Nov 27, 2017

પતંજલિના યોગસૂત્રો-9-Yogsutra of Patanjali-Gujarati

આ પ્રકૃતિ કે જેને વિદ્વાનો,માયા,અવિદ્યા-વગેરેથી ઓળખાવે છે,
તે "પ્રકૃત્તિ" શબ્દમાં "મન"નો પણ સમાવેશ થઇ જાય છે.
એટલે-મન-વિચારથી માંડીને જડ દ્રવ્યો અને જે પણ આંખ ને દેખાય છે-
તે સર્વ સ્થૂળમાં સ્થૂળ પદાર્થો-તે પ્રકૃતિનું "વ્યક્ત-સ્વરૂપ" છે.

અને આ "પ્રકૃતિ" એ મનુષ્યના આત્મા (પુરુષ) ને ઢાંકી દે છે.અને
પ્રકૃતિનું આવરણ કોઈ રીતે (ગુણો પ્રત્યે વિતૃષ્ણાથી) હટી જાય,તો પુરુષ (આત્મા) પ્રગટ થાય છે.
એટલે કે આગળ બતાવ્યું તેમ
(ગુણો પ્રત્યેનો) વૈરાગ્ય એ "આત્મા" (પુરુષ)ના પ્રાગટ્ય માટે-મોટામાં મોટી  સહાય છે.

"યોગ" ની વ્યાખ્યા પછી -હવે-"સમાધિ" (સંપૂર્ણ એકાગ્રતા) ની "વ્યાખ્યા" આપવામાં આવી છે.

  • वितर्कविचारानन्दास्मितारूपानुगमात् संप्रज्ञातः (૧૭)

સંપ્રજ્ઞાત (સત્ય-યથાર્થ જ્ઞાનવાળી) સમાધિ (યોગ) તેને કહે છે કે-જેમાં-
(૧) વિતર્ક (તર્ક-શક્તિ)  (૨)  વિચાર (વિવેક-બુદ્ધિ) (૩) આનંદ
(૪) અસ્મિતા ("હું"પણાનું સામાન્ય ભાન)-અનુક્રમે રહેલાં હોય. (૧૭)

સમાધિ ના બે પ્રકાર છે- (૧) સંપ્રજ્ઞાત-કે જે જ્ઞાન આપે છે પણ મુક્તિ નહિ.  (૨) અસંપ્રજ્ઞાત-મુક્તિ આપે છે.

સંપ્રજ્ઞાત -ના ચાર પ્રકાર છે-વિતર્ક-વિચાર-આનંદ અને -અસ્મિતા
કે જેમાં પ્રથમ "વિતર્ક"  (સવિતર્ક)માં મન "એક" પદાર્થ (તત્વ)ને બીજા પદાર્થો (તત્વો)થી અલગ પાડીને-
તે પદાર્થ (તત્વ) પર વારંવાર ધ્યાન કર્યા કરે છે.
જે  ધ્યાનમાં ધ્યાનનો વિષય-બહારનાં "સ્થૂળ-તત્વો" હોય,તે ધ્યાન ને "સવિતર્ક" કહે છે.

વિતર્ક એટલે -પ્રશ્ન.અને સવિતર્ક એટલે પ્રશ્ન સહિત.

એટલેકે-જાણે મન તે કોઈ એક સ્થૂળ તત્વને વારંવાર પ્રશ્ન પૂછે છે કે જેથી-તે તત્વ-
પોતાના વિશેનાં "સત્યો" અને પોતાની "શક્તિઓ" પોતાના પર ધ્યાન કરનારને આપી દે છે.
આ શક્તિઓને "સિદ્ધિઓ" કહે છે કે જે સિદ્ધિઓ સંસારના ભોગની શોધમાં લાગી જાય છે,
અને મુક્તિ આપતી નથી.

"આ સંસારમાં સુખ-ભોગ જેવું કશું છે જ નહિ-સુખ-ભોગની સઘળી શોધ વ્યર્થ છે."
આવો પ્રાચીનમાં પ્રાચીન પાઠ,મનુષ્યને મળતો રહ્યો છે,પણ તે પાઠ શીખવાનું તેને અતિશય કઠિન પડે છે.
પણ જયારે તે ખરેખર શીખે છે-ત્યારે તે પ્રકૃતિના પંજામાંથી નીકળી જાય છે-ને "મુક્ત" થાય છે.

જેને સિદ્ધિઓ કહે છે-તે મેળવવી -એટલે સંસાર-બંધનને વધુ મજબૂત કરવું.અને અંતે દુઃખ વધારવું.
પતંજલિ એ આ યોગ-વિજ્ઞાનના વૈજ્ઞાનિક છે-અને આ વિજ્ઞાનની એક "શક્યતા" (એટલે કે સિદ્ધિઓ )
તરફ તેમણે નિર્દેશ કર્યો છે,પણ તે સિદ્ધિઓ સામે સાવચેત કરવાની એક પણ તક ચૂકતા નથી.
ને કહી દે છે-કે તે સિદ્ધિઓ મુક્તિ આપી શકશે નહિ.