Dec 22, 2020

ભાગવત રહસ્ય -૪૮૩-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

યદુરાજાના પ્રશ્નનો જવાબ આપતાં દત્તાત્રેય કહે છે કે-રાજન,આનંદ બહાર નથી,આનંદ કોઈ વિષયોમાં નથી,પણ આનંદ અંદર છે. હું “હું” પણાને ભૂલી ગયો છું.જગતના વિષયો માંથી દૃષ્ટિ હટાવીને મેં દૃષ્ટિને અંતર્મુખ કરી છે. હું મારા સ્વ-રૂપમાં સ્થિત છું.પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં આનંદ માનુ છું.મેં મારી દૃષ્ટિને ગુણમયી બનાવી છે,હું સર્વના ગુણ જોઉં છું.

દીક્ષા-ગુરૂ એક હોય છે પણ શિક્ષા-ગુરૂ અનેક હોઈ શકે છે.મેં એક નહિ પણ ચોવીસ ગુરૂ કરેલા છે.
આ મને જે જ્ઞાન મળ્યું છે તે મારા અનેક ગુરુઓ પાસેથી મળ્યું છે.દરેકમાંથી  કોઈને કોઈ ઉપદેશ
મળે છે. મારા ગુરુઓ ના નામ તારે જાણવાં હોય તો સાંભળ.

(૧) ધરતી-પાસે થી -ખૂબ સહન કરવું-તેવો બોધ લીધો.
(૨) વાયુ-પાસેથી -સંતોષ અને અસંગપણા –નો બોધ લીધો.
(૩) આકાશ-પાસેથી-આકાશની જેમ ઈશ્વર પણ સર્વવ્યાપક છે-
અને તેની જેમ આત્મા કોઈથી લેપાતો નથી તેવો બોધ લીધો.
(૪) જળ-પાસેથી-શીતળતા અને મધુરતાનો બોધ લીધો.

(૫) અગ્નિ-પાસેથી –પવિત્રતા –નો બોધ લીધો-વિવેકરૂપી અગ્નિ જો હૈયામાં પ્રગટે તો પાપ આવવા દે નહિ.
(૬) ચંદ્ર-  પાસેથી –સમતા –નો બોધ લીધો-વૃદ્ધિ-હ્રાસ સર્વ શરીર ની અવસ્થામાં સમતા નો બોધ.
(૭) સૂર્ય- પાસેથી પરોપકાર અને નિરાભિમાની પણા –નો બોધ લીધો.
(૮) હોલા-કબૂતર-ના પ્રસંગ પરથી-કોઈ વસ્તુ-વિષય-કે વ્યક્તિમાં અતિ મમતા કે આસક્તિ રાખવી નહિ-
નો  બોધ લીધો.હોલો પત્ની-પુત્રની આશક્તિને કારણે પોતે પણ વિલાપ કરતો નાશ પામ્યો.કોઈના મરણ પાછળ રડનારો એક દિવસ પોતે પણ જવાનો જ છે તો તેને પોતાના માટે રડવું જોઈએ
અને ચેતી જઈ પોતે પોતાનું હિત સાધવા પ્રયત્ન કરવો.

(૯) અજગર- પાસેથી-પ્રારબ્ધ અનુસાર જે કાંઇ મળે તેમાં સંતોષ રાખવાનો-બોધ લીધો.
(૧૦) સમુદ્ર- પાસેથી –ભોગો મળે તો હરખાવું નહિ અને ના મળે તો સંતાપ કરવો નહિ-તેવો બોધ લીધો.
(૧૧) પતંગિયા-પાસેથી-જેમ તે અગ્નિ ના રૂપ (વિષય) થી મોહિત થઇ તેમાં પડે છે અને નાશ પામે છે તેમ-માયા ના “રૂપ” થી મોહિત થઇ તેમાં નહી ફસાવા નો બોધ લીધો.(માત્ર શ્રીકૃષ્ણ જ સુંદર છે)
(૧૨) ભ્રમર- (મધુકૃત) પાસેથી-સર્વ માંથી સાર ગ્રહણ કરવો પણ ભ્રમરની જેમ એક કમળમાં (ગંધ-સુગંધ)
જ આશક્તિ રાખવી નહિ તેવો બોધ લીધો.

કમળની ગંધ (વિષય) થી લોભાઈ, ભ્રમર-હમણાં અહીંથી ઉડી જઈશ,થોડીવાર વધુ મજા લઇ લેવા દે.
એમ વિચાર કરતો રહે છે,અને સાંજ પડે કમળનાં પાનાં બીડાઈ ગયા.અને ભ્રમર કમળમાં પુરાઈ જાય છે.
ભ્રમર માં લાકડું કોતરવાની શક્તિ છે પણ કમળમાં પુરાઈ ગયેલો ભ્રમર,કમળની આશક્તિને લીધે કમળને ખોતરીને બહાર આવતો નથી.સવાર થશે ત્યારે કમળમાંથી બહાર નીકળીશ તેમ વિચારે છે.
ત્યાં તો હાથીએ પગ તળે કમળને કચડી નાખ્યું ને ભ્રમર મરણને શરણ થાય છે.

તેવી જ રીતે મનુષ્ય ધારે તો નરનો નારાયણ થઇ શકે છે,તેનામાં ત્યાગ કરવા વગેરેની અપાર શક્તિ છે,
પણ આસક્તિને લીધે તે માયાનો ત્યાગ કરી શકતો નથી,વિષયોમાં (અહીં ગંધ-નો વિષય) ફસાયેલો તે વિષયસુખનું ચિંતન કરતો કરતો નાશ પામે છે,અને પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી.

મધુકૃત ના બે અર્થ થાય છે. એક ભ્રમર અને બીજો મધમાખી.
જો મધમાખી એવો અર્થ કરીએ તો-મધમાખી પાસેથી કોઈ વસ્તુનો અતિ સંગ્રહ નહિ કરવો તેવો બોધ છે. મધમાખી મધનો સંગ્રહ કરે છે અને તે મધ માટે લોકો તેનો નાશ કરે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE