તેં તેને ખાયણી જોડે બાંધ્યો હતો તેથી તે રીસાઈ ને ગયો છે.અને એટલે તે આવતો નથી.

નંદ-યશોદા આમ આંગણામાં બેસી ને કૃષ્ણ-લીલા-સ્મરણ માં તન્મય થયાં હતાં,
તે સમયે એક કાગડો આંગણા માં આવ્યો અને ક્રાઉ-ક્રાઉ બોલે છે.
કાગડાની વાણીના શુકન જાણીને યશોદા કહે છે કે-મને લાગે છે કે-આજે મારો કનૈયો આજે આવશે.

પ્રેમમાં પાગલ થયેલાં યશોદા કાગડાને કહેવા લાગ્યાં
“કાગડા,તું  ક્રાઉ-ક્રાઉ કેમ કરે છે? શું આજે મારો લાલો આવવાનો છે?શું એટલે તું ક્રાઉ-ક્રાઉ કરે છે?
જો આજે મારો કનૈયો ઘેર આવશે તો તારી ચાંચ હું સોનાથી મઢાવીશ,તને મિષ્ટાન્ન ખવડાવીશ.
જો -કનૈયો આવે-એવો કોઈ શબ્દ પણ મને કહેશે તો જન્મો-જન્મ હું તેની સેવા કરીશ.
કાગડા,તું મને કહે કે,શું આજે મારો કનૈયો આવશે?”
નંદ યશોદાને જોઈ રહ્યા છે,બંને ની આંખમાંથી અશ્રુધાર વહે છે.
ભક્તિ અતિશય વધે ત્યારે હૃદય દીન બને છે.
.........................................................................................
તિરછી તિરછી લાગે છે,વાણી તારી મને  ઓ કાગ,(પણ)
આજ મારો લાલો આવે તો,સોને  મઢાવું તારી ચાંચ.,,,,,,આજ મારો..

જાતે ખાવાનું ભાન નહિ,લાલ ને ને હતો જરા શરમાળ.
કોળિયો લઈને મોં મોં મુકું ત્યારે જમતો હતો લગાર,
લાલ ની મારા વાટ જોઉં રોજ ને બનાવું હું રસથાળ.....આજ મારો..

આંખમાં આંસુ મારા આવે તો  એને ગમતું નહિ લગાર,
પીતાંબરથી આંસુ લુછી ને,લાલો,કરતો હતો મને વ્હાલ,
ગયો છે ત્યારથી ખૂટ્યા નથી આંસુ,શું,જાણે છે એ લગાર?...આજ મારો.

પડી આદત ચોરી કરવાની,તેથી બાંધ્યો હતો થોડીવાર,
ગમ્યું તો મને ય હતું પણ લાલાને પ્રેમે બાંધ્યો,હતો,લગાર,
માફી એ માગી,મા,ક્યાં હું એની? વિનવ્યો લાલને  વારંવાર...આજ મારો

અનિલ...૩,ઓક્ટોબર,૨૦૧૩