Jan 6, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૮

સુંદરકાંડમાં શ્રીરામનું બહુ વર્ણન આવતું નથી.પણ હનુમાનજીની ને સીતાજીની કથા મુખ્ય છે.
હનુમાનજી “સેવા” નું સ્વરૂપ છે,અને સીતાજી “પરા-ભક્તિ” નું સ્વરૂપ છે.
આમ,સુંદરકાંડમાં સેવા અને પરાભક્તિનો મહિમા ગાયો છે.
જેમ,હનુમાનજી લંકા જતાં વચ્ચે આરામ કરવા ક્યાંય રોકાતા નથી,
તેમ,પ્રભુના કામમાં જોડાયેલો માનવી,નથી આરામ કરતો કે નથી આળસ કરતો.

જીભના જે સ્વાદ કરે છે તેને સુરસા ખાય છે.પણ,જીભના સ્વાદ જેને નથી તેની આગળ સુરસાની હાર થાય છે.
આ સંસારમાં સુરસાની (જીભના સ્વાદની) ઘણી બોલબાલા છે.ચારે તરફ લોકો ખાવા-પીવા પાછળ જાણે પાગલ બન્યા છે.વિવેકને ભૂલીને,સમય-કસમયે,ભક્ષ્ય કે અભક્ષ્ય (જે ના ખાવા જોઈએ તેવા) ભેદ જોયા વિના –સ્થાન કે અસ્થાને-ગમે ત્યાં-બસ લૂલીનાં (જીભનાં) લાડ લડાવ્યે જાય છે.એમના જીવનની સાર્થકતા જાણે –ખાવા-પીવામાં જ છે.ચટાકેદાર ખાવું,એ જ એમના જીવનનો હેતુ છે.પછી એમને સુરસા ના ખાય તો બીજું શું થાય?તેઓ ક્યારના યે સુરસાનો કોળિયો થઈને જ બેઠેલા છે.

હનુમાનજી આગળ વધે છે,ત્યાં રસ્તામાં બીજી સિંહીકા નામની રાક્ષસીનો ભેટો થાય છે,તેનો નાશ કરીને
પાછા આગળ વધવા લાગ્યા.હવે દુરથી તેમણે લંકા નગરીને પર્વતના શિખર પર વસેલી જોઈ.
બગીચાઓ,જળ સરોવરો,અને મોટી ઈમારતો,ચારે બાજુ કિલ્લાથી ઘેરાયેલી અને ખાઈથી રક્ષાયેલી 
તે લંકા-નગરીના દરવાજા પર સોનાની કારીગીરી,અને આગળ સોનાના હાથી મુકેલા હતા.
આખી નગરીમાં જાણે જ્યાં જુઓ ત્યાં સોનું જ વપરાયેલું હતું એટલે જ લંકા સોનાની બનેલી છે.તેમ કહેવાતું.

રાજા રાવણના મહેલના વૈભવનું તો શું કહેવું?તેનું વર્ણન કરવામાં તો પાનાં ભરાઈ જાય.
રાજમહેલની વચમાં રાવણનું પોતાનું વિમાન (પુષ્પક) તો પૃથ્વી પરનું શ્રેષ્ઠ વિમાન હતું.
વિલાસી રાવણનો વૈભવ ને તેની વિલાસી સોનાની લંકાનું પણ શું કહેવું?
રાવણ શક્તિશાળી હતો,ધર્મ-શાસ્ત્રોનો જ્ઞાતા હતો,શંકરનો ભક્ત હતો,બ્રાહ્મણ-કુળમાં જન્મેલો હતો,
પણ વિલાસી અને અભિમાની હતો,અધિક પડતા ધને તેને વિવેકહીન બનાવ્યો હતો,
અને મનુષ્ય જયારે વિવેક ચુકે ત્યારે તેનું પતન થતાં વાર લાગતી નથી.

ભર્તૃહરિ કહે છે કે-સ્વર્ગમાંથી ગંગાજીનું પતન થયું,ભલેને શિવજીના મસ્તક પર પણ તે પડ્યાં તો ખરાંને? શિવજીના મસ્તક પરથી નીચે,તેનાથી નીચે એમ કરતાં છેવટે ખારા સમુદ્રમાં જઈને પડ્યાં.
આમ, જે,વિવેક ચૂક્યો તે પડ્યો,અને પડ્યો એટલે ગયો....પછી તેનું જ્ઞાન,ડહાપણ કે જીવ્યું નકામું છે.
શક્તિશાળી માણસો,પોતાની શક્તિનો ઉપયોગ કેવળ શરીરના સુખ માટે કરે છે ત્યારે તેઓ કેવા-
હીન અને મતિ-ભ્રષ્ટ થઇ જાય છે તેનું રાવણ ઉદાહરણ છે.
સોનું,રૂપું,હીરા –વગેરે કિંમતી પદાર્થોની કેવળ માલિકી મનુષ્યને સુખી કરી શકતી નથી,
ઉલટું,તે અનેક દુઃખો અને અંતિમ વિનાશના કારણ-રૂપ બને છે.

હનુમાનજીએ વિચાર કર્યો કે-લંકા નગરીની ફરતો રાક્ષસોનો મોટો ચોકી-પહેરો છે,એટલે દિવસે તો 
શહેરમાં પ્રવેશ કરવો મુશ્કેલ હતો,તેથી સૂક્ષ્મ-રૂપ ધરીને તેમણે રાત્રે શહેરમાં પ્રવેશ કર્યો.
પણ રાવણનો ચોકી પહેરો કંઈ જેવો તેવો નહોતો......


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE