Dec 3, 2017

પતંજલિના યોગસૂત્રો-15-Yogsutra of Patanjali-Gujarati

व्याधि स्त्यान संशय  प्रमादालस्याविरति भ्रान्तिदर्शना
लब्धभूमिकत्वा नवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः (૩૦)
વ્યાધિ,માનસિક જડતા,સંશય,પ્રમાદ,આળસ,વૈરાગ્યનો અભાવ,ભ્રાંતિ,
અને,ધ્યાનમાં ચિત્તની અસ્થિરતા તથા મેળવેલી ઉચ્ચ અવસ્થામાં સ્થિર ન રહી શકવું-આ બધા યોગ-માર્ગ માં વિક્ષેપ પાડનારા અંતરાયો છે.  (૩૦)

વ્યાધિ-આ શરીર એક નૌકા જેવું છે,જેના વડે ભવસાગરને પેલે પાર જવાનું છે.
તેથી તેની સંભાળ લેવી જોઈએ,રોગી (વ્યાધિ-વાળો) મનુષ્ય યોગી થઇ શકે નહિ.
માનસિક જડતા-એ યોગના અભ્યાસમાં આપણો રસ અને ઉત્સાહ મંદ પાડી નાખે છે.
અને જો,રસ અને ઉત્સાહ ના હોય તો સાધના કરવાની ઈચ્છા કે શક્તિ રહે નહિ.
સંશય-મનુષ્યનો બુદ્ધિથી કરેલો નિશ્ચય ભલે ગમે તેવો દૃઢ હોય,પણ જ્યાં સુધી,અમુક પ્રકારના
અસામાન્ય અનુભવ (દૂરદર્શન-દૂરશ્રવણ-વગેરે) ના થાય તો તેના મનમાં આ યોગના વિજ્ઞાન
વિશે સંશય પેદા કરે છે અને તે વિક્ષેપ પાડનાર અંતરાય  છે.

શરૂઆતના યોગના અભ્યાસ માં કેટલાક દિવસો કે કેટલાંક અઠવાડિયાઓ મન શાંત રહે અને
સહેલાઈથી જો એકાગ્ર થતું હોય તો સાધક વિચારે છે કે તે બહુ ઝડપથી યોગ-માર્ગ માં પ્રગતિ કરી
રહ્યો છે.પણ અચાનક એક દિવસ જો,પ્રગતિ અટકી ગઈ છે તેમ -પણ લાગે,
અને સાધક ને લાગે કે તે અધવચ અટકી પડ્યો છે,
પરંતુ આમ છતાં પણ  ખંત-પૂર્વક પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ.
કારણકે -આવા ચડાણ-ઉતરાણ દ્વારા જ યોગમાર્ગની સઘળી પ્રગતિ આગળ વધે છે.

  • दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः  (૩૧)

દુઃખ,મન નો કલેશ,શરીર નો કંપ,અનિયમિત શ્વાસોશ્વાસ-એ બધાં વિક્ષેપની સાથે આવે છે. (૩૧)

જયારે યોગ નો અભ્યાસ ખોટે રસ્તે વળ્યો હોય,અથવા તે અભ્યાસ પર જોઈએ તેટલો કાબુ ના હોય,
ત્યારે ઉપર દર્શાવ્યા તેવા વિક્ષેપો આવે છે.ત્યારે ॐ નો જપ અને ઈશ્વર ને આત્મ-સમર્પણ કરવાથી
મનમાં નવું બળ (શક્તિ) આવે છે. જ્ઞાન-તંતુઓના કંપનનો અનુભવ તો સર્વને થાય છે,પણ
તેને ગણકાર્યા વગર સાધના કરવી જોઈએ.અભ્યાસથી એ દૂર થાય છે અને આસન દૃઢ થાય છે.

  • तत्प्रतिषेधार्थम् एकतत्त्वाभ्यासः (૩૨)

તે (વિઘ્નો)નું નિવારણ કરવા માટે "એક તત્વ" નો અભ્યાસ જરૂરી છે. (૩૨)

મન ને અમુક સમય સુધી,કોઈ પણ એક વસ્તુ (તત્વ) માં ચોંટાડી રાખવાથી,
આ વિઘ્નો નાશ પામશે-આ એક સામાન્ય ઉપદેશ છે.

હવે પછી ના સૂત્રોમાં આ ઉપદેશ નું વિસ્તાર અને વિગતથી વિવરણ કર્યું છે.
એક જ પ્રકાર નો અભ્યાસ,સૌ કોઈને અનુકૂળ ન પડે,તેથી જુદી જુદી રીતો જણાવી છે.
પોતાને કઈ રીત વધુમાં વધુ અનુકૂળ થશે? તે પ્રત્યક્ષ પોતાના અનુભવથી જ દરેકને ખબર પડે છે.