Nov 23, 2017

પતંજલિના યોગસૂત્રો-5-Yogsutra of Patanjali-Gujarati

वृत्तिसारूप्यम् इतरत्र (૪)
આવી (નિરોધ-અવસ્થા) સિવાય ના બીજા સમયે દ્રષ્ટા (આત્મા) વૃત્તિઓ સાથે તદાકાર થઇ જાય છે.(૪)
જેમ, કે -જો મનુષ્ય ની કોઈ નિંદા કરે તો તેનાથી તેના મનમાં દુઃખ ની "વૃત્તિ" પેદા થાય છે,અને તે તેની (દુઃખ ની વૃત્તિ ની) સાથે તદાકાર થાય છે,પરિણામે દુઃખ નો અનુભવ થાય છે.  

  • वृत्तयः पञ्चतय्यः क्लिष्टा अक्लिष्टाः (૫)

વૃત્તિઓ પાંચ પ્રકારની છે,કેટલીક વૃત્તિઓ દુઃખ-દાયક તો કેટલીક વૃત્તિઓ દુઃખ-રહિત છે...... .. (૫)

  • प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः (૬)

એ પાંચ પ્રકારની વૃત્તિઓ -આ છે-  (૧) પ્રમાણ  (૨) વિપર્યય (૩) વિકલ્પ (૪) નિંદ્રા (૫) સ્મૃતિ...(૬)

  • प्रत्यक्षानुमानागमाः प्रमाणानि (૭)

(અ) "પ્રત્યક્ષ"  (બ)  "અનુમાન" અને (ક) "આગમ" (આપ્ત-વાક્ય)
એ "પ્રમાણ" (પહેલા પ્રકારની વૃત્તિ)  છે   .........................................................................(૭)

જયારે આપણા બે-અનુભવો પરસ્પર વિરોધી ના હોતાં જો સરખા હોય  -તેને  "પ્રમાણ"  કહે છે.
આ પ્રમાણ ત્રણ પ્રકારના છે.

૧) પ્રત્યક્ષ પ્રમાણ-જે કાંઇ આપણે પ્રત્યક્ષ જોઈએ અને અનુભવીએ,તે ઇન્દ્રિયો ને ભ્રમ જેવું ના લાગે -
    તો તે "પ્રત્યક્ષ પ્રમાણ" છે.જેમ કે-આંખો જગત ને જુએ છે -તે જગતના અસ્તિત્વનુ પૂરતું પ્રમાણ છે.

૨) અનુમાન-પ્રમાણ-જયારે કોઈ એક વસ્તુ ની નિશાની જોવામાં આવે અને તે નિશાની પરથી,
   જે વસ્તુ ની નિશાની છે તેનું અનુમાન-જ્ઞાન  થાય તે-છે અનુમાન-પ્રમાણ.

૩) આગમ (આપ્ત) પ્રમાણ-આપ્ત-વાક્ય એટલે કે-યોગી મહાપુરુષો ના વાક્ય,કે જેમણે -સત્યનાં દર્શન
   કર્યા હોય -તેવાઓનો પ્રત્યક્ષ અનુભવ-રૂપી વાક્યો.કે જે (સત્ય માનવા-રૂપ) પ્રમાણ છે.

અહીં આપ્ત-શબ્દ નો અર્થ છે-પ્રબુદ્ધ-કે-પહોંચેલો-કે-અનુભવી મહાપુરુષ.
આવા મહાપુરુષો એ સત્ય સુધી પહોંચીને પોતાના અનુભવથી જે શબ્દો કહ્યા તે "પ્રમાણ" છે.
કારણકે તે જ્ઞાનને પોતાની અંદર જુએ છે.આ પુરુષો જ શાસ્ત્ર-ગ્રંથોના રચનારાઓ છે.
અને એટલા માટેજ શાસ્ત્રો-એ "પ્રમાણ" કહેવાય છે.

ઘણા દાર્શનિકો આ "આપ્ત-વાક્ય" (મહા-પુરુષો ના કે શાસ્ત્રોના શબ્દો) વિષે ચર્ચા કરતાં કહે છે કે-
"આ "આપ્તો" (મહાપુરુષો) ના શબ્દો "પ્રમાણ-ભૂત" છે, તો એ વાત સાચી છે-પણ તેનું  "પ્રમાણ"શું?

તો,તે મહાપુરુષોનો "અનુભવ-એ પ્રમાણ" છે.કારણકે-આપણે જે જોઈએ છીએ-તે કોઈ અગાઉના
જ્ઞાનનુ વિરોધી નથી,અને તેથી તે પ્રમાણ છે.
ઇન્દ્રિયોથી પર એવું ય જે જ્ઞાન છે,અને જયારે જયારે તે -જ્ઞાન,તર્ક-બુદ્ધિ ને,
અગાઉના માનવ-અનુભવની વિરોધી ના લાગે- ત્યારે,તે જ્ઞાન -પ્રમાણ-રૂપ ગણાય છે.

સત્ય વિશેની કોઈ પણ નવી શોધ-એ ભૂતકાળના શોધેલા સત્યની વિરોધી નથી હોતી,
પણ તેની સાથે બંધ-બેસતી થાય છે.

નિસ્વાર્થી અને પવિત્ર મહાપુરુષો એવી કોઈ ઇન્દ્રિયાતીત અવસ્થાએ પહોંચેલા દેખાઈ શકે છે કે-
જે આપણે ઇન્દ્રિયો દ્વારા મેળવી શકતા નથી.
જગતના ભલા માટે તેમના અનુભવથી મેળવેલું સત્ય,એ  કોઈ બીજા સત્ય-જ્ઞાન નુ વિરોધી
હોતું નથી,અને બીજું કોઈ પણ તે જ્ઞાન ને પ્રાપ્ત કરી શકે છે,
તેથી તેમના "આપ્ત-વાક્યો" એ "પ્રમાણ" છે.