Apr 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-481

હે,રામ,આ સંસાર-રૂપી અરણ્યમાં ફરનારો જીવ-રૂપી બળદ,કે જે સેંકડો આશાઓ-રૂપી પાશથી બંધાયેલો છે,અને ભોગો-રૂપી તરણાં (ઘાસ) ની અત્યંત લાલચ રાખ્યા કરે છે.
તે પોતાનાં પહેલાં કરેલાં પાપો-રૂપી અનર્થમાં સર્વદા ડૂબેલો જ રહે છે,દુઃખી થયા કરે છે અને નિરુપાય છે.કર્મોના ફળો-રૂપી બોજો માથે પડવાથી,તે શરીરમાં ખેદ પામ્યા કરે છે અને રોગાદિની પીડાઓને લીધે દયામણી ચીસો નાખ્યા કરે છે.તેને (તે જીવ-રૂપી બળદને) લાંબા કાળના વૈરાગ્ય-આદિ પ્રયત્નથી અને જ્ઞાન-રૂપી બળથી મોહ-રૂપી જળાશયના કાદવમાંથી  બહાર કાઢવો જોઈએ.

જો તત્વના અવલોકન થી મન ક્ષીણ થાય તો-જીવ સંસાર-રૂપી સમુદ્ર તરી જાય છે,અને ફરી પાછો તે સમુદ્રમાં (સંસારમાં) પડતો નથી.મહાત્માઓના સમાગમથી સંસાર પાર કરવાની સારી યુક્તિઓ મળે છે,માટે,જે દેશમાં સજ્જન-મહાત્માઓ વસતા ના હોય તે દેશમાં સમજુ માણસે વસવું નહિ.
આ સંસાર કે જે-આત્મ-લાભ-રૂપી-શાંતિ ના મળી હોય,ત્યાં સુધી મહા-મોહ ને અને સંતાપોને આપનાર છે.

બુદ્ધિમાન પુરુષે,જો પોતાને કંઈ પણ વિવેક પ્રાપ્ત થયો હોય તો-આ સંસારમાં પડ્યા રહેવું તેને માટે યોગ્ય નથી.અને પુરુષ પોતે જ પોતાનો બંધુ હોવાથી,પોતાથી જ પોતાનો ઉદ્ધાર થાય તેમ કરવું જોઈએ.પણ,
દેહાભિમાન-રૂપી ગર્વ ધરીને પોતાના આત્માને જન્મો-રૂપી કાદવોથી ભરેલા,સંસાર-રૂપી સમુદ્રમાં નાખવો જોઈએ નહિ.અને "આ દેહ-રૂપી સુખ શું છે? કેમ આવ્યું છે? શાથી થયું છે? અને કેમ નાશ પામે? "
એવી રીતથી,સમજુ પુરુષોએ પ્રયત્ન-પૂર્વક "વિચાર" કરવો જોઈએ.

સંસારમાં ડૂબેલા આત્માનો ઉદ્ધાર કરવામાં માણસોને ધન,મિત્રો,શાસ્ત્રો કે બાંધવો-કંઈ કામમાં આવતાં નથી.પણ,મન-રૂપી મિત્ર કે જે,સર્વદા સાથે જ રહેનાર છે,તેને શુદ્ધ કરીને,વિચાર કરવામાં આવે તો આત્માનો ઉદ્ધાર થાય છે.વૈરાગ્ય તથા અભ્યાસ-રૂપી યત્નો કરીને પોતાનો વિચાર કરવાથી,ઉત્પન્ન થયેલા તત્વાવલોકન-રૂપી-વહાણથી સંસાર-રૂપી સમુદ્ર તરાય છે.માટે આત્માની ઉપેક્ષા નહિ કરતાં,કાળજી રાખીને તેનો ઉદ્ધાર કરવો જોઈએ.

હે,રામ,જો મૂઢપણાને દુર કરીને અહંકારને ધોઈ નાખવામાં આવે તો-એટલાથી જ આત્મા નું રક્ષણ થાય છે.
જો મન વડે રચાયેલી આસક્તિ-રૂપ જાળને ફેંકી દઈ,અહંકારને કાપી નાખવામાં આવે તો-એટલાથી જ,
આત્માના શોધન નો માર્ગ અત્યંત સ્પષ્ટ દેખાય છે.
જો આ દેહને લાકડા જેવો કે માટીના ઢેફા સમાન ગણવામાં આવે -તો-એટલાથી જ દેવાધિદેવ પરમાત્માને
જાણવાનો માર્ગ મળે છે.

અહંકાર-રૂપી-મેઘ ક્ષીણ થાય તો ચૈતન્ય-રૂપી સૂર્ય જોવામાં આવે છે.
જેમ અંધકારને કાપી નાખતાં પોતાની મેળે જ પ્રકાશનું દર્શન થાય છે,
તેમ,અહંકાર દુર થતાં,પોતાની મેળે જ આત્મા નું અવલોકન થાય છે.
અહંકાર ક્ષીણ થતાં,નિરતિશય આનંદમાં શાંતિ મળવાથી,જે નિર્વિકલ્પ અવસ્થા પ્રગટ થાય છે,
તે ભરપૂર સ્થિતિ-વાળી છે.અને તેનું જ પ્રયત્નથી સેવન કરવું યોગ્ય છે.

પરિપૂર્ણ અવસ્થા અમારાથી વર્ણવી શકાય તેમ નથી.એને કોઈ ઉપમા લાગુ પડી શકે તેમ નથી.
અને તેમાં દૃશ્યો નો સંસર્ગ જ હોતો નથી.એ અવસ્થા પ્રાપ્ત થયા પછી,ફરી અજ્ઞાન-રૂપ આવરણથી ઢંકાઈ
જતી ના હોય તો-એ સ્થિરતા ને પ્રાપ્ત થયેલી તુર્યાવસ્થા (સાક્ષીપણા ની સ્થિતિ) છે એમ જ કહી શકાય-
કે જે તુર્યાવસ્થા કેવળ મહા ચૈતન્ય ના પ્રકાશની કળી-રૂપ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE