Sep 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-924

હે રામચંદ્રજી,બીજ પણ નથી,અંકુર પણ નથી,પુરુષ (જીવ) પણ નથી કે કર્મ પણ નથી,
એક શુદ્ધ ચેતન-સ્વરૂપ જ સત્ય છે,અને તે વેશધારી નટની જેમ,દેવ-દાનવોના વેશો વડે,સુંદર રૂપ-વાળો
બની જાય છે.પરમ-તત્વ જ કર્મ-પુરુષ-આદિ જુદાજુદા નામો ધારણ કરીને વિવિધ-રૂપે બની રહેલ છે.
ઉપર કહ્યા મુજબ,તમે અતિ દૃઢ નિશ્ચય કરી,પુરુષ-કર્મ-વગેરેના વિચારોને અને શંકાઓને છોડી દઈ,
વાસનાઓથી અને સર્વ સંકલ્પોથી રહિત બની જાઓ અને તમારી ઈચ્છામાં આવે તેમ,સુખથી ચિદાત્મા-રૂપે થઈને રહો.કેવળ,શુદ્ધ પરમાત્મામાં જ આત્મ-ભાવના રાખીને વર્ણ અને આશ્રમને યોગ્ય કાર્ય કરતા રહો,
અને શાંતિ વડે સુશોભિત બની,ભયથી રહિત અને પૂર્ણકામ થઈને રહો.

(૨૯) પ્રાપ્ત વ્યવહાર કરતા રહી,સ્વરૂપ-સ્થિતિમાં રહેવાનો ઉપદેશ

વસિષ્ઠ કહે છે કે-વાસનાથી રહિત અને વીતરાગ થઇ જઈને,તેમ જ યથોચિત કર્મ કરતા રહીને શુદ્ધ અને શાંત,
કેવળ એક ચિન્માત્ર પરમ તત્વની જ ભાવના તમે રાખો,અને નિત્ય અંતર્મુખ થઇ રહો.
તમે વિવેકી છો,સુખ-દુઃખ,શત્રુ-મિત્ર-આદિમાં સમાનતા રાખનારા છો,શાંત છો,સદાકાળ એક-સરખી રીતે જ
આનંદવાળા છો,અને પરબ્રહ્મની જેમ સર્વત્ર એક-સરખા-પણાથી પોતાના વિશાળ સ્વરૂપને વિસ્તારી રહેલા છો.

તમે આકાશના જેવા સ્વચ્છ અને નિર્મળ થઇ જાઓ,અને માત્ર ચૈતન્ય-રૂપ-બ્રહ્મ-તત્વમાં જ દૃઢ સ્થિતિ રાખો.
પ્રારબ્ધ-યોગે નાની કે મોટી વિપત્તિઓ કે સંકટો આવી પડે,શોકને પ્રાપ્ત થવું પડે,તો એ સર્વ બાબતમાં
તમારે પોતાની અંદરના વિવેકના બળથી દુખી થવું નહિ,પરંતુ બહાર દેશની રીતને (સંસારના વ્યવહાર પ્રમાણે)
અનુસરીને ભલે ક્રમ પ્રમાણે આંસુ લાવવાં,રોવું કે રાડો પાડવી પડે (એટલે કે- તેને અનુસરો-કે-તેમ કરો)

પુષ્પની માળા,ચંદન,સ્ત્રી (વનિતા) આદિ-ભોગોનાં સુખો,દ્વંદ્વ-ધર્મ (શીત-ઉષ્ણ-વગેરે) વાળાં છે,
તેનું પણ (તે ભોગોને પણ) તમે અંદર નિર્વિકાર રહી,બહારથી ભલે સુખથી સેવન કરો.
મનોહર સ્ત્રીઓના સમાગમોમાં,મોટા ઉત્સવોમાં,અને કોઈ ચડતીના સમયમાં (સન્માન મળતું હોય તે સમયમાં)
અંદર ચિત્તને શાંત અને નિર્વિકાર રાખી,(મૂઢ પુરુષોની જેમ) તમે બહાર આનંદ-વાળા થઈને રહો.
તે જ રીતે ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલાં,ધર્મથી અવિરુદ્ધ,ધન કમાવાના કાર્યમાં પણ કશો ખેદ નહિ લાવતાં,
અંદર નિર્વિકાર (અનાસક્ત) પણ બહાર ધનનું ચિંતન અને ધન-ઉપાર્જન કરો.

બહાર વાસનાના દાબથી દબાયેલા મૂઢ-પુરુષના જેવી સ્થિતિમાં રહી,પણ અંદર ચિત્તને કેવળ
પોતાના આત્મામાં જ રમતું રાખી,તમે દયાલાયક દીન-પુરુષો અને મહાત્માઓ તરફ ઉદાર દિલના થાજો
અને દંડવા-યોગ્ય-દુષ્ટ પુરુષો પ્રત્યે દયા ના રાખી તેમને યોગ્ય દંડ આપજો.
પોતાની સ્તુતિ પોતાને મોઢેથી ન કરતાં,તમે ધીરતાનો આશ્રય કરજો.
અંદર અનાસક્ત રહી, હર્ષ થવાના પ્રસંગમાં તમે હર્ષિત થાઓ,અને દુઃખના પ્રસંગમાં તમે દુઃખી થાઓ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE