Jun 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-820

શિખીધ્વજ ચૂડાલાને કહે છે કે-જેવી રીતે કુળવાન સ્ત્રીઓ,પતિને મોહમાંથી પાર ઉતારે છે,તેવી રીતે,શ્રવણ કરેલો શાસ્ત્રોનો અર્થ કે ગુરુ-મંત્ર -વગેરે પણ પાર ઉતારી શકતાં નથી.એક કુલીન પત્ની જ પતિને સખા,ભાઈ,સંબંધી,નોકર,ગુરુ,મિત્ર,ધન,સુખ,શાસ્ત્ર-વગેરે સર્વ-રૂપ છે.
સદાકાળ સર્વ યત્ન વડે કુલીન કાંતાઓ પૂજવા લાયક છે.તેઓમાં આ લોક અને પરલોકનું સર્વ સુખ સારી રીતે રહેલું છે.તું જે આ સંસાર-સાગરના પારને  પામી ગયેલી છે અને નિષ્કામ છે,તેના આ ઉપકારનો બદલો હું શી રીતે વાળી શકીશ? આ લોકમાં હું તને કુલીન કાંતા ગણું છું અને જગતમાં સર્વ પ્રસિદ્ધ પામેલી સર્વ કુલીન સ્ત્રીઓને,તેં હમણાં આ તારા ઉત્તમ કૃત્યથી જીતી લીધેલી છે.કુળવાન સ્ત્રીઓની સુજનતા-આદિ ગુણોની ચર્ચામાં તું પ્રથમ પંક્તિમાં ગણાઈશ.

ચૂડાલા કહે છે કે-હે મહારાજ,આપ વ્યાકુળ ચિત્તવાળા થઇ,નીરસ ક્રિયાજાળમાં જયારે તત્પર હતા,ત્યારે વારંવાર આપને માટે હું બહુ દુઃખી થતી હતી.અને તેને લીધે જ તમને બોધ આપવા-રૂપી-મારો સ્વાર્થ જ મેં સાધેલો છે.
આપ મારી મોટાઈ શા માટે કરો છો? હવે શું તમે પરમાત્મામાં શાંતિ પામી શું બોધવાન થયા ?
આજે તમે પ્રથમના મોહને (સાક્ષી-રૂપથી) શું તુચ્છ-રૂપે જુઓ છો કે? આ કરું-આ ના કરું-આ મેળવી લીધું-એવી તૃષ્ણા-વાળી સ્થિતિને જોઇને તમે મનમાં હસો છો કે?

હે મહારાજ,તે પ્રથમની તૃષ્ણાઓનું સ્ફૂરવું,તથા સંકલ્પોની કલ્પનાઓ, જેમ આકાશની અંદર પર્વત જોવામાં ના આવે તેમ તમારામાં જોવામાં આવતી નથી.શું તમે હવે સર્વ વાત સમજી ગયા કે? હમણાં તમે કોનામાં નિષ્ઠા રાખી રહ્યા છે તથા શી ઈચ્છા રાખો છો? પહેલા થઇ ગયેલા દેહના વ્યવહારોને તમે સત્ય કે તુચ્છ રીતે જુઓ છો?

શિખીધ્વજ કહે છે કે-હે પ્રિયા,તું પોતે જ મારા આત્મા-રૂપ છે અને જેમ તું જેનીજેની અંદર (મોહ-વિવેક-તત્વજ્ઞાન-વગેરેની અંદર) પ્રકાશક-પણાથી રહેલ છે,તેની તેની અંદર હું પણ પ્રકાશક-પણા (આત્મા) થી રહું છું.હું ચેષ્ટા-રહિત છું,નિરવયવ છું,આકાશના જેવો સ્વચ્છ છું,શાંત છું,નિસ્પૃહ છું,
અને પરમાર્થ દ્રષ્ટિથી પરબ્રહ્મ-રૂપ જ છું.હું આજે ઘણે કાળે દેહ-આદિમાંથી અહંભાવ છોડી દઈ
વસ્તુતઃ જે ચિદાત્મારૂપ રહેલો છે,તે રૂપે જ થઇ રહ્યો છું.

ફક્ત આત્મપરાયણ થઇ ગયેલા ચિત્તના એક જ માર્ગ પર રહેલો હું,એવી તો સર્વથી ઉત્તમ આનંદની (પરમાનંદની) દશાને પ્રાપ્ત થયેલો છું કે જે દશાને મહાસામર્થ્યવાળા વિષ્ણુ-મહાદેવ-આદિ દેવો પણ દુર કરવાને શક્તિમાન નથી.જે મન-વાણીથી અગોચર હોવાથી "કંઈ પણ નથી" તે શુદ્ધ ચિદાત્મામાં જ નિષ્ઠા રાખી,
હું પોતાના સ્વરૂપમાં રહેલો છું.

હે પ્રિય,હું હવે સંસાર-રૂપી ભ્રમમાંથી છૂટી ગયો છું.હું પ્રસન્ન નથી તેમ ખેદવાળો પણ નથી.આ દૃશ્ય-કાર્ય-વર્ગ હું નથી,તેમ જ તેનું કારણ પણ હું નથી.હું સ્થૂળ નથી,સુક્ષ્મ નથી -પણ સત્ય-આત્મ-તત્વ-રૂપ છું.
હું સૂર્ય-પ્રકાશ જેવો છું,હું શાંત છું,જગતની વિષમતાને દુર કરનારી એવી સર્વત્ર સમાનતાને ધારણ કરનારો છું.
અને મન કે લિંગદેહ વિનાનો થઇ ગયો છું,હું નિર્વાણને પ્રાપ્ત થયો છું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE