Jan 9, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-384

(૧૪) ઉપદેશ ને અયોગ્ય જીવો ની ઉપેક્ષા અને અને યોગ્ય જીવ માટે મન ને ટાળવાના ઉપાય

વસિષ્ઠ કહે છે કે-જે વિષયોની ઈચ્છાઓ વાળા છે, વૈરાગ્ય ની ઉપેક્ષા કરે છે અને વિદ્વાનો મળ્યા છતાં -તેમને આત્મ-જ્ઞાન વિષે-પૂછવું બંધ રાખી ,પોતાની બુદ્ધિને મૂંગી જ રાખી રહ્યા છે-તેમને હું શાસ્ત્રમાં કહેલા -આત્મ-પ્રાપ્તિ કરવાના -ઉત્તમ-ઉપાય-રૂપ વિચાર-નાં વચનો થી ઉપદેશ આપતો નથી.

જે મનુષ્ય મુદ્દલે દેખતો જ ના હોય (આંધળો હોય) તેને કયો હૈયાફૂટ્યો ફૂલોથી શોભતા વન ને દેખાડે?
મદિરાથી ઘૂમતાં નેત્રો-વાળા અને ભાન વિનાની ઇન્દ્રિયો વાળા મત્ત પુરુષને-ધર્મ નો નિર્ણય સંભળાવવામાં
અધિકારી ગણે તેવો દુર્બુદ્ધિ કોણ હોય? મુર્ખ ને કોણ શિખામણ આપે?
મન ને જીત્યું ના હોય તેવા દુર્બુદ્ધિ પુરુષને કોણ ઉપદેશ આપે?

હે,રામ,મન જીતાયેલું છે એમ જ સમજો.કારણકે વાસ્તવિક રીતે જોતાં મન -મુદ્દલે છે જ નહિ.અને મિથ્યા છે.
જે મૂર્ખે તેને (મન ને) જીત્યું ના હોય તે -મુર્ખ પુરુષ ઝેર ખાધા વિના પણ ઝેરની મૂર્છાથી મરી જાય છે.

વિષયો પર પ્રકાશ સર્વદા જ્ઞાન-રૂપી આત્મા થી થાય છે,તેનું ચલન પ્રાણવાયુ થી થાય છે,અને
વિષયો નું ગ્રહણ ઇન્દ્રિયો થી થાય છે,તો પછી આપણ ને મન ની શી જરૂર પડે? તે મન ને કેમ સ્વીકારવું પડે?"ચલન-શક્તિ" પ્રાણ ની છે,"જ્ઞાન-શક્તિ" આત્મા ની છે,અને "વિષયો નું ગ્રહણ કરવાની શક્તિ" ઇન્દ્રિયો ની છે.તો એ સઘળી "શક્તિઓ-વાળો" મન નામનો કોઈ પદાર્થ છે તેમ માનવાની આપણને શી જરૂર છે?

વ્યવહાર સંબંધી જે જે શક્તિઓ છે તે સઘળી પરમાત્મા ના કિરણો થી જ છે.માટે તમે તે શક્તિઓનું જુદા-પણું-અને તે તે શક્તિઓના જુદા જુદા (મન વગેરે)  નામોને શા માટે સ્વીકારો  છે?
મન એવો પદાર્થ છે જેણે જગતને આંધળું બનાવી દીધું છે !! મન એ કશું છે જ નહિ તો તેમાં શક્તિ-પણું કેમ હોય?

હે,રામ,જે લોકો મન વડે આંધળા થઇ ગયા છે-તેમનાં અપાર દુખોને જોઇને મારી બુદ્ધિ કરુણાથી દબાઈ ગઈ છે,અને એ લોકો ના દુઃખ નો કોઈ  ઉપાય નહિ મળવાથી તે (બુદ્ધિ) જાણે મૂંઝાઈ ગઈ હોય તેમ પરિતાપ પામ્યા કરે છે.પણ "જે દુઃખ કોઈ કારણથી ઉત્પન્ન થયું હોય તે દુઃખને તે કારણનું નિવારણ કરવાથી ટાળી શકાય, પરંતુ તે મુર્ખ લોકો નું દુઃખ તો કારણ વિના જ ઉત્પન્ન થયુ છે,માટે  તે કેવી રીતે ટળે?" એવો વિચાર કરીને હું મારી બુદ્ધિ ના પરિતાપ ને શાંત કરું છું.

મુર્ખ મનુષ્યો કોઈ સાચા કારણથી નહિ પણ ખોટા કારણથી જ દુઃખ પામ્યા કરે તો-તેમાં આપણે શું કરી શકીએ? તે માટે આપણે ખેદ શો રાખવો? અને શા કારણથી રાખવો?
ગધેડાઓ અને મુર્ખ મનુષ્યો દુઃખ ને માટે જ જન્મે છે-તો તેમના દુઃખને માટે આપણે શું કરીએ?
આ સંસારમાં અવતર્યા કરતા પાપી લોકો મરવાને માટે જ અવતર્યા કરે છે.
જુઓ,પ્રત્યેક દેશમાં પ્રત્યેક દિવસે -ખાટકીઓના હાથે કેટલાં પશુઓ કપાય છે? તો તેમના માટે શું રોવું?
વનમાં ભીલ-આદિ લોકો લાખો મૃગો નો ઘાણ  કાઢી નાખે છે,તો તેમને માટે આપણે શું રોવું?
મોટો મત્સ્ય નિર્દય થઈને નાના મત્સ્યો ને ગળી જાય છે તો તેમાં આપણે શી વેદના કરવી?

અસંખ્યાત પ્રાણીઓ જન્મ્યા કરે છે અને મરણ પામ્યા કરે છે-તો તેમને માટે દયાળુ લોકોએ રાજી થવું -
તે પણ યોગ્ય નથી કે  તેમને માટે કચવાવું પણ યોગ્ય નથી.
જે પુરુષ દયાથી દુર્બુદ્ધિમાનોનાં દુઃખ ટાળવામાં પ્રવર્તે છે-તે પુરુષ પોતાના હાથમાં રહેલ એક છત્ર થી (છત્રી થી) સઘળા આકાશને તડકા વિનાનું કરવાનો પરિશ્રમ કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE