Dec 23, 2020

ભાગવત રહસ્ય -૪૮૪-(ઉદ્ધવ ને જ્ઞાનોપદેશ)

દત્તાત્રેય તેમના ગુરુઓ વિષે આગળ કહે છે.કે-
(૧૩) હાથી-પાસેથી સ્પર્શ-સુખ (વિષય)ની લાલચ થી પોતાનો કેવી રીતે નાશ થાય છે તેનો બોધ.હાથીને પકડનારા એક મોટો ખાડો ખોદીને તે ખાડો ડાળી-પાંદડાં વડે ઢાંકે છે ને ઉપર એક સજીવ લાગે તેવી લાકડાની હાથણી રાખે છે.હાથી આ લાકડાની હાથણીને સાચી સમજી તેને સ્પર્શ કરવા આવે છે અને ખાડામાં પડે છે.અને પકડાઈ જાય છે.આથી જ -શાસ્ત્રોમાં સાધક-કે સંન્યાસીએ લાકડાની બનાવેલી સ્ત્રીની પૂતળીને પગથી પણ સ્પર્શ ના કરવો તેવી આજ્ઞા આપી છે.

(૧૪) પારધી-પાસેથી –જેમ પારધી મધમાખીઓનું એકઠું કરેલ મધ લઇ જાય છે-તેમ યોગી ઉદ્યમ વગર જ
ભોગ મેળવી શકે અને ધનનો સંગ્રહ ના કરતાં તેનું દાન દેવું.તેવો બોધ લીધો.
(૧૫) હરણ-પાસેથી –શ્રવણસુખ (વિષય) ની લાલચથી પોતાનો નાશ થાય છે તેવો બોધ.
શિકારીના સંગીત થી મોહિત થઇ હરણ તેના તરફ દોડે છે અને જાળમાં પડી બંધાઈ જાય છે.
(૧૬) માછલી –પાસેથી-રસ-સુખ (જીભ-વિષય) ની લાલચથી પોતાનો નાશ થાય છે તેવો બોધ લીધો.
જીભના સ્વાદની લાલચે માછલી લોઢાના આંકડામાં રાખેલ માંસનો ટુકડો ખાવા દોડે છે 
ને આંકડામાં ફસાઈને મૃત્યુ પામે છે. આ લૂલી (જીભ) મનુષ્યોને બેહાલ કરે છે.

ઉપર પ્રમાણે ટૂંકમાં પાંચ વિષયોની કથા કહી છે તેમ પણ કહી શકાય.
--આંખનો વિષય છે-રૂપ. રૂપ (અગ્નિ) ના સુખની ઈચ્છાથી પતંગિયાનો નાશ થાય છે.
--નાકનો વિષય છે –ગંધ, ગંધ (કમળની સુગંધ)ની ઈચ્છાથી ભ્રમર નો નાશ થાય છે.
--ચામડીનો વિષય છે-સ્પર્શ. સ્પર્શની ઈચ્છાથી હાથીનો નાશ થાય છે.
--કાનનો વિષય છે શ્રવણ. શ્રવણની ઈચ્છાથી હરણનો નાશ થાય છે.
--જીભનો વિષય છે રસ. રસની ઈચ્છાથી માછલીનો નાશ થાય છે.

આ પ્રમાણે ઉપરનાં પ્રાણીઓ માત્ર એક જ વિષયને ભોગવવા જાય છે અને તેમનો નાશ થાય છે તો-
મનુષ્યમાં તો પાંચે વિષયો ભોગવવાની શક્તિ છે.અને જો તે પાંચે ય વિષયોને ભોગવે તો-
તેના શું હાલ થાય તે વિષે કાંઇક પણ કહેવાની જરૂર નથી.

દત્તાત્રેય કહે છે કે-રાજા તને વધુ શું કહું?મેં તો વેશ્યા ને પણ મારી ગુરૂ બનાવી છે.
રાજા કહે છે કે-વેશ્યા પણ તમારી ગુરૂ? તે કેવી રીતે સંભવે? તેની કથા કહો.
(૧૭) વેશ્યા-પાસેથી કામસુખમાં શાંતિ નથી અને કામસુખ ભોગવવાની ઈચ્છા તે મોટામાં મોટું દુઃખ છે
તે બોધ લીધો.પિંગલા નામે એક વેશ્યા હતી.કોઈ એક ધનવાન હજુ આવી ચડે તો મને પૈસા મળે –
તેવી આશાથી તે જાગરણ કરે છે.તેવામાં તેના મન માં વિચાર આવે છે કે-કામી મનુષ્યની આશા રાખી 
હું જાગું છું તેના કરતાં પ્રભુ માટે હું જાગી હોત-તેમની આશા રાખી હોત  તો મને પ્રભુ મળત,
મારો બેડો પાર થાત.હવે તુચ્છ પુરુષોને રીઝવવાનો નહિ પણ પરમાત્માને રીઝવવાનો પ્રયત્ન કરીશ. 
કાળ રૂપી સર્પનો કોળિયો બનેલા આ જીવનું રક્ષણ કરનાર પરમાત્મા સિવાય બીજો કોઈ સમર્થ નથી.
તે,તે રાત્રિએ જાર પુરુષોની આશા ત્યજીને શાંતિથી સૂઈ ગઈ.
આ દુનિયામાં આશા એ પરમ દુઃખ છે અને કોઈ સુખની આશા  ના રાખવી (નિર-આશા) તે પરમ સુખ છે.

આ આશાની બેડી મનુષ્યને કેટલી હદ સુધી જકડાવી રાખે છે તેનું વર્ણન કરતાં શંકરાચાર્ય કહે છે-કે-
શરીર ગળી ગયું છે,માથે પળિયાં આવ્યા છે,મોઢું દાંત વગરનું થઇ ગયું છે,વૃદ્ધાવસ્થા ને કારણે લાકડી 
લઇ ચાલવું પડે છે,તેમ છતાં ડોસો આશાનો લોચો છોડતો નથી.
આ ડોસાની જેમ,ના કરતાં સર્વ છોડીને શ્રી ગોવિંદને ભજવા લાગી જજો.(ભજ ગોવિન્દમ-સ્તોત્ર)

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE