Mar 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-451

દેહ પડતાં સુધી (મૃત્યુ સુધી) એકનિષ્ઠા રાખીને,વર્તમાન સ્થિતિમાં તથા ભવિષ્ય સ્થિતિમાં પણ પોતાના "અખંડ-જ્ઞાન-સ્વ-રૂપ"ના અનુસંધાનમાં જ તત્પર રહો.
બાળપણમાં,યૌવનમાં,વૃદ્ધાવસ્થામાં,સુખ-દુઃખમાં,અને જાગ્રત,સ્વપ્ન સુષુપ્તિ જેવા સમયમાં,પણ,સ્વ-રૂપ ના અનુસંધાનમાં જ તત્પર રહો.
બાહ્ય-વિષયો-રૂપી મેલનો ત્યાગ કરી,મન નો અત્યંત નાશ કરી નાખી,અને આશાઓ-રૂપી-પાશને અત્યંત કાપી નાખીને---સ્વ-રૂપના અનુસંધાનમાં જ તત્પર રહો.
આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે-એવી ભેદ-દૃષ્ટિ દૂર કરીને સાર-ભૂત સ્વ-રૂપના અનુસંધાનમાં જ તત્પર રહો.

બુદ્ધિ,બહારના વિષયો અને ઇન્દ્રિયો-વગેરે પદાર્થો કે જે તમારા સ્વ-રૂપનો સ્પર્શ પણ કરી શકતા નથી,
તેઓનો-કોઈ પણ આગ્રહ નહિ રાખતાં,દ્વૈત અને સંકલ્પો થી રહિત થઈને પોતાના ચૈતન્ય-માત્રમાં જ તત્પર રહો.જાગ્રતમાં પણ સુષુપ્તિના જેવી,નિર્વિકલ્પ-સ્થિર-સ્થિતિની ભાવના રાખી,
"જે કંઈ છે તે સઘળું હું છું"એમ વિચાર કરીને કેવળ -સત્તા-રૂપે રહો.

જન્મ-મરણ-વગેરે દશાઓથી રહિત થઇ,સર્વત્ર મુક્ત-પણાથી યુક્ત થઇને,
અને "બુદ્ધિની- સઘળી વસ્તુઓ નો હું જ પ્રકાશક છું" એવો નિશ્ચય કરીને,પોતાના ચૈતન્ય-માત્રમાં જ તત્પર રહો.ભેદ-બુદ્ધિનો (આ હું છું અને આ બીજો છે-તેવી બુદ્ધિનો) ત્યાગ કરીને,જગતની સ્થિતિમાં દેખાતા,
સઘળા વિભાગોને મિથ્યા સમજી,આત્માનું અવલંબન કરીને સ્થિર થાઓ.

કેવળ ધૈર્યને જ ધરનારી -ઉદાર બુદ્ધિથી,મનના આશાઓ-રૂપી પાશોને કાપી નાખી,
ધર્મ-અધર્મ બંનેથી રહિત થાઓ.
તમે કેવળ જ્ઞાન-સ્વ-રૂપ જ રહીને સ્વ-રૂપ નો જ આસ્વાદ લીધા કરશો તો -
હલાહલ-નામનું ઝેર પણ અમૃત થઇ જશે.(બ્રહ્મ-વિદ્યા (જ્ઞાન) થી સર્વ અમૃત થઇ જાય છે)
અંશ થી રહિત થઇ,અને નિર્મળ એવું પોતાનું સ્વરૂપ જયારે ભુલાઈ જાય છે,
ત્યારે જ સંસાર-રૂપી ભ્રમ ના કારણ-રૂપ મોટો મોહ ઉદય પામે છે-
પણ,જયારે પોતાના સ્વ-રૂપમાં સ્થિતિ થાય ત્યારે-તે મોટો મોહ નાશ પામે છે.

તમે જયારે આશાઓ-રૂપી મહાસાગર ને તરીને આત્મ-સ્વ-રૂપ ને અનુસરશો,
ત્યારે તમારું અખંડ જ્ઞાન,ચારે બાજુ ફેલાશે.
હે,રામ, સ્વ-રૂપનું અવલોકન કરતાં અને અદ્વૈત આનંદમાં રહેલા પુરુષને,દેવલોક નું અમૃત,
(કે જે,આત્માનંદ ના સ્વાદમાં વિઘ્ન-રૂપ હોવાને લીધે) પણ ઝેર જેવું લાગે છે.(એટલે કે આત્માનંદ શ્રેષ્ઠ છે)
હે,રામ,જેઓ,અમારા જેવા,સ્વ-ભાવ (બ્રહ્મ-ભાવ) ને પામેલા હોય છે તેમની સાથે જ અમે મૈત્રી કરીએ છીએ.
કેમ કે-દેહાદિ-માં અહં-ભાવ રાખનાર જે બાકીના લોકો છે
તેઓ તો-"પુરુષ-નામ"ને ખોટી રીતે ધરાવનારા,અને પશુ સમાન જ છે.(એટલે કે તેઓ મનુષ્ય જ નથી)

મોટા ઉત્કર્ષ ને પામેલા,અને અખંડ સ્વ-રૂપના જ્ઞાનને લીધે,સર્વ થી ઉન્નત થયેલા તત્વવેત્તાને,
સૂર્ય વગેરેનાં  બીજાં તેજો નકામાં જ લાગે છે-કેમ કે-તે બ્રહ્મ-વિદ્યાથી સ્વ-રૂપના પ્રકાશને  પ્રાપ્ત થયેલા છે.
સઘળા તેજસ્વી પુરુષોમાં,.સિદ્ધિઓવાળા પુરુષોમાં,બળવાન પુરુષોમાં,ઉન્નતિવાળા પુરુષોમાં -પણ-
તત્વવેત્તા (બ્રહ્મ-વિદ્યાથી સ્વ-રૂપના પ્રકાશને  પ્રાપ્ત થયેલ) અત્યંત ઉત્તમ પુરુષ મનાય છે.
બ્રહ્મને (સ્વ-રૂપ ને) જાણનારા આવા ઉત્તમ પુરુષો જગતમાં ઈશ્વરના ઉત્તમ પ્રકાશથી શોભે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE