Nov 21, 2017

પતંજલિના યોગસૂત્રો-3-Yogsutra of Patanjali-Gujarati

સંસાર ના જે કોઈ પદાર્થને  આપણે જોઈએ છીએ,જાણીએ છીએ,તે,તે બાહ્ય જગતના તરફથી આવેલ ઉત્તેજના (ક્રિયા-કે-સૂચન) ની સામે થયેલ મનની પ્રતિક્રિયા છે.સંસારનાં જડ-દ્રવ્યો (પદાર્થો) એટલે "સંવેદનો" ઉભા કરનાર કે ઉભા કરવાની એક "શક્યતા" છે.જે બહાર છે-(બાહ્ય-જગતમાં છે) તે કેવળ એક "ઉત્તેજના" જ છે.

દાખલા તરીકે-"કાલુ" નામની એક માછલી -તેની છીપમાં મોતી બનાવે છે.
એમાં એવું બને છે કે-બહારથી કોઈ પરજીવી પદાર્થ તેની છીપ ની અંદર પેસી જઈ ને,
ખંજવાળ (ક્રિયા) પેદા કરે છે,એટલે તે માછલી,તે પદાર્થ ની આસપાસ ચીકણા રસનો
ઢોળ ચડાવવા માંડે છે (પ્રતિ-ક્રિયા) અને તેથી મોતી તૈયાર થાય છે.

આવી જ રીતે,આ અનુભવમાં આવતું "જગત" (સંસાર) એ -
જાણે કે -આપણે ચડાવેલ "વૃત્તિઓ" (પ્રતિક્રિયાઓ) નો ઢોળ (મોતી) છે.
પણ ખરું જગત તો તેના બીજ-ગર્ભનું કામ કરતો પદાર્થ છે. (બીજગર્ભ-બ્રહ્મ-કે-જે  કારણ-રૂપ છે)

સામાન્ય મનુષ્યને આ ક્યારેય સમજાતું નથી,
કારણકે,એ જયારે જયારે,તે સંસાર ને સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે ત્યારે તે -
"મન" થી સહુ પ્રથમ તો,(જગતને) "વૃત્તિઓ નો ઢોળ" ચડાવે છે, (મનથી તે-જગત ને બનાવે છે)
અને પછી,પોતે ચડાવેલા તે ઢોળને જ (તે-જગત ને જ) જુએ છે,તેના બીજ-ગર્ભ (બ્રહ્મ) ને નહિ.

આમ,આ પ્રકરણ ની શરૂઆતમાં યોગ ની જે વ્યાખ્યા આપી-કે-
"યોગ-એટલે-     "ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતાં રોકવું (નિરોધ) "
તો,તેમાં આવતી વૃત્તિઓ એટલે શું?
ચિત્ત કેવી રીતે જુદીજુદી વૃત્તિઓ ધારણ કરે છે,તે આપણે સમજયા.

ખરો પુરુષ (આત્મા) તો મનની પાછળ રહેલો છે.મન તેના હાથમાંનું હથિયાર (સાધન) છે.
મનની પાછળ જયારે (બુદ્ધિથી) મનને જોવામાં આવે ત્યારે મનુષ્યમાં  સમજ-શક્તિ આવે છે.
અને,મનુષ્ય જયારે મનને છોડી દે-ત્યારે- તે મનના ટુકડેટુકડા થઇને નાશ પામે છે.

એટલે હવે સમજી શકાય છે કે-ચિત્ત એટલે જેમાંથી મન ઉત્પન્ન થાય છે તે "દ્રવ્ય"
અને બાહ્ય કારણો તેના પર આઘાત કરે છે,ત્યારે તેમાં જે તરંગો -ઉત્પન્ન થાય તે "વૃત્તિઓ",
અને આ "વૃત્તિઓ" એ જ આપણો "સંસાર" (જગત-વિશ્વ)

જેમ,સરોવર ની સપાટી તરંગો થી ઢંકાયેલી હોય કે તેનું પાણી ડહોળું હોય તો તેનું
તળિયું જોઈ શકાતું નથી,પણ જો પાણી સ્વચ્છ હોય અને તરંગોના હોય તો તળિયું જોઈ શકાય છે,
તેમ,તળિયા-રૂપે "આત્મા" ,સરોવર-રૂપે ચિત્ત અને તરંગો ને વૃત્તિઓ સમજવામાં આવે તો,
ચિત્તને (સરોવર ને) વૃત્તિઓ (તરંગો) નું સ્વ-રૂપ ધારણ કરતાં રોકવામાં આવે (નિરોધ કરવામાં આવે)
એટલે કે એવો યોગ કરવામાં આવે કે જેનાથી ચિત્ત ની વૃત્તિઓ શાંત થાય તો,
આત્મા (પરમાત્મા) રૂપી સરોવરનું તળિયું દેખાય.