Nov 28, 2017

પતંજલિના યોગસૂત્રો-10-Yogsutra of Patanjali-Gujarati

ઉપરની "સવિતર્ક" સમાધિમાં મન તત્વોને જાણે-પ્રશ્ન પૂછે છે-પણ-તેના બદલે સાધક જયારે તે જ ધ્યાનની અંદર-"તત્વો"ને દેશ (સ્થળ) અને કાળ (સમય)થી અલગ કરીને તેમને (તત્વોને) તે (સાધક) "તે તત્વો જેવાં છે-તેવે જ રૂપે" તેમનો "વિચાર" કરવાનો પ્રયત્ન કરે છે-ત્યારે તે-ધ્યાન "નિવિતર્ક" (પ્રશ્ન વિનાની-નિર્વિચાર) સમાધિ કહેવાય છે.

અને આનાથી આગળ વધીને તે સાધક, તે તત્વોને,દેશ-કાળ ની અંદર  છે એવો વિચાર કરે તો-
તે "સવિચાર" (વિચાર-સહિત ની) સમાધિ કહેવાય છે.

ત્યાર પછી સાધક ના ધ્યાનનો વિષય (બહારના તત્વો ને બદલે)
"અંતઃકરણ" (મન-બુદ્ધિ-અહંકાર) બને અને તે અંતઃકરણને રજોગુણ કે તમોગુણથી રહિત ધારવામાં આવે -ત્યારે તેને "સાનંદ" (આનંદ-સાથેની-આનંદમય) સમાધિ કહેવામાં આવે છે.

અને જયારે "મન" એ પોતે જ "ધ્યાન નો વિષય" બને,
જયારે-સ્થૂળ અને સૂક્ષ્મ સર્વ પદાર્થો ના વિચારો છૂટી જાય છે,જયારે ધ્યાન-ગાઢ બને છે,
અને જયારે,કેવળ "અહં"ની જ સાત્વિક અવસ્થા રહે,ત્યારે તે સમાધિ (અવસ્થા) ને
"સાસ્મિતા" (અસ્મિતા સાથેની) સમાધિ કહેવાય છે.

જે સાધક આ અવસ્થાએ પહોંચ્યો હોય,તે વેદમાં જેને "વિદેહ-અવસ્થા" કહે છે ત્યાં પહોંચ્યો ગણાય.
તે પોતાને "સ્થૂળ-દેહ-રહિત" અનુભવી શકે,પણ પોતાના સૂક્ષ્મ દેહનું ભાન તેને રહે જ છે.

જેઓ આ સ્થિતિ (વિદેહ-અવસ્થા)  એ પહોંચીને "ધ્યેય" (મુક્તિ)ને પહોંચ્યા વિના,
પ્રકૃતિમાં લીન (લય-કે-મળી જાય) થાય -તેમણે "પ્રકૃતિ-લય" પુરુષ પણ કહેવામાં આવે છે,
પરંતુ અહીં (વિદેહ-અવસ્થામાં) જે પુરુષો અટકતા નથી તેઓ "મુક્તિ"ના ધ્યેયે પહોંચે છે.
કે જેને "અસંપ્રજ્ઞાત" સમાધિ અવસ્થા કહે છે.

  • विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः (૧૮)

આવી બીજી (જે અસંપ્રજ્ઞાત) સમાધિ છે -જે-
સઘળી માનસિક ક્રિયાના વિરામના નિરંતર અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે.કે જેમાં,
ચિત્તમાં માત્ર "અવ્યક્ત-સંસ્કારો" જ રહેલા હોય છે. (૧૮)

મનુષ્ય ભલે બધી સિદ્ધિઓ મેળવે,પણ તેમ છતાં કદીક પતન પણ પામે ખરો !!!
જ્યાં સુધી આત્મા પ્રકૃતિથી પર ના થાય-ત્યાં સુધી તેને માટે સલામતી નથી.
પણ પ્રકૃતિથી પર થવું અતિ કઠિન છે.જોકે તેની રીત લાગે છે સહેલી.

તેની સાચી-ખરી-સહેલી રીત એ છે કે-મનના પોતાના પર જ ધ્યાન કરવું.
અને જયારે જયારે મનમાં વિચાર ઉઠે ત્યારે તેને દાબી દેવો કે-એક પણ વિચાર ઉઠવા જ ના દેવો.
મન ને સંપૂર્ણ-પણે "વિચાર શૂન્ય" બનાવવું.
અને મનુષ્ય જયારે આ પ્રમાણે કરી શકે છે ત્યારે,તે જ ક્ષણે તે મુક્ત બને છે.
મનને ખરેખર "વિચાર-શૂન્ય" બનાવવું-એટલે-
સૌથી મહાન શક્તિ પ્રગટ કરવી.સર્વોચ્ચ સંયમ બતાવવો.