Aug 20, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૪

(૩) દૃશ્ય-બાધ નો ઉપાય,વાસના-ભેદ નું લક્ષણ અને રામની તીર્થયાત્રા
     (દૃશ્યબાધ=દૃશ્યમાત્ર એટલે  કે જગતમાત્ર,એ અસ્તિત્વ-રહિત અને મિથ્યા છે)

ભરદ્વાજ વાલ્મીકિ ને કહે છે-પ્રથમ રામ-ચરિત્ર નો સંબંધ લઈને,આપ, અનુક્રમે મને જીવન-મુક્ત ની સ્થિતિ કહો.એટલે તેનું અનુસંધાન રાખીને હું સર્વદા સુખી રહી શકીશ.

વાલ્મીકિ કહે છે –જેમ,આકાશને કોઈ રંગ નથી,છતાં તેમાં જે વાદળી રંગ દેખાય છે,તે સાચો નથી,પણ ભ્રમ છે,તેમ આ જગત કે જે દ્દ્રશ્યમાન છે, તે પણ એક ભ્રમ છે ને,તે સાચું નથી.(મિથ્યા છે)
કોઈ સમયે પણ,તે જગતનું પાછું સ્મરણ ના થાય,એવું (તે જગતનું) વિસ્મરણ થવું,એ “મુક્તિ”નું સર્વોચ્ચ લક્ષણ અને સ્વરૂપ છે-એવો મારો નિશ્ચય છે.

“સ્વ-રૂપ” (પોતાનું-રૂપ=આત્મા=પરમાત્મા) નો સાક્ષાત્કાર થયા વિના—
“દૃશ્ય-માત્ર અસ્તિત્વ વિહીન છે” એ ”બોધ” કોઈના અનુભવ માં આવી શકતો નથી.
અને “સ્વ-રૂપ” નો સાક્ષાત્કાર કરવા માટે આ શાસ્ત્ર (યોગવાશિષ્ઠ) છે.માટે તેને સાચી રીતે સમજવાનું છે.

શ્રવણ-મનન-વગેરે ક્રમથી,ચિત્તશુદ્ધિ થાય એટલે વાસનાઓ ક્ષીણ થતાં,
જેમ ઠંડી ઓછી થતાં,હિમ (બરફ) નો કણ તરત પીગળી જાય છે,
તેમ,મન,કે જ્યાં વાસનાઓ નો સમૂહ રહેલો છે તે પીગળી જાય છે.

જેમ,અંદર પરોવેલો ઝીણો દોરો,મોતીઓના સમૂહ ને ધરી રાખે છે,
તેમ,વાસના-રૂપી દોરો,પંચ-મહાભૂત ના બનેલા આ શરીર ને ધરી રાખે છે.
વાસના ના બે પ્રકાર છે-એક શુદ્ધ અને બીજી મલિન.
જે –વાસનાથી “જન્મ”(પુનર્જન્મ) થાય છે-તે મલિન અને જેથી જન્મ નો નાશ થાય છે-તે શુદ્ધ વાસના છે.

પ્રબળ અહંકાર થી મલિન વાસનાને -વિષયો ના અનુસંધાન ને કારણે-પોષણ મળે છે,અને પુનર્જન્મ નું (અને બંધનનું) કારણ બને છે,પરંતુ,
જેમ શેકાયેલું બી,અંકુરિત થઇ શકતું નથી,તેમ શુદ્ધ વાસના,પુનર્જન્મ ને ટાળે છે,ને
આવી શુદ્ધ-વાસના જીવન-મુક્ત પ્રાણીઓના શરીરમાં ચાકડા ના ભ્રમણ પેઠે રહે છે.
(જેમ,કુંભારનો ચાકડો,હાથ થી ફેરવવાનું છોડી દીધા પછી પણ વેગ ના સંસ્કારથી થોડી વાર સુધી ફર્યા કરે છે,તેમ જીવન-મુક્ત નો દેહ ફર્યા કરે છે)

આમ,જેમની વાસના શુદ્ધ હોય,તેમને પુનર્જન્મ નથી (મુક્તિ છે) અને તેથી,
તે,પરમ-તત્વ ને પામેલા,જીવન-મુક્ત અને બુદ્ધિમાન કહેવાય છે.
મહા-બુદ્ધિમાન,રામ,જે (આ) પ્રકારે જીવન-મુક્તિનું પદ પામ્યા હતા,તેમનો શુભ અનુક્રમ હું એવી રીતે
કહીશ કે તું,સર્વદા,સઘળું,સારી રીતે, સરળતાથી સમજી શકીશ.

વિદ્યાભ્યાસ પૂરો કરીને રામ,ઘેર આવ્યા,અને ત્યાં નિર્ભય-પણે આનંદ-પૂર્વક જીવન વિતાવતા હતા.
એવામાં કોઈ એક દિવસે તેમના મનમાં અનેક તીર્થો અને પવિત્ર આશ્રમો જોવાની ઉત્કંઠા થઈ.
એટલે તેમણે તે પોતાનો વિચાર રાજા દશરથ (પિતાજી) સમક્ષ રજુ કર્યો.
રાજા દશરથે,મુનિ વશિષ્ઠ સાથે વિચાર-વિમર્શ કરીને,રામની એ પહેલી,માગણી નો સ્વીકાર કરી તેમને તીર્થયાત્રા એ જવાની રજા (આજ્ઞા) આપી.

એટલે,રામ-લક્ષ્મણ અને શત્રુઘ્ન સાથે યાત્રાએ જવા નીકળ્યા.
અને અનેક તીર્થો,આશ્રમો,નદીઓ,સરોવરો,પર્વતો-એમ અખિલ પૃથ્વી નાં દર્શન કરીને –
પોતાની તીર્થયાત્રા પુરી કરીને,પોતાને ઘેર પાછા ફર્યા.

(૪) રામનું તીર્થયાત્રા થી પાછા ફરવું-અને તેમની દિનચર્યા
વાલ્મીકિ બોલ્યા-અયોધ્યા-નિવાસીઓએ રામને પુષ્પાંજલિ કરી ને વધાવ્યા,અને રામે ઘરમાં પ્રવેશ કર્યો.
પોતાના એ પ્રથમ પ્રવાસથી પરત થઈને,રામે,પિતાને,વશિષ્ઠને,કુટુંબીજનોને અને સર્વ ને પ્રણામ કર્યા,
એ સમયે રામ જાણે આનંદથી સમાતા નહોતા,અને ઘરમાં સર્વેને મધુર અને પ્રિય પોતાના પ્રવાસના અનુભવો ની વાતો કરતા હતા.અને ઘરમાં આનંદ થી રહેતા હતા.

રામ,નિત્ય પ્રાતઃકાલ માં વહેલા ઉઠી,શાસ્ત્ર-વિધિ પ્રમાણે સંધ્યા-વંદન કરતા,ને પછી પિતાજીના દર્શન કરવા સભામાં પધારતા,ત્યાં વશિષ્ઠ વગેરે મહાત્માઓની સાથે આદર-પૂર્વક અનેક પ્રકારનાં જ્ઞાનોથી ભરેલી વાતચીત કરતા.પછી ભોજનાદિક-વગેરે ક્રિયાઓ કરી,ચોથે પહોરે,પિતાની આજ્ઞા લઇ મૃગયા રમવા જતા.વનમાંથી પાછા આવી,સ્નાન-આદિ કરી,રાતે બાંધવો ની સાથે ભોજન કરતા અને સ્નેહીઓ ને પોતાની પાસે રાખી,રાત ગાળતા.

રામ,મોટા ભાગે આવી નિત્ય દિનચર્યા રાખી ને,પોતાના ભાઈઓની સાથે,પિતાના ઘરમાં રહેતા હતા,
અને અત્યંત આનંદ-પૂર્વક પોતાનો સમય વિતાવતા હતા.
    INDEX PAGE
     NEXT PAGE