Jul 13, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-218


તે ચંડાળ ના ઘરમાં વાંદરા,કુકડા તથા કાગડા વગેરે કાપીકાપીને વિભાગવાર રાખેલા હતા.
લોહીથી છંટાઈ ગયેલ પૃથ્વી પર માખીઓ બણબણતી હતી
અને ત્યાં સુકવવા નાંખી રાખેલા પ્રાણીઓના આંતરડાં પર પક્ષીઓ ઝાપટ મારતા હતા.
લબડાવી રાખેલ ચામડામાંથી લોહી ટપકતું હતું.


આવા ભયંકર ઘરમાં અમે પ્રવેશ કર્યો,અને અત્યંત આદરથી પાથરી આપેલા આસન પર હું બેઠો.
મારી સાસુ એક આંખે કાણી હતી,તેને હું જમાઈ છું-એવી ખબર પડતાં તેણે મારો સારો સત્કાર કર્યો.
અને પછી ચંડાળ ને યોગ્ય ભોજન નો મેં આહાર કર્યો.
ત્યાર પછી કેટલે દિવસે,ચંડાળ ના ઉત્સવ ને ઉચિત એવો દારુ અને માંસ નો સમારંભ કરી તેમને
ઉચિત એવા વસ્ત્રો અને વૈભવ સહિત તે ચંડાળે (ભય આપનારી) પોતાની કન્યાનો મારી સાથે વિવાહ કર્યો.
(૧૦૭) ચંડાળ-દશામાં રાજાએ ભોગવેલાં દુઃખ નું વર્ણન


રાજા કહે છે કે-હે,સભાજનો,હું તમને વધુ શું કહું? પણ જે દિવસે ચંડાળ-કન્યા સાથે મારો વિવાહ થયો,
તે ઉત્સવ-સહિત વિવાહને લીધે મારું ચિત્ત પણ તેમાં વશ થયું અને હું પણ એક મોટો ચંડાળ બન્યો.
ત્યાર પછીના વર્ષમાં તે ચંડાળ-કન્યાએ એક દુઃખ-દાયી કન્યાનો જન્મ આપ્યો.અને તે કન્યા,
જેમ,મૂર્ખ મનુષ્યની ચિંતા દિવસે-દિવસે વધે,તેમ,તે દિવસે દિવસે વધવા લાગી.
ત્રણ વર્ષ ગયા પછી,એક અસુંદર એવા  –અનર્થ -નામના પુત્ર નો જન્મ થયો,અને ત્યાર પછી,
એક પુત્રી અને પુત્ર નો જન્મ થયો.આમ તે વનમાં ચંડાળ-રૂપે હું મોટો કુટુંબી થયો.
જેમ,બ્રહ્મ-હત્યા કરનાર,મનુષ્ય,નર્કમાં “ચિંતા” નામની સ્ત્રી સાથે ઘણી યાતના ભોગવે છે,
તેમ,તે ચંડાળ-કન્યા સાથે ઘણાં વર્ષ સુધી અનેક પ્રકારનાં દુઃખ મેં ભોગવ્યાં.
હે,સભાસદો, હું,રાજા,અને મારા પિતાનો એક નો એક પુત્ર હતો,તો પણ,સાઠ (૬૦) વર્ષ ચંડાળ-દશામાં મેં કાઢ્યાં.આવી રીતે કાળાંતરે દુષ્ટ વાસના-રૂપી બંધન ની મને પ્રાપ્ત થઇ હતી.
તે ચંડાળ-દશામાં કોઈ સમયે હું બૂમો પાડતો હતો,ને દુઃખના સમયમાં રુદન કરતો હતો,
ક્ષુદ્ર અન્ન ખાતો હતો,અને એ ચંડાળ-વાસમાં રહેતો હતો.
(૧૦૮) દુષ્કાળ થી થયેલી દેશ ની દુર્દશાનું વર્ણન
રાજા કહે છે કે-એવી રીતે કેટલોક સમય ગયા પછી,વૃદ્ધાવસ્થા થી મારું આયુષ્ય જર્જરિત થઇ ગયું.
માથાના વાળ ધોળા થઇ ગયા.જેમ,સુકાઈ ગયેલા પાંદડાં પર પવન પડે,તેમ,મારે માથે કર્મ-રૂપી
દિવસો પાડવા લાગ્યા.અને સુખ,દુઃખ,કલહ અને વધ-વગેરે અયોગ્ય કાર્યો આવતાં ને જતાં હતાં.
અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો ની કલ્પના-રૂપી ઘૂમરીઓ વાળું,ને તરંગો ના ભારવાળું મારું ચિત્ત ભમવા લાગ્યું હતું.ભ્રમિત થયેલો આત્મા પણ ચક્ર ની પેઠે ભમવા લાગ્યો હતો.કાળ-રૂપી સમુદ્રમાં હું તણાવા લાગ્યો હતો.
એક માત્ર જનાવરો નો આહાર કરીને હું બે હાથવાળા ગધેડા જેવો હતો.ને મારા વર્ષો એ રીતે ત્યાં ચાલ્યા ગયાં.જેમ,શબને કોઈ સ્મરણ રહેતું નથી,તેમ “હું રાજા છું” તેનું પણ મને સ્મરણ રહ્યું નહિ.અને
મારું ચંડાળ-પણું સ્થિર થયુ હતું.તેવામાં બાકી હતું તે,તે વિંધ્યાચલ ના પ્રદેશમાં દુકાળ આવ્યો.
તે દુકાળમાં અન્ન ને જળ ના સાંસા થઇ ગયા.મેઘ વરસતો નહોતો.ને વધુમાં દાવાનળ બળતો હતો.
ભૂખ અને તરસથી માણસો મારવા લાગ્યા હતા અને દેશ જાણે વગડો થઇ ગયો હતો.
લોકો પથ્થરમાં અનાજના ભ્રમ થી તે પથ્થરનું ભક્ષણ કરતા હતા.પ્રાણીઓ પરસ્પરનાં અંગો કાપતા હતા
ને પૃથ્વી લોહીથી છંટાઈ ગઈ હતી,પરસ્પરની હિંસા કરવામાં તત્પર થયેલા લોકો પણ મલ્લ-યુદ્ધ કરતા હતા.
સ્ત્રી અને પુરુષો પાસે તેમનાં બાળકો ભોજન માટે રાડો પાડતાં હતાં.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE