Mar 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-450

જેમ ઘડાનું આકાશ ઘડાની અંદર જ રહે છે,અને જેમ ઘડાનો નાશ થયા પછી,ઘડાનું આકાશ રહેતું નથી,
તેમ,ચિત્ત નો નાશ થઇ જાય પછી સંસાર રહેતો નથી.
ચિત્ત-રૂપી-ઘડાની અંદર જ રહેલું,અનેક જન્મ-મરણોથી ભરેલું અને અનાદિ સંસાર-રૂપી-જે આકાશ છે,
તેનો ચિત્તના નાશથી નાશ કરી નાખીને,તમારા સ્વ-રૂપ-ભૂત-બ્રહ્મ-રૂપી આકાશ (મહાકાશ) માં પ્રવેશ કરો.

આ ચિત્તને,જો,ભૂતકાળના અને ભવિષ્યકાળ ના વિષયો અનુસંધાન ને ત્યજી દઈને,અને વર્તમાનકાળના
બાહ્ય-વિષયો થી પણ આસક્તિ-રહિત થઈને,સેવવાનો અભ્યાસ કરવામાં આવે તો તે-
ચિત્ત- એ અચિત્ત-પણાને પ્રાપ્ત થઇ જાય છે.
જો તમે ક્ષણેક્ષણે,સંકલ્પનું અને સંકલ્પના અંશોનું અનુસંધાન ત્યજી દેતા જશો,
તો પરમ પવિત્ર બ્રહ્મ-પણું તમને મળી જ ચુક્યું છે-તે વાતમાં સંશય નથી.

જ્યાં સુધી સંકલ્પોની કલ્પના હોય ત્યાં સુધી,જ ચિત્તની વિભૂતિઓ રહે છે.
જ્યાં સુધી આત્મા ને ચિત્તનો સંબંધ (અજ્ઞાન) હોય ત્યાં સુધી જ સંકલ્પો ની કલ્પના રહે છે,
પણ જો આત્મતત્વ ને ચિત્ત થી જુદું પાડીને તેની ભાવના (જ્ઞાન) કરવામાં આવે તો-
પોતાના સંસારનાં કામ,કર્મ,તથા વાસના -આદિ મૂળિયાં,એ મૂળ અજ્ઞાનની સાથે જ બળી જ ગયાં છે તેમ સમજો.
ચિત્તના સંબંધથી રહિત થયેલું -જે આત્મતત્વ છે તે -જ-પ્રત્યક્ષ ચેતન (ચૈતન્ય)કહેવાય છે.
અને તે પ્રત્યક્ષ ચેતન-ચિત્તથી રહિત જ રહેનાર છે,માટે તેમાં કાળના-રૂપી મેલ ઉત્પન્ન થવાનો ભય જ નથી.

જે સ્થિતિમાં આ અભાગિયું મન રહે જ નહિ-તે જ સ્થિતિ સાચી છે.તે જ સ્થિતિ પરમાનંદ છે.
તે જ સ્થિતિ પરમાત્મા ની સ્વભાવ-ભૂત અવસ્થા છે,તે જ સ્થિતિ સર્વને પ્રકાશ આપનારા ચૈતન્ય-રૂપ છે.
અને તે જ સ્થિતિ,પરમાર્થ (પરમ અર્થ)-દૃષ્ટિ-રૂપ છે.

જ્યાં ચિત્ત હોય,ત્યાં આશાઓ અને સુખ-દુઃખ સર્વદા હાજર જ રહે છે.પણ આ આશા-વગેરે પદાર્થોને ઉત્પન્ન કરનાર,વાસના-રૂપી બીજ (ચિત્ત) --એ તત્વના બોધથી જ્ઞાનીઓમાં નાશ પામેલું હોવાથી,
તે જ્ઞાનીઓમાં સંકલ્પ-વિકલ્પ -કદી પેદા થતા જ નથી.
શાસ્ત્રો અને સજ્જનોના સમાગમનો નિરંતર અભ્યાસ રાખવાથી,
જયારે,જગતના પદાર્થો નું મિથ્યા-પણું સમજવામાં આવે છે,
ત્યારે તે ચિત્તને બળાત્કારથી અવિવેકમાંથી ખેંચી લેવાના,પુરુષ-પ્રયત્નથી તથા,
"આ જન્મમાં જ્ઞાન સિદ્ધ કર્યા વગર રહેવું જ નહિ"
એવા દ્રઢ નિશ્ચયથી,શાસ્ત્રોમાં અને સજ્જનો ના સમાંગમમાં જોડી દેવું.(જોડી રાખવું)

પરમાત્મા ના અવલોકનમાં,આત્મા જ મુખ્ય કારણ-રૂપ છે,
(જેવી રીતે-ઊંડી-અંધારી ખાઈમાં પડેલું રત્ન-પોતે પોતાના પ્રકાશથી જ જોવામાં આવે છે)
વળી,એ આત્મા જ પોતે અનુભવેલાં દૃશ્યો-રૂપી(જગત-રૂપી) દુઃખોને છોડી દેવા ઈચ્છે છે,
એટલા માટે પણ આત્મા જ પરમાત્માના અવલોકનમાં મુખ્ય કારણ-રૂપ કહેવાય છે.

તમે.કોઈ પણ વાત કરતાં,કોઈ પદાર્થને છોડી દેતાં કે ગ્રહણ કરતાં,આંખો ઉઘાડતાં કે મીંચતા.
જેમાં,કોઈ પણ પ્રકારની કલ્પના નથી એવા પોતાના મર્યાદા-રહિત સ્વ-રૂપના અનુસંધાનમાં જ તત્પર રહો.
તમે,જન્મતાં,મરતાં,જીવતાં,અને ક્રિયાઓ કરતાં પણ-પોતાના સ્વ-રૂપ-ભૂત અનુસંધાનમાં સ્થિર રહો.
"આ મારાં સંબંધીઓ છે અને હું દેહ છું"એવી વાસનાઓને ત્યજી દઈને,અને એકનિષ્ઠા રાખીને,
પોતાની અંદર રહેલા કેવળ અખંડ જ્ઞાન-રૂપ ચૈતન્યમાં જ તત્પર રહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE