Jan 26, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-401

એ મંત્રી(મન) ને જો તેનો ધણી (રાજા-કે આત્મા) જીતે-તો જ તે જીતાય તેમ છે-પણ-તે વિના તો તે પહાડ જેવો અચળ છે.
એટલે કે જો કોઈ સમયમાં- ધણીને મંત્રી નો પરાજય કરવાની ઈચ્છા થાય તો જ તે (મંત્રી) જીતાય છે.
હે,પુત્ર,ત્રૈલોક્ય માં જે જે બળવત્તર પુરુષો છે તે સઘળાઓમાં શ્રેષ્ઠતા ધરાવનારા અને તે ત્રૈલોક્યને હંફાવનારા એ મંત્રી (મન) ને, જીતવાની -જો તારામાં શક્તિ હોય,તો હું તને પરાક્રમી ગણું.

જો તું, "નિશ્ચય-વાળી અને મોહમાંથી જન્મેલા અજ્ઞાન વિનાની-બુદ્ધિ"થી
એ એક-ને  (મંત્રી ને કે મન ને) જ જીતવા સમર્થ થાય તો હું તને ધીર માનું.
એ એક મંત્રી જીતાય તો-જે જે લોકો તારાથી નથી જીતાયા,તેઓ પણ જીતાયેલા થઇ જશે.
એ એક મંત્રી જ્યાં સુધી નથી જીત્યો,ત્યાં સુધી તેં જે જે લોક ને લાંબા કાળથી જીતી લીધા છે તે-
નહિ જીતાયેલા જ સમજવા.માટે,હે પુત્ર,અનંત સિદ્ધિઓને અર્થે તથા અવિનાશી સુખને માટે -
ગમે તેવું કષ્ટ વેઠીને પણ તું એ મંત્રીને (મન ને) જીતવાનો યત્ન કર.

(૨૪) મંત્રીને વશ કરીને રાજાનું દર્શન કરવાનો ઉપાય

બલિ પૂછે છે કે-હે,પિતાજી,એ બળવાન મંત્રી કયા ઉપાયથી જીતી શકાય? અને તે મહા-પ્રબળ મંત્રી કોણ છે?
વિરોચન કહે છે કે-એ મંત્રી કદી પણ જીતી શકાય નહિ તેવી સ્થિતિવાળો છે,
તો પણ તે સહેલાઈથી જીતી શકાય તેમ પણ છે,તે ઉપાય હું તને કહું છું તે તું સાંભળ.

એ મંત્રી (મન) ને "યુક્તિ"થી પકડવામાં આવે તો તે ક્ષણ-માત્રમાં વશ થઇ જાય છે,
પરંતુ તેને યુક્તિ વગર પકડવામાં આવે તો તે -કાળોતરા નાગની પેઠે પકડનારને જ બાળી નાખે છે.
જેઓ તે મંત્રીને બાળકની પેઠે રમાડીને (થોડા થોડા વિષયો દઈ ને -પણ-વારંવાર તે વિષયોમાં દોષ દેખાડીને) "યુક્તિ"થી વશ કરે છે,તેઓ તે રાજા (આત્મા) નું દર્શન કરીને રાજપદ (મોક્ષ) ને પ્રાપ્ત થાય છે.

(વળી એમ પણ છે કે-જો) એ રાજા (આત્મા) નું દર્શન થાય તો તે મંત્રી (મન) વશ થઇ જાય છે.
(અને ઉપર બતાવ્યા પ્રમાણે -એમ પણ છે કે) જો તે મંત્રી વશ થાય તો રાજાનું દર્શન થાય છે.
એટલે કે-(એમ પણ કહી  શકાય કે) જ્યાં સુધી રાજાનું દર્શન ન થયું હોય ત્યાં સુધી મંત્રી જીતાતો નથી,
અને જ્યાં સુધી મંત્રી જીત્યો ના હોય ત્યાં સુધી રાજાનું દર્શન થતું નથી.

રાજાનું દર્શન ના થાય ત્યાં સુધી તે મંત્રી ઘણાં દુઃખો આપ્યા કરે છે,
એટલે કે- મંત્રીને જીત્યો ન હોય ત્યાં સુધી રાજા અત્યંત અદૃશ્ય થઈને રહેલો હોવાથી,દુઃખો આવ્યા કરે છે.
આથી અભ્યાસ કરીને રાજાનું દર્શન અને મંત્રીનો પરાજય-એ બંને (કાર્ય)નો એકસાથે આરંભ કરવો જોઈએ.

હે,પુત્ર,તું ધીરેધીરે અભ્યાસ-રૂપી પુરુષ-પ્રયત્ન કરીને રાજાનું દર્શન અને મંત્રીનો પરાજય-
એ બંનેનું સંપાદન કરીશ તો -યત્નના (અભ્યાસના) મહિમાને લીધે તું શુભ દેશ (મોક્ષ) ને પ્રાપ્ત થઈશ.
અને અભ્યાસ સફળ થતા,જો તું તે રાજા (આત્મા) ના દર્શન ને પ્રાપ્ત થઈશ,
તો ફરીવાર તારે જરા પણ શોક કરવાનો રહેશે નહિ.

જેમના સંપૂર્ણ સંસારિક પરિશ્રમો શાંત થયા છે,જેમનું અંતઃકરણ નિત્ય પ્રફુલ્લિત રહે છે,
અને જેમના સમગ્ર સંશયો ટળી ગયા છે,તેવા સત્પુરુષો જ તે દેશ (મોક્ષ) માં સ્થિતિ કરે છે.
હે પુત્ર, એ કયો દેશ છે? એ કયો રાજા છે? અને એ કયો મંત્રી છે?તે વિષે સ્પષ્ટ ફોડ પાડીને હવે તને કહું છું.

મેં તને જે "દેશ" કહ્યો-તેને સઘળાં દુઃખોનો નાશ કરનારો "મોક્ષ" સમજવો.
જે "રાજા" કહ્યો-તેને મન આદિથી જાણવામાં નહિ આવતો-મોટા ઐશ્વર્ય-વાળો "આત્મા" સમજવો.
અને જે ચતુર "મંત્રી" કલ્પ્યો છે-તેને-બીજો કોઈ નહિ પણ "મન" છે એમ સમજવું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE