Jul 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-852

નિરંતર અંદર જ ચિત્ત તલ્લીન થવાથી,કદાચ કોઈ સંજોગમાં તે ચિત્તની વૃત્તિ બહાર આવે,
તો પણ પરમ શાંતિ-પણાને લીધે,તે યોગી,નિંદ્રામાં હોય-તેવો દેખાય છે.
આ 'પાંચમી-ભૂમિકા'માં અભ્યાસ કરનારો,વાસના-રહિત યોગી,ક્રમે કરીને
'છઠ્ઠી-ભૂમિકા'માં જાય છે,જે 'તુર્ય' નામે ઓળખાય છે.કે
જેમાં,સત્તા-અસત્તા(દ્વૈત) ના રૂપનો વિભાગ રહેતો નથી.અહંકારનો ભાવ-અભાવ રહેતો નથી.
(હું છું કે હું નથી તેવો ભાવ કે અભાવ) સર્વ સંકલ્પ-રૂપ-મન-માત્ર દુર થઈને દ્વિત્વ-એકત્વ-વગેરે ભાવ પણ જતા રહી,તે યોગી કેવળ આત્મા(અદ્વૈત)માં જ એકચિત્તે કહેવાય છે.

એ 'છઠ્ઠી ભૂમિકા'માં હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય છે,સંદેહ-માત્ર શાંત થઇ જાય છે,અને એ પુરુષ જીવનમુક્તની જ ભાવના સેવે છે.જેમ ચિત્રમાં આબેહૂબ દોરેલો દીવો પ્રકાશ કરતો નથી પણ આભાસમાત્ર છે,
તેમ,એ યોગીનું શરીર,બાકી રહેલા પ્રારબ્ધને ભોગવતું હોવા છતાં,પણ આભાસ-માત્ર છે.એટલે એ મુક્ત જ છે.
અંદર-બહારથી શૂન્ય લાગતો તે પુરુષ ચૈતન્ય-રૂપે તો અંદર-બહાર પૂર્ણ જ છે.

છઠ્ઠી ભૂમિકામાં કેટલોક કાળ સ્થિતિ કરી,તે 'સાતમી-ભૂમિકા'માં જાય છે,જે 'વિદેહમુક્તતા' નામથી ઓળખાય છે.
આ ભૂમિકા વાણી વડે કહી શકાય તેમ નથી,તે શાંત છે,અને સંસારના 'અંત-રૂપ' છે.
કોઈ તેને 'શિવ' કહે છે,કોઈ તેને 'બ્રહ્મ' કહે છે,કોઈ એણે 'પ્રકૃતિ-પુરુષનો વિવેક' કહે છે.(કે જે સત્ય છે)
પણ,બીજાઓએ પોતાની બુદ્ધિ-અનુસાર કલ્પી લીધેલા નાના-મોટા "ભેદ" વડે તેનું વર્ણન કરી શકાતું નથી.
છતાં પણ કોઈ પણ પ્રકારે,તેને ભિન્નભિન્ન નામોથી ભિન્નભિન્ન રીતે કહેલ છે.
હે રામચંદ્રજી,આ સાત ભૂમિકા મેં તમને કહી બતાવી.
આ યોગભૂમિકાના અભ્યાસમાં બરાબર એકાગ્રપણે જોડાયાથી પછી દુઃખનો અનુભવ કરવો પડતો નથી.

અત્યંત મદ ઝરતી,મંદમંદ ગતિ કરનારી,હંમેશા લડવાને તૈયાર થઈને ઉભેલી,મોટા બે દંતશૂળથી પ્રખ્યાત,
એક હાથણી,એ સર્વ ભૂમિકાઓને રોકીને બેઠી છે,જો તેનો વધ કરવામાં આવે તો જ આ સર્વ ભૂમિકામાં મનુષ્ય જય મેળવી શકે છે.જ્યાં સુધી એ મદોન્મત હાથણી,પોતાના પ્રબળ પુરુષ-પ્રયત્નથી જીતાઈ નથી,
ત્યાં સુધી,એવો કયો સમર્થ યોદ્ધો છે કે-જે સંપત્તિઓ-રૂપી-રણભૂમિમાં પ્રવેશ કરી શકે?

રામ કહે છે કે-એ મદોન્મત હાથણી કઈ છે? આપ જે કહો છો તે રણભૂમિઓ કઈ છે?
શી રીતે એ હાથણીનો વધ થઇ શકે? અને તે હાથણી કઈ જગ્યાએ ક્રીડા કરી રહી છે?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,"અમુક વસ્તુ મને પ્રાપ્ત થાઓ" એવા રૂપને ધારણ કરનારી "ઈચ્છા" નામની
એ હાથણી છે.એ શરીર-રૂપી જંગલમાં મદોન્મત થઈને,વિવિધ પ્રકારના શોક-હર્ષ-રૂપ વિલાસો કરે છે.
ઇન્દ્રિયો-રૂપી તેનાં મહા-ક્રોધી બચ્ચાંઓ છે.જીભ તેની ગર્જનાનું સાધન છે,
મન-રૂપી જંગલના ઘાટા ભાગમાં તે છુપાઈ રહે છે,શુભ-અશુભ-કર્મ-રૂપી તેના બે દાંત છે.
ચારે બાજુ પોતાના રૂપને પસારી રહેલ વાસનાનો સમૂહ જ તેનો મદ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE