Jul 29, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-234


પ્રથમ થયેલા-વિષય નો સંકલ્પ સમાપ્ત થયા પછી,જ્યાં સુધી બીજા વિષય નો સંકલ્પ થયો નથી-
ત્યાં સુધી વચગાળાની જે સ્થિતિ રહે છે તેને “સ્વરૂપાવ-સ્થિતિ” કહે છે.
(કારણકે તે સ્થિતિમાં “મનન કે પ્રયત્ન” રહેતાં નથી.)
જેમાં સર્વ સંકલ્પ શાંત થાય છે,જે પહાડના મધ્ય ભાગ જેવી ઘન છે,અને જે જડતા તથા નિંદ્રાથી રહિત છે,
તેવી સ્થિતિને પણ “સ્વરૂપાવ-સ્થિતિ” કહે છે.

અહંતા ના અંશ નો નાશ થયા પછી,ભેદ શાંત થયા પછી,અને નિસ્પંદ-પણને પામ્યા પછી,
જે અ-જડ ચૈતન્ય સ્ફૂરે છે-તેને પણ “સ્વરૂપાવ-સ્થિતિ” કહે છે.
અને આવી “સ્વરૂપાવ-સ્થિતિ” માં “અજ્ઞાન” નો "આરોપ" કર્યો છે-કે જે અજ્ઞાનની સાત ભૂમિકા છે.
બીજ જાગ્રત-જાગ્રત-મહાજાગ્રત-જાગ્રતસ્વપ્ન-સ્વપ્ન-સ્વપ્નજાગ્રત-અને સુષુપ્તક-એવી સાત ભૂમિકા
એ અજ્ઞાન ની છે.એ સાત ના પરસ્પર ભેળસેળ થવાથી બીજા ઘણા પ્રકાર થાય છે.
આ સાત-ભેદ ના લક્ષણો તમે સાંભળો.
૧) કોઈથી વર્ણન ના થાય-એવું,તથા ભવિષ્યમાં ચિત્ત-જીવ વગેરે નામના “શબ્દ તથા અર્થ ને ભોગવનારૂ”
“બીજ રૂપે રહેલું તથા જાગ્રત” જે નિર્મળ ચૈતન્ય નું પહેલું સ્ફુરણ છે-તેને “બીજ-જાગ્રત” કહે છે.
૨) બીજ-જાગ્રત થયા પછી “આ હું અને આ મારું” એવી મનમાં જે પ્રતીતિ થાય છે-તેને “જાગ્રત” કહે છે.
૩) જન્મ થયા પછી પૂર્વ-જન્મ ના સંસ્કાર થી જાગ્રત થયેલા દૃઢ મહાવિશ્વાસ ને “મહા-જાગ્રત” કહે છે.

૪) અભ્યાસથી દૃઢ થયેલું કે દૃઢ ના થયેલું-જાગ્રત અવસ્થાનું જે મનો-રાજ્ય છે-તેને “જાગ્રત-સ્વપ્ન” કહે છે.
૫) છીપમાં રૂપાની ભ્રાંતિ ની જેમ,જાગ્રત અવસ્થામાં અભ્યાસથી અનેક પ્રકારનાં સ્વપ્ન થાય છે.
“મેં સ્વપ્ન માં આ પ્રમાણે જોયું પણ તે ખરું નથી” તે પ્રમાણે નિંદ્રા મટ્યા પછી,નિંદ્રામાં કરેલા અનુભવનો
અને તેના અર્થનો વિચાર કરવો-તેને “સ્વપ્ન” કહે છે.

૬) આ સ્વપ્ન-એ મહા-જાગ્રત અવસ્થામાં સ્થૂળ-શરીરના કંઠ થી હૃદય સુધીના નાડીના ભાગમાં થાય છે.
દેહમાં જયારે જાગ્રત દશાની પેઠે,સ્વપ્નમાં જયારે દૃઢ નિશ્ચય થાય છે-ત્યારે તેને “સ્વપ્ન-જાગ્રત” કહે છે.
૭) ઉપરની છ અવસ્થા નો ત્યાગ થયા પછી ભાવી દુઃખના બોજથી,યુક્ત જીવ ની જે જડ સ્થિતિ છે-
તેને “સુષુપ્તિ” કહે છે.
હે,રામ,આ પ્રમાણે મેં અજ્ઞાન ની સાત ભૂમિકા કહી.એમાંની દરેક ભૂમિકા ને અનેક શાખાઓ પણ છે.
જો,જાગ્રત-સ્વપ્ન ની દશા ઘણા વખત સુધી રૂઢ થાય તો તે દશા જાગ્રત-અવસ્થામાં મળી જાય છે.
જાગ્રત-પણાને પામેલી,જાગ્રત સ્વપ્ન-દશામાં અનેક પ્રકારના ભેદ વડે,
મહા-જાગ્રત દશાના જેવી સ્થિતિ વિકાસ પામે છે.
જેવી રીતે-વહાણ જળ ની અંદર રહેલી ઘુમરીમાં ભમ્યા કરે છે,
તેવી રીતે-ઉપરની મહા-જાગ્રત દશામાં મનુષ્ય-એક જાતના મોહમાંથી બીજી જાતના મોહમાં ભમ્યા કરે છે.
આ અજ્ઞાન-ભૂમિકાઓ-તેના અનેક પ્રકારના વિકારો ને લીધે,તથા જગતની અંદર થતા ભેદને લીધે-
ત્યાગ કરવા યોગ્ય જ છે.માટે વિચાર કરીને ને નિર્મળ આત્મા નું જ્ઞાન પામીને તેંને  તરી જાઓ.

(૧૧૮) સાત પ્રકાર ની જ્ઞાન-ભૂમિકા નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે,અનઘ, હવે હું તમને સાત પ્રકારની જ્ઞાન-ભૂમિકાઓને કહું છું.તે તમે સાંભળો.
કેટલાક મત-વાદીઓ,યોગ-ભૂમિકા ના અનેક પ્રકારોને કહે છે.પણ હવે જે હું તમને કહેવાનો છું-
તે જ શુભ ફળ આપનારી સાત-ભૂમિકા મને માન્ય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE