Sep 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-908

જેમ,ચંદ્ર,એ વિરાટના જીવ-રૂપ છે અને વિરાટના હૃદયમાં રહેલો છે,
તેમ, પ્રત્યેક વ્યષ્ટિ (કે સ્થૂળ) દેહમાં,પણ "જીવ" હૃદયની અંદર "હિમ-કણના આકારે વીર્ય-રૂપે" રહેલો છે.
પિતાના હૃદયમાં વીર્ય-રૂપે રહેલા,એ "અહંકાર-રૂપી-જીવ" ને,તે પિતા વીર્ય દ્વારા,
માતાના ગર્ભાશયમાં સીંચે છે,અને તે ગર્ભાશયમાં રહેલા રુધિર સાથે એક થઇ  જાય છે.
પછી તે (જીવ) ક્રમે ક્રમે બુદબુદ-વગેરે આકારે પોતાનું શરીર ધારણ કરીને ઉત્પન્ન થાય છે.

માતાના શરીરમાં રહેલો "જીવ" તે શરીરને "સંકલ્પ" દ્વારા "પોતા-રૂપી" (પોતાનું શરીર  છે-એમ) માની બેસે છે.
પોતાની માતાના ગર્ભાશયમાં "વીર્યના બળ (શક્તિ)" ને લીધે જ,તેનો પોતાનો દેહ,હાડકાં,સ્નાયુ-વગેરે
સ્થિર અવયવ-વાળો થઈને રહે છે.એ "દેહ" પોતાનાં કર્મ વડે રચાયેલો એક "અન્નમયકોશ" છે અને
કોશેટાનો જીવ જેમ કોશેટામાં બંધાઈને રહે છે,તેમ તે પોતે તેમાં મમતા રાખી બંધાઈ રહે છે.
જેમ,ફૂલની અંદર સર્વત્ર સુગંધ રહેલી હોય છે,તેમ એ "જીવ" આખા દેહમાં "અહંકાર-રૂપે" ફેલાઈ રહે છે.

જેમ,ચંદ્રની ચાંદની આખા બ્રહ્માંડ-રૂપી-મંડપમાં ફેલાઈ રહે છે,તેમ,હૃદયમાં રહેલા વીર્ય (જીવ)ની અંદર,
"હું અમુક દેહ-વાળો છું" એવા દેહના અભિમાનને ધારણ કરી રહેલ "જીવ-ચૈતન્ય",
નખથી શિખા સુધી (સર્વત્ર) આખા દેહમાં "અહંભાવ-રૂપે" ફેલાઈ જાય છે.
"ચિદાભાસ" સહિત,અંતઃકરણ-રૂપી જળ,બાહ્ય અર્થોનું જ્ઞાન થવામાં મુખ્ય સાધન-રૂપ છે અને તે ઇન્દ્રિયોના છિદ્રો-રૂપી નાળ-દ્વારા બહાર નીકળે છે.અને ત્રણે લોકના પોતાની નજીક રહેલા બાહ્ય પદાર્થોમાં પ્રસરી જાય છે.

જો કે,આ આખા દેહમાં બહાર અને અંદર -સર્વત્ર "જીવ-ચૈતન્ય" રહેલું છે,છતાં હૃદયમાં રહેલા વીર્યમાં તેનું વિશેષ અભિમાન હોય છે.એટલે,"જીવ"નું સ્વરૂપ વિચારવા જઈએ તો,તે સંકલ્પ-માત્ર જ છે.તે જે જે સંકલ્પ કરે છે તે તે, પ્રથમ,હૃદયમાં પેદા થાય છે,અને પછી ઇન્દ્રિય-દ્વારા બહાર ફેલાઈ જઈ,બાહ્ય-અર્થ-રૂપે સ્પષ્ટ દેખાય છે.

સ્થિર-બ્રહ્મ સાથે એકરસ થયેલી,અને પોતાના "એક-સ્વ-રૂપ"માં તલ્લીન રહેલી-"બ્રહ્માકાર-વૃત્તિ" વિના,
બીજી કોઈ પણ સ્થિતિ વડે "અહંકાર-રૂપી-ભ્રાંતિ" શાંત થતી નથી.
તમારે અહંકારની અત્યંત શાંતિ કરવી હોય,તો મનન-નિદિધ્યાસન-વગેરે દ્વારા,બ્રહ્મ-વિચારનો અભ્યાસ કરવો,
પછી,એક પછી એક ભૂમિકામાં ઉપર ચડવું અને નિર્વિકલ્પ સમાધિની પૂર્ણ દશા પ્રાપ્ત કરી,
છેવટે આકાશની જેવી અનંગ (કોઈ અંગ વગરની) તથા નિર્વિકાર સ્થિતિ મેળવવી.

જ્ઞાની જીવન્મુક્ત પુરુષો,દૃશ્યની ભાવનાને મૂકી દઈ,બહાર અને અંદર દૃશ્ય-દર્શન-વગેરેના અભિમાનને છોડી દઈ,
મૌન-પણે (એટલે કે કર્મેન્દ્રિયોના વ્યાપારથી અને માનસિક સંકલ્પ-વિકલ્પ-આદિ વ્યાપારથી રહિત થઇ)
લાકડાની પૂતળીની જેમ,નિરાભિમાન-પણાથી અને સંકલ્પ-રહિતતાથી વ્યવહાર કર્યે જાય છે.
આમ,જે પુરુષ,બીજા કશાની ભાવના,ના કરતાં,માત્ર એક બ્રહ્મની જ દિવસ-રાત ભાવના કરે છે-તે મુક્ત છે.
આમ,તે જીવતાં છતાં આકાશના જેવો અસંગ,નિર્મળ,નિર્વિકાર થઇ રહીને,
સંસારની બેડી (સાંકળ) વડે નહિ બંધાયેલો પ્રત્યક્ષ જોવામાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE