Nov 11, 2020

ભાગવત રહસ્ય -૪૪૩

ઉદ્ધવ નું જ્ઞાનનું અભિમાન દૂર કરવાની આ લીલા છે.પ્રભુને લાગે છે કે-ઉદ્ધવ અભણ ગોપીઓને નમવાનો નથી,પણ ત્યાં જઈ ને ગોપીઓના મંડળમાં તાડ ની જેમ ઉભો રહેશે.તે વંદન નહિ કરે તો તેનું કલ્યાણ નહિ થાય.જે નમે નહિ તે પ્રભુને ગમે નહિ.એટલે,પ્રભુ ખુલ્લે ખુલ્લું કહે છે કે-ઉદ્ધવ ત્યાં જાય ત્યારે ગોપીઓ ને વંદન કરજે.ઉદ્દવ ને જવાની ઈચ્છા નહોતી પણ પ્રભુના આગ્રહથી જવા તૈયાર થયા છે.

ઉદ્ધવે કહ્યું કે-તમારો આગ્રહ છે તો જઈશ,નંદબાબાને યશોદા મા ને સમજાવીશ અને વ્રજવાસીઓને બોધ આપીશ.પ્રભુ કહે છે કે-ઉદ્ધવ,મારા ગ્વાલ-બાલોને,મારા મિત્રોને- કહેજે કે તમારો કનૈયો તમને યાદ કરે છે.
મારી મા ને કહેજે કે મારા વિયોગમાં રડે નહિ. ઉદ્ધવને આખી રાત આ પ્રમાણે બોધ આપ્યો છે.

પ્રાતઃકાળમાં ઉદ્ધવ,ગોકુલ જવા માટે તૈયાર થઇને,શ્રીકૃષ્ણ પાસે આવ્યા છે,
શ્રીકૃષ્ણે ઉદ્દવને પ્રસાદી પીતાંબર આપ્યું છે.પોતાનું પીતાંબર અને વૈજયંતીમાળા આપીને કહ્યું કે-
“ઉદ્ધવ,તું ગોપીઓને મળવા જાય ત્યારે આ પીતાંબર અને માળા પહેરીને જજે.
મારી ગોપીઓ પર-પુરુષ ને આંખ કે જીભ આપતી નથી.પણ તેઓ આ પીતાંબર જોશે,એટલે તેમને
ખાત્રી થશે કે તું મારો છે.તેઓ માનશે કે મારા શ્યામસુંદરનો આ લાડીલો સેવક છે,સખા છે.
અને,તેવી ખાત્રી થશે તો જ ત્યારે જ ગોપીઓ તારી સાથે બોલશે.
ઉદ્ધવ,તું ભાગ્યશાળી છે,કે વ્રજભૂમિમાં જાય છે.વ્રજ-ભૂમિ એ પ્રેમ-ભૂમિ છે.
તારું કલ્યાણ થાય એ માટે તને ત્યાં મોકલું છું.”

ઉદ્ધવજીને રથમાં બેસાડ્યા છે,અને રથ ચાલ્યો છે.પ્રભુ ઉદ્ધવને કહે છે કે-નંદબાબાને આશ્વાસન આપજે.
ઉદ્ધવ મારી, મા ને કહે જે કે તમારો કનૈયો આવશે.
માતા-પિતાનું સ્મરણ થતાં માલિકની આંખમાંથી આંસુ નીકળ્યા છે.

ઉદ્ધવજીને આશ્ચર્ય થાય છે કે-વ્રજમાં એવું શું છે કે જેનું સ્મરણ કરી માલિક વારંવાર રડે છે.
જીવ જયારે જીવ-પણું છોડી ઈશ્વર સાથે પ્રેમ કરી તન્મય બને છે,ત્યારે પરમાત્મા પોતાનું ઐશ્વર્ય
ભૂલી જાય છે.ઈશ્વર,ઈશ્વર-પણું ભૂલી જાય છે.

શ્રીકૃષ્ણ આજે મથુરાના રાજા હતા પણ પોતાનું ઐશ્વર્ય આજે ભૂલી ગયા છે,
પ્રેમમાં પાગલ બન્યા છે.અને રથની પાછળ પાછળ દોડે છે.!!!
ત્યારે ઉદ્ધવ કહે છે કે-તમે રાજા છો,તમે ઈશ્વર છો,હું રથમાં બેઠો છું અને તમે આમ દોડો છો,
તે ઠીક લાગતું નથી,તમે કલ્પાંત કરશો નહિ,હું સહુને બોધ આપીશ.
ત્યારે પ્રભુ અટક્યા છે,અને વિચારે છે કે-મારો ઉદ્ધવ ભાગ્યશાળી છે,તે આજે પ્રેમ-ભૂમિમાં જાય છે.
પ્રભુ રથને ટગર-ટગર જોતાં ઉભા રહી ગયા છે,હૃદયમાં ડૂમો ભરાયો છે.
ઉદ્ધવજી હજુ વિચારે છે કે-આ વ્રજમાં એવું શું છે ? ઉદ્દવ,પ્રેમ-તત્વને હજુ બરોબર જાણતા નથી.
.......................................................................................................
ઓધાજી મને વ્રજ નથી વિસરાતું રે, 
ગોકુળિયું મને સાંભરે રે જી.................ગોકુળિયું મને.
માતા જસોદા મને ઘડીએ ભુલાય ના,
નંદબાબા સાંભરે દિન રાત રે ..............ગોકુળિયું મને.

સવાર પડે મને ગોપ બાળો સાંભરે,
ગોપીઓ નો પ્રેમ ના ભુલાય રે..............ગોકુળિયું મને.
ગાયો ભાંભરતી મને સ્વપ્ના માં સાંભરતી,
ગંગી ગાય ના ભુલાય રે....................ગોકુળિયું મને.
ગેડી દડો મને ઉંઘ માં યાદ આવે,
જમનાનો ઘાટ ના ભુલાય રે..............ગોકુળિયું મને.
સોનાના થાળ મને જરી એ જચે ના,
કાંસાની થાળી યાદ આવે રે..............ગોકુળિયું મને.
છપ્પન ભોગ મને કડવા રે લાગે,
માખણ મીસરી ના ભુલાય રે ..............ગોકુળિયું મને.
“ સોમ “ સાંજે ૮-૦૦ કલાકે તા.૧૦-૧૦-૧૩.
ઋણ સ્વીકાર-www.somsangrah.com
........................................................................................................
ઉદ્ધવ,મને ગમતું નથી કે જચતું નથી આ રાજપાટ,
નેજે હથેળી મૂકી,માતા જશોદા જુએ છે મારી વાટ.
મથું ઘણું પણ નથી ભુલાતું મને, મારું ગોકુલ ગામ.
આપી વચન હું આવ્યો હતો,મન ક્યાંથી ભૂલે એ વાત.
જગમાં કોઈએ નહિ પણ પ્રેમથી બાંધ્યો જેને,મને,અને,
કોળિયો મારા મુખમાં મૂકી,જમાડતી હતી તે મારી માત.
ગોદમાં સુવાડી ,માથે હાથથી પંપાળતી,આખી રાત, 
એ માતા જસોદાનો પ્રેમને ભૂલવો,નથી મારે હાથ.
પ્રેમ નંદબાબાનો,ને મારા વહાલા સખાઓનો,કેમ કરીને ભુલાય?
વાત ગોપીઓની કેમે કરું ? મને યાદ આવે મારી ગંગી ગાય.
સંદેશો જઈને તું એટલો કહેજે કે સંભાળું એ સર્વ ને,હું દિન રાત,
આવીશ જરૂર,મન ને દિલાસો જરા દેજો,બહુ ભોળી મારી માત.

અનિલ શુક્લ. ૧૨,ઓક્ટોબર,૨૦૧૩

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE