Sep 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-923

ઘાસ,વેલા,ઝાડ-વગેરેનાં જુદાંજુદાં બીજોની અંદર પણ
અંકુર-આદિ-કાર્ય કરવાની જે કંઈ "શક્તિ" રહી છે,
તેનું પણ બીજ ચિદાત્માનું સ્ફુરણ જ છે,પણ, એ ચૈતન્યના સ્ફુરણનું બીજું કશું જુદું બીજ નથી.
જેમ અગ્નિનો અને ગરમીનો ભેદ નથી,તેમ બીજ અને અંકુરનો વસ્તુતઃ ભેદ નથી.
બીજ છે તે જ (બીજની અંદર સુક્ષ્મ-રૂપે અંકુર રહેલો હોવાથી) અંકુર-રૂપ છે તેમ તમે સમજો.
તેજ રીતે,પુરુષને પણ (કર્મ જ જન્મ આપનાર હોવાથી) કર્મ-રૂપ જ તમારે જાણવો જોઈએ.

જમીનની અંદર ચેતન-સત્તા જ સ્ફુરણને પ્રાપ્ત થઈને વડ-વગેરે સ્થાવર પદાર્થોના અંકુરને ઉત્પન્ન કરે છે.ચેતન-તત્વ વિના કઠણ-પૃથ્વીમાંથી,દૃઢ-એવા (બીજમાંના) અંકુરોને કોણ ઉત્પન્ન કરી શકે?
તેવી જ રીતે પ્રાણીઓના વીર્યની અંદર રહેલી ચેતન-સત્તા,ચોતરફ પ્રસરી રહેલ આ જંગમ જગતને ઉત્પન્ન કરે છે.
આમ, ચેતન-સત્તા અત્યંત "શક્તિ-શાળી" છે,અને જો તે સર્વની અંદર ના રહેલી હોય,તો પછી,
દેવો-દૈત્યો-રાજાઓ-વગેરેને ઉત્પન્ન કરી શકવા (બીજું કોઈ)કોણ સમર્થ થઇ શકે?

આમ,ચૈતન્ય-તત્વમાં સ્ફુરણ ઉઠવું-એ જ સર્વ-જગતની વસ્તુઓનું આદિ-બીજ છે.અને (પણ)
એ ચૈતન્ય-તત્વના સ્ફૂરણનું બીજું કોઈ બીજ છે જ નહિ.
બીજ અને અંકુરનો તથા "ક્રિયા-પુરુષ-કર્મ"નો -ખાલી નામ-માત્ર સિવાય બીજો કોઈ ભેદ નથી.
જે પુરુષની બુદ્ધિમાં,"પુરુષ (જીવ) અને કર્મ"  તથા "બીજ અને અંકુર" એ બંનેનો પરસ્પર ભેદ
ભાસ્યા કરતો હોય તેવા વિદ્વતાનો ડોળ કરનાર (દંભી) મહા-પુરુષ-પશુને દુરથી જ નમસ્કાર હો.

ચૈતન્ય-આત્માનું સંકલ્પ-રૂપી-સ્ફુરણ,વાસનાના યોગે "જન્મ"ના બીજ-રૂપ થાય છે અને તેની અંદર રહેલો
વાસના-રૂપી રસ જ અંકુરને પ્રગટ કરે છે,માટે વાસના-રૂપી-રસને જ તમે અસંગ-રૂપી-અગ્નિ વડે બાળી નાખો.
કર્મ કરવામાં આવે પણ શુભ-અશુભ કાર્યોમાં મન ડૂબી ના જાય અને નિર્લેપ (અનાસક્ત) રહે,
તેને વિદ્વાનો "અસંગ" કહે છે,અથવા તો વાસનાને જ નિર્મૂળ કરી નાખવી-એ અસંગ કહેવાય છે.

પુરુષ-પ્રયત્નથી લાંબા કાળ સુધી અભ્યાસ કરવાથી,
રાજયોગ કે હઠયોગ-ની જે કોઈ યુક્તિ વડે વાસના-ક્ષય થઇ શકે,એમ તમને જણાતું હોય-
તે જ યુક્તિથી તમે વાસનાને નિર્મૂળ કરી નાખો.એ જ ખરો કલ્યાણનો માર્ગ છે.
વાસનાથી રહિત થઈને,પોતાના એક-આત્મામાં જ તલ્લીન થઈને રહેવું,એ પરમ-મંગલ-રૂપ છે.
પુરુષ પ્રયત્નથી,જે રીતે પણ અહંકારનો નાશ કરવાનો ઉપાય તમે જાણતા હો,
તે રીતે,તમારામાં રહેલા અહંકારને,તમે જ દુર કરી નાખો,એટલે એ ખરેખર-વાસના-ક્ષય જ છે.
વાસના-ક્ષય એ નિરહંકારપણાનું જ નામ છે.
એ નિરહંકારપણું પ્રાપ્ત કરીને સંસાર તરી જવા માટે પુરુષ-પ્રયત્ન સિવાય બીજો કોઈ ઉપાય નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE