Nov 22, 2017

પતંજલિના યોગસૂત્રો-4-Yogsutra of Patanjali-Gujarati

મનની ત્રણ અવસ્થાઓ હોય છે.
(૧)  તમોગુણ-વાળી-જે બુદ્ધિહીન અને પશુઓમાં હોય છે.તમોગુણ વાળી ક્રિયાઓ નુકશાનકારક જ હોય છે.આ અવસ્થામાં મનમાં બીજો કોઈ -પણ વિચાર આવતો નથી.
(૨)  રજોગુણ -વાળી-અવસ્થા એ ચંચળ અવસ્થા છે,તેમાં મનુષ્યનો મુખ્ય હેતુ હોય છે-સત્તા અને મોજશોખ.
(૩)  સત્વ-ગુણ-વાળી -અવસ્થામાં ગંભીરતા,સ્થિરતા,શાંતિ,અને સ્વસ્થતા હોય છે.ચિત્ત-રૂપી સરોવરના
તરંગો શમી ગયા હોય છે ને જળ સ્વચ્છ થઇ ગયું હોય છે.

શાંત અને સ્વસ્થ રહેવાની -એ સ્થિતિ -તે નિષ્ક્રિયતાની નથી પણ સક્રિયતાની છે.કારણકે,
શાંત અને સ્વસ્થ રહેવું તે "શક્તિ" નું મોટામાં મોટું પ્રદર્શન છે.અને આમ કરવું તે સહેલું તો નથી જ.
જો કે ચંચળ થવું ઘણું સહેલું છે,ઘોડાની લગામ છોડી દેવામાં આવે તો તે મનુષ્યને લઈને
દોડી જશે,અને આવું તો કોઈ પણ મનુષ્ય કરી શકે,
પણ જે મનુષ્ય દોડતા ઘોડાઓને રોકી શકે તે જ વધુ તાકાત-વાળો છે,બળની જરૂર અહીં પડે છે.

કોઈ જડ બુદ્ધિવાળો મનુષ્ય (કશું ના કરે અને) શાંત દેખાય તો તે શાંત નથી.
સ્વસ્થ-શાંત મનુષ્ય તો તે છે કે-જેનો તેના મનના તરંગો પર કાબુ હોય.
સ્વસ્થતામાં  ઉચ્ચ કોટિના બળનું પ્રદર્શન છે,તો ક્રિયાશીલતામાં ઉતરતી કોટિના બળ નું ......

મન (ચિત્ત) તો સર્વદા પોતાની સ્વાભાવિક શુદ્ધ અવસ્થાએ પહોચવાનો પ્રયાસ કરી રહ્યું હોય છે,
પણ ઇન્દ્રિયો તેને બહાર ખેંચી લાવે છે,
તે મન (ચિત્ત) ને રોકવું,તેની બહિર્મુખ પ્રવૃત્તિ ને રોકવી,અને,
બુદ્ધિ ના "સાર-તત્વ" તરફ પાછું વાળવાની શરૂઆત કરવી,તે "યોગ" નું પહેલું પગથિયું  છે.
કારણકે માત્ર આ જ રીતે ચિત્તને યોગ્ય માર્ગે વાળી શકાય છે.

ચિત્ત જો કે નીચામાં નીચાથી ઉંચામાં ઉંચા -દરેકે દરેક પ્રાણીઓમાં રહેલું હોય છે, પણ,
માત્ર,મનુષ્ય શરીરમાં જ તે "બુદ્ધિ-રૂપે" વિકસેલું જોવા મળે છે.
અને મનુષ્યનું આ ચિત્ત (મન) જ્યાં સુધી "બુદ્ધિ" નું સ્વરૂપ ના લઇ શકે (બુદ્ધિ બરોબર વિકસે નહિ)
ત્યાં સુધી,તેનાથી,આ બધાં (યોગનાં) પગથિયામાંથી પસાર થયા છતાં,
"આત્મા" ને મુક્ત કરવાનું શક્ય નથી.

ગાય વગેરે પ્રાણીઓ માં,તેમનામાં "મન" હોવા છતાં તેમને  તાત્કાલિક મુક્તિ અશક્ય છે,કારણકે,
તેમનું ચિત્ત (મન) બુદ્ધિ નું સ્વરૂપ લઇ શકે તેવું હોતું નથી.આમ,માત્ર મનુષ્ય શરીરમાં જ મુક્તિ શક્ય છે.
અને મનુષ્ય જયારે ચિત્તની "નિરોધ-અવસ્થા" (પૂર્ણ-એકાગ્રતા) એ પહોંચે, (એવો યોગ કરે),
ત્યારે  તે ચિત્ત "સમાધિ" પ્રાપ્ત કરાવે છે.

  • तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम् (૩)

એવી (પૂર્ણ-એકાગ્રતાની) સ્થિતિમાં દ્રષ્ટા (પુરુષ-કે-આત્મા)
પોતાની "સ્વ-રૂપ-સ્થિતિ" માં (વૃત્તિ-રહિત અવસ્થામાં) રહે છે....(૩)

જેમ,તરંગો શાંત થાય અને સરોવર શાંત થાય એટલે આપણે તેનું તળિયું  જોઈ શકીએ છીએ,
તેમ,"મન" પણ જયારે શાંત થાય,ત્યારે આપણે જોઈ શકીએ કે -આપણું સાચું "સ્વ-રૂપ" શું છે?
અને ત્યારે આપણે વિષયો સાથે તદ્રુપ થતા નથી,અને પોતાના "સ્વ-રૂપ"માં જ રહીએ છીએ.