Oct 15, 2021

Gujarati-Ramayan-Rahasya-102-ગુજરાતી-રામાયણ-રહસ્ય-102

લોકો ને હવે ખાતરી થઇ ગઈ કે,ભરતજી એ પ્રેમની મૂર્તિ છે, શ્રીરામ પ્રત્યેનો તેમનો પ્રેમ અજોડ છે.બધા ભાવ-વિભોર બની ગયા.અને કહેવા લાગ્યા છે કે-ધન્ય છે ભરતજીને,અને તેમના પ્રેમ ને.બધા એકી સ્વરે બોલી ઉઠયા કે-ભરતજી,તમે પણ શ્રીરામને પ્રાણ સમાન પ્રિય છો,તમે વનમાં જશો તો તમારી સાથે અમે સર્વ પણ વનમાં આવીશું અને રામજીનાં દર્શન કરીશું.

અત્યાર સુધી સર્વ શોક-સમુદ્રમાં ડૂબેલા હતા,પણ ભરતજીની વાણી સાંભળી.
હવે સૌમાં નવા પ્રાણ આવ્યા,સૌને જાણે નવી દિશા મળી,નવું આશ્વાસન મળ્યું.
દરબાર પુરો થયો,આખા નગરમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું.
લોકો ભરતજી સાથે નીકળવાની તૈયારી કરવા લાગ્યા.બધાને શ્રીરામના દર્શનની તીવ્ર આતુરતા હતી.
ક્યારે સવાર ક્યારે પડે?ને ક્યારે જઈશું? કૌશલ્યા ને સુમિત્રા પણ તૈયાર થયાં ને 
સાથે સાથે કૈકેયી પણ તૈયાર થઇ !! કૈકેયી ને હવે પોતાના કૃત્યનો પારાવાર પસ્તાવો થતો હતો.

ભરતજીએ મંત્રીઓને કહ્યું કે-“રાજતિલકનો સમાન પણ સાથે જ લઇ લેજો.વશિષ્ઠજી વનમાં જ શ્રીરામનો
રાજ્યાભિષેક કરી દેશે.” શ્રીરામ રાજા થશે એવું, જાણીને સૌમાં એક અનેરો ઉત્સાહ આવી ગયો.
અને સર્વ “ધન્ય છે ભરતને !” એમ કહેવા લાગ્યા.

બીજે દિવસે વહેલી સવારે સંઘ તૈયાર થઇ ગયો.રાજ્યમાતાઓ બધી પાલખીમાં વિરાજી,વશિષ્ઠઋષિ પણ
અરુંધતીદેવી સાથે રથમાં વિરાજ્યા.ભરત માટે સુવર્ણ રથ તૈયાર હતો,પણ તેમણે રથમાં બેસવાની ના પાડી,
અને કહે છે કે-હું જાત્રાએ (રામજીને મળવા) નીકળ્યો છું અને ચાલતો જ જઈશ.
અયોધ્યાના લોકો કહે છે કે તો અમે પણ ચાલતા જ આવીશું.ત્યારે કૌશલ્યાજીએ ભરતને સમજાવ્યા કે –
બેટા,તુ રથમાં નહિ બેસે તો અયોધ્યાની પ્રજા પણ રથમાં નહિ બેસે અને બધાને ભારે કષ્ટ થશે. 
ત્યારે મા ની આજ્ઞા માનીને ભરતજી રથમાં બેઠા.

પહેલી રાત સર્વેએ તમસા નદીને કિનારે વિતાવી,કોઈએ તે દિવસે ઉપવાસ તો કોઈએ એકટાણું કર્યા.
બીજે દિવસે અયોધ્યાની સર્વ પ્રજાને લાવલશ્કરનો આખો સંઘ આગળ ચાલ્યો.
શૃંગવેરપુરમાં નિષાદરાજને ખબર પહોંચ્યા કે-ભરત લાવલશ્કર લઇ ને વનમાં જાય છે.
નિષાદરાજ વિચારે છે કે-ભરતને તો ગાદી મળી છે,તો એ લશ્કર લઈને વનમાં શું કરવા જાય છે? 
નક્કી એના મનમાં કુભાવ છે. પણ ખબરદાર,મારા રામજી ને પ્રત્યે કુભાવ રાખનાર ને હું જીવતો આગળ 
જવા નહિ દઉં,અત્યાર સુધી તો તેને માથે માત્ર કલંક જ ચડ્યું છે,પણ હવે તેને માથે મોત ચડશે.
જેવી મા તેવો જ દીકરો,વિષની વેલીને અમૃત-ફળ કેમ કરીને આવે??

નિષાદરાજ તરત જ સતર્ક થઇ ગયો,પોતાની સેનાને સજ્જ થવાનો હુકમ આપી દીધો ને નગરના પ્રજાજનોમાં
પણ ઢોલ પીટાવી ને સજ્જ થવાનો સંદેશો આપ્યો.સેનાને તેણે ગંગાના ઘાટ આગળ ગોઠવી દીધી.
નિષાદરાજે નિર્ણય કર્યો કે-ભલે ગમે તે થાય પણ ભરતને ગંગા-પાર કરવા નહિ દઉં.કાં એ નહિ કાં હું નહિ.
ભરત સામે લડતાં મારી જીત થશે તો મારા યશનો પાર નહિ રહે,અને જો મૃત્યુ આવશે તો, 
રામજીના માટે મરવાનું મારા નશીબમાં ક્યાંથી? મારે તો બેઉ હાથમાં લાડુ છે.”દુહુ હાથ મુદ મોદક મેરે”

પછી તેને વિચાર થયો કે-ભરતનો આ વનમાં જવાનો ખરેખર હેતુ શું છે તે મારે જાણવું જોઈએ.
એની આંખ પરથી જ હું તેની પરીક્ષા કરી લઉં !! વેર અને પ્રેમ કંઈ છુપાવ્યાં છૂપતાં નથી.
વળી તેને બીજો વિચાર આવ્યો કે-આહાર-વિહારથી પણ માણસની પરીક્ષા થાય છે,એટલે જો
ભરતની સામે સાત્વિક (કંદમૂળ),રાજસિક (મિષ્ટાન્ન) અને તામસિક (માંસ-મદિરા) લઇ જવામાં આવે 
અને જેની તરફ ભરતની પહેલી નજર પડે,તેના ઉપરથી,તેનો કેવો “ભાવ” છે ? એ નક્કી થઇ જશે.

આવા વિચાર કરીને ,ત્રણે જાતના ભોજનના થાળ ઉપડાવી,નિષાદરાજ ભરતની પરીક્ષા કરવા ચાલ્યો.
આગળ વશિષ્ઠજીનો રથ હતો,અને તેની પાછળ ભરતજીનો રથ હતો.
નિષાદરાજે વશિષ્ઠજીને પ્રણામ કર્યા.ને પોતાનું નામ જણાવ્યું.વશિષ્ઠજી ગુહના મનની વાત જાણી ગયા.
તેથી તરત જ તેમણે ભરતને કહ્યું કે-ભરત,આ શ્રીરામનો મિત્ર છે,તમને મળવા આવ્યો છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE