Jan 24, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-59


જે અવિદ્યા (અજ્ઞાન-માયા) ને લઈને આ જગતનું ખોટા-પણું છે,
તે અવિદ્યા નાં-"બંધ,માયા,મોહ,મહત્,તમ, અને સંસૃતિ" એવાં નામ વિદ્વાનો એ "કલ્પ્યાં" છે.
હે,રામ, પ્રથમ હું "બંધ" નું સ્વરૂપ તમને કહું છું.તે તમે સાંભળો,તે પછી તમે મોક્ષ નું સ્વરૂપ જાણી શકશો.

"દ્રષ્ટા (આત્મા-પરમાત્મા) પર દૃશ્ય (જગત) ની" જે સત્તા થાય છે-તે જ "બંધ " (બંધન) કહેવાય છે.
આમ દ્રષ્ટા એ દૃશ્ય ના બળ થી જ (મિથ્યા) બંધાયેલો છે-
પણ જો દૃશ્ય (જગત) નો  બાધ થઇ જાય,અથવા તો
"દૃશ્ય (જગત) એ મિથ્યા છે"  -તેવું જ્ઞાન થઇ જાય તો દ્રષ્ટા (આત્મા) મુક્તિ પામે છે.

જગત-તું અને હું -વગેરે પદાર્થો "દૃશ્ય" કહેવાય છે,અને 
જ્યાં સુધી એ દૃશ્ય હોય છે ત્યાં સુધી મોક્ષ-હોતો  નથી.
"આ દ્રશ્ય નથી-આ દૃશ્ય નથી" (આ દ્રશ્ય એ સાચું નથી) એવા વ્યર્થ બક્વાદો થી દૃશ્ય શાંત થતું નથી.
કારણકે-એથી-"આ દ્રશ્ય નથી -તો બીજું કંઇક દૃશ્ય છે" એવા સંકલ્પો ઉઠે છે,અને દૃશ્ય-રૂપી રોગ ઉલટો વધે છે.

વળી,તીર્થ-નિયમ-વગેરે થી પણ તે દ્રશ્ય શાંત થતું નથી,
દ્રશ્ય-રૂપી જગતનો બાધ કરવા નો ઉપાય તો "વિચાર" જ છે.
જો જગત-રૂપી -દૃશ્ય -એ બ્રહ્મ થી જુદું જ સત્તા વાળું હોય તો કોઈને શાંતિ થાય જ નહિ,
કારણકે-અસત્ પદાર્થ નો ભાવ (સત્તા) હોતો નથી અને સત્ નો અભાવ હોતો નથી (સત્ ની જ સત્તા છે)
એટલે "વિચાર" વિના બીજા કોઈ પણ ઉપાય થી આત્મા જાણવામાં આવી શકતો જ નથી.

દ્રષ્ટા (પરમાત્મા) ની સત્તાથી દૃશ્ય (જગત) પદાર્થની -સત્તા જુદી નથી,
માટે જ્યાં જ્યાં દ્રષ્ટા હોય,ત્યાં ત્યાં તેના સૂક્ષ્મ ઉદરમાં પણ ભ્રાંતિ થી દૃશ્ય નો ઉદય થાય છે.
માટે "આ જગત આત્માથી સ્વતંત્ર સત્તા-વાળું છે,કે (જેથી)
જેને,મેં તપથી,જપથી ને ધ્યાન થી છોડી દીધું છે"એમ સમજવું એ સાચું નથી.

હે,રામ,જે દૃશ્ય (જગત) પદાર્થ,જુદી સત્તા-વાળો હોય તો
સૂક્ષ્મ ઉદરવાળા આ ચૈતન્ય-રૂપી (પરમાત્મા-રૂપી) દર્પણ માં તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહિ.
જેમ,દર્પણ ગમે તે સ્થળમાં હશે પણ તેમાં સમુદ્ર,પર્વત,નદી,પૃથ્વી અને જળ વગેરેનું
પ્રતિબિંબ પડ્યા વગર રહેશે જ નહિ.
તેમ,ચૈતન્ય-રૂપી દર્પણ (પરમાત્મા-દ્રષ્ટા) ગમે ત્યાં હશે,તો પણ તેમાં જગત (દૃશ્ય)નું પ્રતિબિંબ પડ્યા વગર
રહેશે નહિ,અને આમ,તે પ્રતિબિંબ પડશે,એટલે ત્યાં પણ દુઃખ-જરા -મરણ અને જન્મ ના તેમજ
જાગ્રતમાં તથા સ્વપ્નમાં અનેક રીતે બદલાતા,નાના-મોટા પદાર્થો નો ત્યાગ અને સ્વીકાર મટશે જ નહિ.

"આ દૃશ્ય ને મેં ટાળી નાખ્યું છે અને હમણાં હું આ (ધ્યાન ની) સ્થિતિમાં આવ્યો છું"
એમ જો સમાધિમાં પ્રતીત થાય તો -તે સમાધિમાં -
સંસાર (દૃશ્ય) ના સ્મરણ નું એ જ અક્ષય બીજ  હજુ  પણ રહ્યું છે-એમ સમજવું.
પરંતુ, જો દૃશ્ય ના રહ્યું હોય-તો -જ-નિર્વિકલ્પ સમાધિ માં "તુરીયાવસ્થા -રૂપ" બ્રહ્મ-પણા નો અનુભવ થાય છે.

હે,રામ,જેમ સુષુપ્તિ ના અંતમાં સર્વ જગત પાછું,પ્રતીત થાય છે.તેમ,(જો સંસારને ટાળ્યો ના હોય)
તો, સમાધિ ના અંતે આ અખંડિત દુઃખ-રૂપ જગત જેવું છે તેવું જ પ્રતીત  થયા વિના રહેશે  નહિ.
અને એમ થાય તો સમાધિ ની મહેનત થી શું મળ્યું? (કશું જ નહિ)
અને આમ અનર્થ જ જો પાછો આવે તો-પછી જરાવાર રહેનારી સમાધિ માં શું સુખ છે?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE