Aug 7, 2021

Gujarati-Ramayan-Rahasya-36-ગુજરાતી-રામાયણ-રહસ્ય-36

બીજી બાજુ અંદર શયન કરી રહેલા ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે-બહાર સનત્કુમારો આવ્યા છે અને ઝગડો ચાલતો હોય તેવું લાગે છે,મારા દ્વારે આવીને ક્રોધ કરે છે એટલે તે અંદર આવવાને લાયક નથી.પણ તેમના પર અનુગ્રહ કરીને હું જ તેમને બહાર જઈને દર્શન આપીશ.
ભગવાન લક્ષ્મીજી સાથે બહાર પધારે છે પણ સનત્કુમારોને નજર આપતા નથી.જીવને કરેલાં પાપનો પસ્તાવો ના થાય ત્યાં સુધી ભગવાન નજર આપતા નથી.સનત્કુમારો વંદન કરે છે,પણ ભગવાન તેમના સામું પણ જોતા નથી.સનત્કુમારોને પોતાની ભૂલ સમજાય છે કે –ક્રોધ કર્યો તે ભૂલ કરી.પાર્ષદો તેમની ફરજ બજાવતા હતા તેમના પર ક્રોધ કરવાનું ઉચિત નહોતું.પણ ભગવાનના દર્શનની ઉત્કંઠામાં વિઘ્ન થયું અને ક્રોધ થઇ ગયો.

તેમણે ભગવાન પાસે માફી માંગી.તેમ છતાં ભગવાન ઘર (વૈકુંઠ)ની અંદર બોલાવતા નથી.
સનત્કુમારો કારણ સમજી ગયા “હજી અમારામાં ઉણપ છે,હજી અમારે તપશ્ચર્યા કરવાની જરૂર છે”
ભગવાનને પ્રણામ કરી તેમણે ત્યાંથી વિદાય લીધી.

સનત્કુમારોના ગયા પછી ભગવાને જય-વિજય ને કહ્યું કે-સનત્કુમારોનો શાપ છે એટલે મિથ્યા થાય નહિ,
તમારા ત્રણ અવતારો થશે.પણ તમારો ઉદ્ધાર કરવા હું પણ અવતાર લઈશ.મારા હાથે જ તમારો ઉદ્ધાર થશે.સનત્કુમારોને તમે રોક્યા,ને તમને શાપ આપ્યો-આ બધું મારી ઈચ્છા પ્રમાણે જ થાય છે.
અને આ સર્વ મારી જ લીલા છે.

જય-વિજય નો પહેલો જન્મ હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ તરીકે થયો,બીજા જન્મ માં રાવણ-કુંભકર્ણ તરીકે અને ત્રીજો જન્મ શિશુપાલ અને દંતવક્ત્ર તરીકે થયો.

હિરણ્યાક્ષ એ સંગ્રહવૃત્તિ એટલે કે લોભનો અવતાર છે.હિરણ્યકશિપુ એ ભોગનો અવતાર છે.
હિરણ્યાક્ષે ખૂબ ભેગું કર્યું અને હિરણ્યકશિપુએ બહુ ભોગવ્યું.
લોભ વધે એટલે ભોગ વધે,ભોગ વધે એટલે પાપ વધે. કહેવાય છે કે લોભને થોભ નથી.
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુને મારવા ભગવાન ને વરાહ અને નૃસિંહ –એમ બે અવતાર લેવા પડ્યા.

રાવણ-કુંભકર્ણ (કામ)ને મારવા રામાવતાર અને શિશુપાલ-દંતવક્ત્ર (ક્રોધ) ને મારવા
કૃષ્ણાવતાર લીધો. આમ કામ (રાવણ) અને ક્રોધ (શિશુપાલ) ને મારવા એક એક અવતાર પણ
લોભ (હિરણ્યાક્ષ)ને મારવા બે અવતાર લેવા પડ્યા.તે બતાવે છે કે લોભ ને મારવો કેટલો કઠણ છે!!!

ભક્તિમાર્ગનો મોટામાં શત્રુ લોભ છે.જ્ઞાનમાર્ગનો શત્રુ ક્રોધ અને કર્મમાર્ગનો શત્રુ કામ છે.
વૃદ્ધાવસ્થામાં ઘણાને ડહાપણ આવે છે પણ જુવાનીમાં જે ડાહ્યો થયો તેનું ડહાપણ સાચું.
શંકરાચાર્યજી કહે છે- “અંગમ ગલિતમ,પલિતમ મુંડમ,દશનવિહીનમ જાતમ તુંડમ”
અંગ ગળી ગયા,ને મોં બોખું થઇ ગયું,માથાના વાળ ખરી પડ્યા,તો યે ડોસાનો લોભ જતો નથી.
આ લોભ ભક્તિનો નાશક છે.ક્રોધ જ્ઞાનનો અને કામ સત્કર્મનો નાશ કરે છે.

દશરથ રાજાના પૂર્વ જન્મની કથા એવી છે કે-
સ્વાયંભુવ મનુ મહારાજ અને રાણી શતરૂપા વૃદ્ધાવસ્થા થતાં પુત્રને રાજપાટ સોંપી વનમાં ગયા.
અને કઠોર તપશ્ચર્યા કરી.ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે-મનને ગમે તે વરદાન માગો.
ત્યારે મનુ મહારાજે કહ્યું-હું તમારા સમાન પુત્ર ઈચ્છું છું.
પ્રભુ એ કહ્યું કે હું મારો સમોવડિયો ક્યાં ગોતવા જાઉં? હું જ તમારો પુત્ર થઇ ને આવીશ.
“આપું સરિસ ખોજો કહ જાઈ,નૃપ તવ તનય હોબ મેં આઈ”
પ્રભએ રાણી શતરૂપાને કહ્યું કે તમે કંઈ માગો. ત્યારે રાણીએ કહ્યું કે-પતિની ઈચ્છા તે મારી ઈચ્છા.
પ્રભુને પુત્ર રૂપે પામી હું આપનું ઈશ્વરત્વ ભૂલું નહિ એટલો વિવેક આપો,આપની અનન્ય ભક્તિ આપો.

પ્રભુ એ તથાસ્તુ કહી પોતાનો સંકલ્પ જાહેર કર્યો,” હું તમારી અભિલાષા પુરી કરીશ,મારી પ્રતિજ્ઞા
સત્ય છે,સત્ય છે,સત્ય છે” “પુરઉબ મેં અભિલાષા તુમારા.સત્ય સત્ય સત્ય મન સત્ય હમારા”
એ મનુ મહારાજ પછીના જન્મમાં અયોધ્યાના રાજા દશરથ થયા અને રાણી શતરૂપા કૌશલ્યા થયાં.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE