Dec 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-699

જેમ,લોકોની દ્રષ્ટિ પરમાણુને જોઈ શક્તી નથી,
તેમ કોઈ પણ લોકો,એ સર્વથી ન્યારા,સ્વચ્છ પદને,નિદિધ્યાસન વિના જોઈ શકતા નથી.
જે પરમ પદમાં,સર્વ ઘટ-પટ-આદિ સ્થૂળ પદાર્થોનો પણ બાધ થઇ જાય છે,
એ પરમ પદમાં બિચારી સુક્ષ્મ વાસનાઓ શું કરી શકે તેમ છે?
જેમ અગ્નિથી હિમ લીન (ઓગળી) જાય છે,તેમ,શુદ્ધ ચૈતન્યને પામીને અવિદ્યા લીન થઇ જાય છે.


ધૂળ જેવી તુચ્છ અને ભોગથી બંધન કરનારી બિચારી વાસના ક્યાં?
અને સઘળાં બ્રહ્માંડોમાં ભરપૂર થઇ રહેલો આત્મ-તત્વ-રૂપી પ્રબળ પવન ક્યાં?
જ્યાં સુધી,આ શુદ્ધ આત્મા,સ્વ-રૂપથી જાણવામાં ન આવ્યો હોય,
ત્યાં સુધી અનેક આકારોથી વિકાર પામનારી આ અવિદ્યા સ્ફુરે છે
પોતાના ઉદરમાં સર્વને ગળી જનારા વ્યાપક પરમ-પદમાં
સઘળાં દ્રશ્યોના દેખાવો નાશ પામે છે અને સ્વચ્છતા જ ઉદય પામે છે,

એ પરમ વસ્તુ કે જે પૂર્ણતા-રૂપ છે,સઘળા જગત-સંબંધી આકારોથી રહિત છે,
અને વાણીથી પણ અગમ્ય છે,તેણે,કોની ઉપમા આપી શકાય?
હે અર્જુન,તમે પૂર્ણ-સ્વ-રૂપનું દર્શન કરીને પ્યારા વિષયોનો ત્યાગ કરવા-રૂપ મંત્રની યુક્તિથી,
અંતઃકરણમાં રહેનાર વિષયોને ટાળી નાખી,સંસારના બંધનથી રહિત
અને નિર્ભય સ્વ-ભાવ-વાળા પરમાત્મા જ થાઓ.

અર્જુન કહે છે કે-હે મહારાજ,આપ કે જે ત્રૈલોક્યના નાથ છો,તેમના વચનથી મારી બુદ્ધિ સઘળા શોક-રૂપી-બોજથી મુક્ત થઇ છે,અને પરમ ઉદય ને પ્રાપ્ત થઇ છે. (ગીતા-સમાપ્ત)

વસિષ્ઠ કહે છે કે-હે રામ, સંદેહથી થયેલો અને જેના સારથી શ્રીકૃષ્ણ હશે,એવો અર્જુન આટલાં વચન બોલીને,
તૈયાર થઈને યુદ્ધ-રૂપી-લીલા કરશે.

(૫૯) શુદ્ધ ચૈતન્યની સ્થિરતાના ઉપાય

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમે સઘળાં પાપોનો નાશ કરનારી,આ દ્રષ્ટિનો આશ્રય કરો અને
"નિઃસંગ-પણા-રૂપ-સન્યાસ"ને (અનાસક્તિને) ધારણ કરીને અને
બ્રહ્મમાં "સર્વ જગતના બાધ-રૂપ" ને બ્રહ્માર્પણ કરીને,અખંડ એક-રસ-રૂપે રહો.   

--જે ત્રણે કાળમાં વિદ્યમાન છે--જે સર્વમય છતાં પણ નિત્ય તથા પર છે
--જે પોતે પ્રપંચથી બહાર દેખાતું હોવાને લીધે દૂર છતાં પણ સર્વના અંતરમાં વ્યાપેલું હોવાથી પાસે છે
--અને સર્વમાં વ્યાપક છતાં સ્વ-રૂપમાં રહેલ છે--તેને જ તમે આત્મા સમજો.
તમે તેમાં રહેવાથી જ સત્તા પામ્યા છો,અને તમે તેથી જ છો-એમ તમે નિઃસંશય રીતે સમજો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE