Mar 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-455

હે,ચિત્ત,આ સારા પદાર્થો મેળવવા કે ખરાબ પદાર્થો,ત્યજી દેવા-વગેરે વિચિત્ર કલ્પનાઓ તને દુઃખ દેનારી જ છે.તેં શબ્દ-સ્પર્શ-આદિ નીચ વૃત્તિઓથી અંધ થઈને આટલા કાળ સુધી,ભુવનોમાં અત્યંત ભ્રમણ કરીને શું મેળવ્યું? હે,મૂર્ખ ચિત્ત,સઘળી વૃત્તિઓના ઉપશમ-રૂપ સમાધિ કે જેમાંથી,વિદેહ-કૈવલ્ય-રૂપી-સુખ મળવાનો તથા,જીવન-મુક્તિ-રૂપ આરામ મળવાનો સંભવ છે,માટે તેમાં તું શા માટે દૃઢ ઉદ્યોગ કરતુ નથી?

હે,મૂર્ખ ચિત્ત,મૃગ (કાનની ઇન્દ્રિય),ભ્રમર (નાકની ઇન્દ્રિય) પતંગિયું (આંખની ઇન્દ્રિય) હાથી (ચામડી ની ઇન્દ્રિય) મત્સ્ય (જીભ ની ઇન્દ્રિય) વગેરે તો પોતાની એક એક ઇન્દ્રિયના વિષયોના લાલચ-રૂપી અનર્થથી માર્યા જાય છે,તો પછી,તું કે જે,આવા સઘળા વિષયોની લાલચો-રૂપી-સર્વ અનર્થો થી વ્યાપ્ત છે-તો તને કેમ સુખ મળે?જેમ,કોશેટાનો કીડો,પોતાની લાળ ને પોતાના,બંધનને માટે જ બનાવે છે-તેમ,તેં વાસનાઓની જાળને પોતાના બંધન માટે જ ફેલાવેલી છે.

હે,ચિત્ત જો તું સંસાર-રૂપી રોગને ત્યજીને શુદ્ધ થઈને-સંપૂર્ણ રીતે શાંત થઇ જાય
તો જ તને અત્યંત વિજય મળ્યો કહેવાય.
હે,ચિત્ત,તું આ જગત સંબંધી પ્રવૃત્તિને,જન્મ-મરણ તથા દુઃખ-દારિદ્રય આદિ અનેક દશાઓને આપનારી,
અને પરિણામે પરિતાપો જ ઉત્પન્ન કરનારી જાણવા છતાં,પણ ત્યજી નહિ દે-તો દુઃખી જ થઈશ,એમાં સંશય નથી.અરે,અરે,પણ તું કે જે મારા અહિત-રૂપ જ છે તેને હું -આ હિત નો ઉપદેશ શા માટે આપું છું?
તને તો બળાત્કારથી વશ કરીને,વિચારથી તારો નાશ કરવો જ યોગ્ય છે.

વિચારવાળા પુરુષને તું (મન) રહેતું જ નથી.એટલે પછી તેને ચિત્તનો નાશ કરવામાં જુદો યત્ન કરવાની પણ કંઈ જરૂર નથી,કેમ કે તે વિચારવાળા પુરુષના મૂળ અજ્ઞાનનો નાશ થયેલો હોવાથી તેમના ચિત્તનો નાશ થઇ જાય છે.ચિત્ત શુદ્ધ થઈને પાતળું થઇ જાય એટલે તે ક્ષીણ થયું એમ માનવામાં આવે છે.
જો કે ચિત્ત કે જે મુદ્દલે છે જ નહિ,અને જો તે (ચિત્ત) છે- તો તે વિચાર-માત્રથી નષ્ટ થઇ જાય તેવું છે-
માટે જ તેને (ચિત્તને) શિખામણ દેવી એ આકાશને પ્રહાર કરવાની પેઠે નકામી જ છે.

હે,ચિત્ત,હું તને શિખામણ નહિ દેતાં-તારો ત્યાગ જ કરું છું,
કેમ કે -જેનો ત્યાગ કરવો યોગ્ય હોય તેને શિખામણ દેવી તે મોટી મૂર્ખતા જ કહેવાય છે.
હે,મિથ્યા-ભૂત ચિત્ત, હું તો વિકલ્પોથી રહિત છું,સ્વયંપ્રકાશ ચૈતન્ય-રૂપ છું,
તથા અહંકારની વાસના વિનાનો છું,માટે તું કે જે અહંકારના બીજ-રૂપ છે,તેની સાથે મારે સંબંધ જ નથી.
"આ દેહ હું છું" એવું વ્યર્થ અભિમાન તેં જ કરાવી દીધું છે,એ તારો મોટો અપરાધ છે,
દેશ-કાળ-આદિના માપમાં નહિ રહેનારા આત્માની તારામાં મર્યાદિત (દેહાદિના અહંભાવ ની) સ્થિતિ,
થવી સંભવતી જ નથી.માટે એ દુષ્ટ અભિમાન ખોટા કારણથી જ (તારા લીધે જ) થયેલું છે.

વળી,અનેક દુઃખોને આપનારી વાસનાઓને અનુસરનાર તું જ છે-માટે હું તારો ત્યાગ કરું છું.
જે પુરુષ બાળક જેવો અવિચારી હોય,તેને જ તે (વાસનાઓ) સંબંધી મોહ થવો ઘટે.
પણ,હું કે જે વિચારવાળો છું તેને એ મિથ્યા મોહ શું પદાર્થ છે? (કંઈ નથી)
પગના અંગૂઠાથી માંડીને માથા સુધીના સઘળા અવયવો નું મેં કણકણ જેટલા વિભાગો પાડીને,વિવેચન
કરી જોયું,પણ તેમાં જે "હું કહેવાય છે"  (અહં) તે કોણ છે તેનો પત્તો મળતો નથી.તે કોણ હશે?

હું પોતે,તો સઘળી દિશાઓથી ભરપૂર,દેશ-કાળ-વસ્તુ ના માપથી રહિત,
કોઈ બીજાથી જણાય નહિ એવું,અને વાસ્તવિક રીતે કોઈ પણ અનાત્મ-વસ્તુ-રૂપે ગોઠવાય નહિ-
તેવું ત્રૈલોક્યમાં જે-એક જ અનુભવાત્મક ચૈતન્ય છે-તે છું,
માટે મને દેહાદિક મર્યાદિત વસ્તુમાં અભિમાન થવું સંભવતું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE