Mar 6, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૫

યુવરાજ પદ સ્વીકારવા માટે,ભરતજીએ પહેલેથી જ ના પાડેલી,એટલે શ્રીરામે લક્ષ્મણજીને કહ્યું કે-હું તારો યુવરાજ પડે અભિષેક કરવા માગુ છું.લક્ષ્મણજીએ પણ સવિનય તે પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો.એટલે શ્રીરામે ભરતજીને ફરી આગ્રહ કરી ને તેમનો (ભરતજી નો) આગ્રહ છોડાવ્યો,ને છેવટે શ્રીરામે ભરતજીને જ યુવરાજ-પદે સ્થાપ્યા.

ચારે-વેદો ચારણનું રૂપ ધારી ને શ્રીરામના દરબારમાં આવ્યા,એમને શ્રીરામના ચરણોમાં પ્રણામ કર્યા ને પછી સ્તુતિ કરી.કે- હે,સગુણ અને નિર્ગુણરૂપ,આપનો જય થાઓ, હે શરણાગતનું રક્ષણ કરનારા,
આપનો જય થાઓ,હે,નાથ,જેના પર આપની કૃપા-દૃષ્ટિ થાય છે,તે જ માયાના ત્રિવિધ તાપથી બચે છે,
હે,ભવ-કષ્ટ-નાશન,અમારી રક્ષા કરો,અમે તમને નમસ્કાર કરીએ છીએ.

હે,હરિ,જે લોકો અભિમાનમાં મદોન્મત બની આપની ભક્તિનો અનાદર કરે છે,તેમને ઉચ્ચ પદથી નીચે પડતા અમે જોયા છે,પરંતુ,જેઓ દૃઢ વિશ્વાસથી આપના દાસ થઈને રહે છે,તેઓ કેવળ આપનું નામ જપી,
સંસાર સાગરને સહેલાઈથી તરી જાય છે.તે પણ અમે જાણીએ છીએ.
હે,કરુણાના ધામ,હે,સદગુણોની ખાણ,હે દેવ,અમારા પર કૃપા કરી અમને એ વર આપો કે-
મન,વચન,કર્મ થી અમે આપનાં ચરણોમાં જ પ્રેમ કરીએ.

વેદો,આમ પ્રાર્થના કરીને વિદાય થયા,પછી ભગવાન શંકર પધાર્યા,તેમનું રોમરોમ શ્રીરામને જોઈને હર્ષથી નાચતું હતું,રાવણના વધ પછી તેમણે શ્રીરામને કહેલું કે-રાજ્યાભિષેક વખતે હું આવીશ,તે પ્રમાણે તેઓ આજે આવી પહોંચ્યા હતા,હર્ષ-પુલકિત થઇ ગદગદ સ્વરે તેમણે પ્રાર્થના કરી.અને અંતે કહે છે કે-હું ફરીફરી આપની પાસે એ વરદાન માગું છું કે મને આપનાં ચરણ-કમળમાં અનન્ય ભક્તિ અને સદા સત્સંગ પ્રાપ્ત થાઓ,હે,શ્રીરંગ,મને પ્રસન્ન થઇને આ વર આપો.“બાર બાર બર માગઉ,હરષી દેઉ શ્રીરંગ,પદસરોજ અનપાયની, ભગતિ સદા સત્સંગ.”

શ્રીરામનું રાજ્ય-એટલે રામ-રાજ્ય.આજે પણ લોકો રામ-રાજ્યને યાદ કરે છે,પ્રત્યેક ભારત-વાસીના અંતરમાં રામ-રાજ્ય જોવાની આકાંક્ષા રહી છે.રામ-રાજ્યમાં કોઈ દુઃખી નથી.કોઈ દરિદ્ર નથી!! દાન કરવાનો લોકોનો એવો સ્વભાવ થઇ ગયો છે કે,લોકોને કશું સંઘરવાનું મન થતું નથી.દાન દીધા જ કરે છે,દાન લેનારા વળી બીજાને દે છે.
કારણ કે દરિદ્રતા ક્યાંય રહી નથી.અને અસંતોષ પણ ક્યાંય નથી!! લઈને રાખવું ક્યાં? એટલે માટે દાન દીધા કરે છે.

ક્યાંય કોઈ વાતનો શોક નથી,બધા ધર્મ-પરાયણ જીવે છે,ને બીજાને સુખી કરવામાં સુખ માને છે.
સૌ એકબીજાના પર સ્નેહભાવ રાખે છે,અને પરસ્પર વિશ્વાસથી કામ કરે છે,કોઈને પણ કોઈની સામે વેર નથી,વેર શા માટે કરવું તે પણ કોઈ જાણતું નથી.સત્ય,દયા,તપ અને દાન એ ધર્મના ચાર પગ છે.
રામરાજ્યમાં એ ચારે પગે સ્થિર છે.બધાં શરીરે નિરોગી છે.કોઈ દીન નથી કે કોઈ દુઃખી નથી,
કોઈ મૂર્ખ નથી કે કોઈ મૂઢ નથી.દંભ કે કુડકપટ નથી.સૌ હળીમળીને,એકબીજા પર વિશ્વાસથી રહે છે.
ને એકબીજાને સહાય કરવામાં તત્પર રહે છે.

રામરાજ્યમાં બધા પુરુષો એક-પત્નીવ્રત પાળે છે ને સ્ત્રીઓ પતિપરાયણ રહે છે.
સામ,દામ,દંડ અને ભેદ-એ ચાર રાજનીતિના પાયા ગણાય છે,રાજાઓ શત્રુઓ સામે ને પ્રજાપાલનમાં 
આ નીતિનો ઉપયોગ કરે છે.પરંતુ,રામરાજ્યમાં ચોર-લુંટારા નહોતા,અધર્મ અને અનીતિ કરનાર નહોતા,
કે શત્રુ પણ નહોતા.એટલે દંડ કે ભેદ નીતિનો ત્યાં ઉપયોગ થતો જ નહોતો.
જેમાં દંડ કે ભેદની જરૂર જ ના પડે તે જ સાચો માનવ-સમાજ.અને તે શ્રીરામે જગતને બતાવ્યું છે.
બાહ્ય કાયદા કાનુનથી નહિ પણ હ્રદય-મનના પરિવર્તનથી જ આ સ્થિતિ સિદ્ધ થઇ શકે.

તુલસીદાસજી કહે છે કે-રામરાજ્યમાં કોઈને કાળનું દુઃખ નથી,કર્મનું દુઃખ નથી.
દુઃખો બધાં શ્રીરામે પોતાના માથા પર લઇ લીધાં ને પોતાનો સ્વાભાવિક આનંદ સર્વને છૂટે હાથે વહેંચ્યો.
ચિત્રકૂટમાં ભરતજી મળ્યા ત્યારે શ્રીરામે કહેલું કે-આપણે બે ભાઈઓ વિપત્તિ વહેંચી લઈએ.
અહીં સુખ વહેંચવાની વાત નથી કે બાપની મિલકત વહેંચવાની વાત નથી,પણ વિપત્તિ વહેંચવાની વાત છે.
ભરતની તપસ્યા અને રામનો વનવાસ એ રામરાજ્ય નો પાયો છે.
લોકો શ્રીરામને ગાદીએ બેસાડી દે એટલે રામરાજ્ય થતું નથી!!!
કે માત્ર રામ ગાદીએ બેસે એટલે રામરાજ્ય થતું નથી!!

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE