Dec 20, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-17-Shradhdhatray Vibhag Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-17-શ્રદ્ધાત્રય- વિભાગ- યોગ




અર્જુન કહે : હે શ્રી કૃષ્ણ ! જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને, શ્રદ્ધાયુક્ત થઇ દેવતાઓનું 
યજન  કરેછે  તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ?(૧)


શ્રી ભગવાન કહે : મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા હોય છે તે સાત્વિક, રાજસ અને તામસ, 
એમ ત્રણ પ્રકારની હોય છે તે સાંભળ.(૨)


હે ભારત ! સર્વને પોત પોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કારણ કે આ સંસારી જીવ 
શ્રદ્ધામય હોય છે તેથી મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો થાય છે,તે તેવી જ યોગ્યતાનો કહેવાય છે.


જેઓ સાત્વિક હોય છે, તેઓ દેવોનું પૂજન કરે છે. જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો-રાક્ષસોનું 
પૂજન કરે છે અને તામસ હોય છે તે ભૂતગણો- પ્રેતોનું પૂજન કરે છે.(૪)


દંભ અને અહંકાર તેમજ કામ અને પ્રીતિના બળથી યુક્ત એવા જે જનો 
શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે;(૫)


અને જે અવિવેકીજન દેહની ઈન્દ્રિયોને અને દેહની અંદર રહેતા મને પણ કૃશ બનાવે છે, 
તે આસુરી નિષ્ઠાવાળા છે એમ તું માન.(૬)


પ્રત્યેકને મનગમતો આહાર પણ ત્રણ પ્રકારનો હોય છે. તે રીતે યજ્ઞ,તપ અને દાન પણ 
ત્રણ પ્રકારનાં હોય છે. તે દાનના ભેદ હું તને કહીશ સાંભળ.(૭)


આયુષ્ય, બળ, સત્વ, આરોગ્ય,સુખ અને રુચિને વધારનારા રસદાર તથા ચીકાશવાળા, 
દેહને પૃષ્ટિ આપનારા અને હદયને પ્રસન્નતા આપે તેવા આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે.(૮)  


અતિશય કડવા,ખારા, ખાટા, ગરમ, તીખા, રુક્ષ, દાહક તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે
તેવા આહાર રાજસોને પ્રિય હોય છે.(૯)


કાચુપાકું, ઉતરી ગયેલું, વાસી, ગંધાતું, એંઠું તથા અપવિત્ર અન્ન 
તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે.(૧૦)


ફળની કામના ન રાખનાર મનુષ્ય, પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મન થી નિશ્વય કરી
જે શાસ્ત્રોકતવિધિ પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે.(૧૧)


હે ભરતશ્રેષ્ઠ ! ફળની ઇચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસયજ્ઞ
કહેવામાં આવે છે, એમ તું સમજ.(૧૨)


શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણારહિત અને શ્રદ્ધારહિત 
જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે.  


દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન,પવિત્રતા,સરળતા,બ્રહ્મચર્ય અને અહિંસા
એ શરીરસંબંધી તપ કહેવાય છે.(૧૪)

કોઈનું મન ન દુભાય તેવું, સત્ય, મધુર, સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું 
તથા યથાવિધિ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે.(૧૫)


મનની પ્રસન્નતા, સૌજન્ય, મૌન,આત્મસંયમ અને અંત:કરણની શુદ્ધિને 
માનસિક તપ કહેવામાં આવે છે.(૧૬)


ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત 
ત્રણ રીતે આચરેલું તપ સાત્વિક તપ કહેવાય છે.(૧૭)


અને જે તપ પોતાની સ્તુતિ, માન તથા પૂજાના હેતુથી, કેવળ દંભથી કરવામાં આવે છે 
તેને રાજસ તપ કહેવાય છે.તે આ લોકમાં નાશવંત અને અનિશ્વિત ફળવાળું છે.(૧૮)


ઉન્મત્તતાથી  દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની 
કામનાથી જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે.(૧૯)  


દાન કરવું એ આપણું કર્તવ્ય છે, એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહિ કરી શકનાર 
સત્પાત્રને, પુણ્યક્ષેત્રમાં અને પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવેછે.(૨૦)  


વળી જે કંઈ દાન પ્રતિઉપકાર માટે અથવા ફળને ઉદ્દેશી તથા કલેશ પામીને આપવામાં 
આવે તેને રાજસ દાન કહેવાય છે.(૨૧)


જે દાન સત્કારરહિત, અપમાન પૂર્વક, અપવિત્ર જગામાં તથા કાળમાં અને અપાત્રને અપાય છે 
તે તામસ દાન કહેવાય છે.(૨૨)


ॐ, તત્ અને સત્ - એવા ત્રણપ્રકારના બ્રહ્મનાં નામો છે,તેમના યોગથી પૂર્વે આદિકાળમાં 
બ્રાહ્મણ, વેદ અને યજ્ઞ ઉત્પન્ન કરવામાં આવ્યા છે.(૨૩)


એટલેજ વેદવેત્તIઓની યથાવિધિ યજ્ઞ, દાન અને તપ વગેરે ક્રિયાઓ બ્રહ્મનાં  ॐ  ઉચ્ચાર સહિત 
સતત ચાલતી હોય છે.(૨૪)


મોક્ષની કામનાવાળા બ્રહ્મના તત્  નામનો ઉચ્ચાર કરી ને ફળની કામના ન રાખતાં યજ્ઞ અને 
તપરૂપ ક્રિયાઓ તથા વિવિધ દાન ક્રિયાઓ કરે છે.(૨૫)


હે પાર્થ  ! સદ્દભાવમાં તથા સાધુભાવમાં સત્ એ પ્રમાણે એનો પ્રયોગ કરાય છે તથા 
માંગલિક કર્મમાં સત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.(૨૬)


યજ્ઞમાં તપમાં તથા દાનમાં નિષ્ઠાથી સત્ એમ કહેવાય છે. તેમ જ તેને માટે કરવામાં 
આવતું કર્મ પણ એ જ પ્રમાણે કહેવાય છે.(૨૭)


હે પાર્થ ! અશ્રદ્ધાથી હોમેલું, આપેલું, તપ કરેલું,તથા જે કંઈ કરેલું હોય તે અસત્ કહેવાય છે; 
કારણ કે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી.(૨૮)
અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય- વિભાગ- યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE