Dec 28, 2020

ભાગવત રહસ્ય -૪૮૯

જગતમાં સર્વને ખબર છે કે એકલા જવાનું છે,સંસારના સર્વ સંબંધો જુઠ્ઠા છે.તો પણ સ્ત્રીને પુરુષ વગર કે પુરુષને સ્ત્રી વગર,કે બંનેને બાળકો વગર ચેન પડતું નથી.
આના પર એક બહુ સરસ દૃષ્ટાંત છે.એક મહાત્મા કથા કરતા હતા.ગામના શ્રીમંત નગરશેઠનો પુત્ર રોજ કથા સાંભળવા આવે,પણ સાંજના ૬ વાગે એટલે તરત કથામાંથી ઉઠીને ચાલ્યો જાય.મહાત્મા રોજ આ જોયા કરે,એક દિવસ તેને પૂછ્યું.

તમે કેમ કથામાંથી રોજ વહેલા ચાલ્યા જાઓ છો? શું તમને કથામાં રસ પડતો નથી?
તે પુત્રે કહ્યું કે-મહારાજ,કથામાં તો રસ પડે છે,પણ હું મારા માતા-પિતાનો એકનો એક પુત્ર છું.
મારી પત્ની પણ મારા માટે પ્રાણ આપે તેવી છે.મને ઘેર પહોંચતા જરા પણ મોડું થાય તો,
બધાને ચિંતા થાય છે અને મને શોધવા નીકળે છે,તમારે તો આગળ પાછળ કોઈ નહિ એટલે 
તમને સંસારીઓ પ્રેમની શું ખબર પડે? બાકી મારા પર ઘરવાળાઓનો અધિક પ્રેમ છે.

મહાત્મા એ કહ્યું કે-આપણે તારા ઘરવાળાઓના પ્રેમની પરીક્ષા કરીએ,હું તને એક જડીબુટ્ટી આપું છું 
તે તું ખાજે,તે લેવાથી શરીરમાં ખૂબ ગરમી આવશે અને તાવ જેવું લાગશે,તે તું ઘેર લઈને લેજે.
હું તારી દવા કરવા આવીશ.પણ જે બને તે જોયા કરજે.

નગરશેઠના પુત્રે ઘેર જઈ જડીબુટ્ટી લીધી,શરીરમાં ખૂબ ગરમી વધી,ખૂબ તાવ આવ્યો.
તેના માતાપિતાને પત્ની ચિંતા કરવા લાગ્યા,મોટા ડોક્ટરો ને બોલાવ્યા પણ તાવ ઉતરતો નથી.
ડોક્ટરોએ કહ્યું કે ચોવીસ કલાક આવો તાવ રહે તો કેસ ભારે છે.સહુ ચિંતા કરે છે,પત્ની કલ્પાંત કરે છે.

તેવામાં પેલા મહાત્મા આવે છે,બધા તેમને  પ્રાર્થના કરે છે.
મહાત્મા કહે છે કે બિમારી ભયંકર છે તમારા કોઈ શત્રુએ તેને કોઈએ મુઠ મારી છે,મારા ગુરૂની કૃપાથી 
હું મુઠ ઉતારી શકું છું,પણ આ મુઠ ઉતર્યા પછી બીજા ઉપર તે મુઠ આવે છે.એક વાડકીમાં પાણી લાવો.

મહાત્માએ તે પાણી નગરશેઠના પુત્ર ઉપર બે-ચાર વાર ફેરવ્યું અને કહ્યું કે –
મંત્ર શક્તિથી આ તાવને હું આ પાણીમાં લાવ્યો છું.આ પાણી કોઈ પી જાય તો 
તમારા પુત્રનો રોગ જાય અને તે સારો થઇ જાય. બધા પૂછે છે કે-આ પાણી પીનારનું શું થાય?
મહાત્મા કહે છે કે-જે તમારા પુત્રનું થવાનું હતું તે તેનું થશે.તેનું અચ્યુતમ-કેશવં –થાય.પણ પુત્ર બચી જશે.

પહેલાં પુત્રની માતા ને પૂછવામાં આવ્યું.માતા કહે છે કે-મને પાણી પીવામાં વાંધો નથી,મારો લાડકવાયો
બચતો હોય તો હું તૈયાર છું,પણ હું પતિવ્રતા છું,મારા મર્યા પછી આ ડોસાનું શું થાય? 
તેની ચાકરી કોણ કરશે? મારા થી પાણી નહિ પીવાય.

પછી પિતાને કહેવામાં આવ્યું.પિતા કહે છે કે-હું મરું તેનું દુઃખ નથી પણ,હું મરું તો આ ડોશીનું શું થાય?
મારા એક દિવસ પણ છૂટી પડી નથી.તે મારા વગર જીવશે નહિ એટલે પાણી બીજા કોઈને પાવ.
પત્ની પતિને બિચારો કહે છે અને પતિ પત્ની ને બિચારી કહે છે.કોણ બિચારું છે તે તો ઈશ્વર જાણે.

મહાત્મા જરા વિનોદી હતા,તે કહે કે બંને અડધું અડધું પાણી પી જાવ,બંનેનો સાથે વરઘોડો નીકળશે.
પણ મરવા કોણ તૈયાર થાય? પછી પત્નીને પૂછવામાં આવ્યું.
પત્ની કહે છે કે-હજુ હું તો બાળક છું,દુનિયા ના મોજ-શોખ હજુ માણ્યા નથી,
આ ડોસીનું (સાસુનું) તો બધું થઇ ગયું છે તેને પાણી પીવડાવો,હું પાણી પીવાની નથી. 

કોઈ પાણી પીવા તૈયાર નથી.
છેવટે બધાએ કહ્યું કે-મહારાજ તમે પાણી પી જાવ,તમારા પાછળ કોઈ રડે તેવું નથી,તમારા પાછળ અમે
દર વર્ષે ભંડારો કરશું (લાડવા ખાશું!!!) મહાત્મા તરત એ પાણી પી ગયા.

પુત્ર પથારીમાં પડ્યો પડ્યો આ બધું નાટક જોતો હતો.તેણે હવે આ સંસારની અસારતા જાણી લીધી
અને ઉભો થઇ ને મહાત્મા સાથે ચાલી નીકળ્યો.તેણે મહાત્માને કહ્યું-કે-
તમે કહ્યું હતું તે સત્ય છે,આ જગતમાં કોઈ કોઈનું નથી,સ્વાર્થ માટે આ સંબંધ જોડવામાં આવે છે.
જીવનો સાચો સંબંધ ઈશ્વર સાથે છે.


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE