Jan 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1032


એ બાર સૂર્યનારાયણનો સમૂહ મોટા કડકડાટના શબ્દો ઉત્પન્ન કરતો હોય એવો દેખાતો હતો.
સૂર્યની જ્વાળા-રૂપી ઘાટાં-લાલ વસ્ત્રોના આડંબરને લીધે પર્વતો લાલ રંગના દેખાતા હતા.
મોટા લોકપાલોના નગરો,દિશાઓ-રૂપી-સ્થિર-વીજળીઓના જેવાં દેદીપ્યમાન દેખાતાં હતાં,
તો અનેક બીજાં નગરો સૂર્યનો પ્રચંડ દાહ લાગતાં કડકડાટ અવાજ કરી નષ્ટ થઇ જતાં હતાં.
આખું જગત,સૂર્યોના તાપો વડે બળ્યા કરતા પ્રાણીઓના ઊંચા આક્રંદોવાળું બની ગયું હતું.

પ્રાણીઓ,ભૂલોક-આદિના લોકોનાં અને તેની અંદર આવી રહેલાં નગરોના પતન થતાં હતાં,
તેથી ફાટી પડતા અનેક પદાર્થોના અવાજથી સઘળી સૃષ્ટિ મહાભયંકર આકારને ધારણ કરી રહી હતી.
આકાશમાંથી નક્ષત્રો ગરતાં હતાં,તેથી તેના અભિઘાતથી પૃથ્વીમાં રહેલા રત્નોનું ઘર્ષણ થતું હતું.
વસ્તીના સમુહને અત્યંત દાહ લાગવાથી,તે સર્વ સ્થળોમાં અને પોતપોતાના ઘરોમાં દોડાદોડ કરી રહ્યાં હતાં.
ક્ષીણ થઇ મૃત-તુલ્ય થઇ રહલા અને આક્રંદપૂર્વક સડયા કરતા પ્રાણીઓના સમુહને લીધે દિશાઓના તટો
દુર્ગંધવાળા થઇ ગયા હતાં.કેટલાક મનુષ્યો યોગબળથી બ્રહ્મરંઘ્ર ફોડી,ઉર્ધ્વલોકમાં જઈ અમરપણું લેતા હતા.

સૂર્યોના તાપથી સમુદ્રો સુકાઈ ગયા હતા,અને તેમાં રહેનારાં જળચળ પ્રાણીઓ તરફડિયાં મારતાં હતાં.
એ દેખાવ બહુ જ ભયંકર દેખાતો હતો.જળના અભાવને લીધે વડવાનળ,કેમ જાણે હજારો પ્રકારે ઉંચે ચડતો હોય,
તેમ આકાશમાં જઈ નૃત્ય કરતો હતો,અને આકાશની અપ્સરાઓને ઝડપી લેતો હતો,
આમ પ્રલયાગ્નિ ચારે તરફ પ્રગટ થયો હતો અને મહા વિકરાળ થઇ રહ્યો હતો.

સર્વનો નાશ થઇ ગયા છતાં નાશને ના પામેલાં,સુવર્ણ અને આકાશ-એ બંનેનું સ્વરૂપ,ખરેખર વખાણવા
યોગ્ય છે,કેમ કે પ્રલયકાળના એ અગ્નિમાં એ બંને જ માત્ર અવિનાશી રહ્યાં હતાં.
આકાશ વ્યાપક હોવાથી તેનો નાશ થયો નહોતો અને સુવર્ણનો મેલ બળી જવાથી તે શુદ્ધ રસ-સ્વરૂપે
અક્ષય રહ્યું હતું.આ જ રીતે રજોગુણ અને તમોગુણ-રૂપી મેલથી રહિત એવો
શુદ્ધ સત્વગુણ જ બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે.તેથી તે એક જ સુખના સાધનરૂપ છે એમ હું માનું છું.

(૭૬) પ્રલયના મેઘથી અગ્નિ શાંત થવાનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-પછી પર્વતોને કંપાવનારો અને પોતાના બળ વડે,આકાશની અંદર ચકરીઓમાં ઘૂમનારો
પ્રલય-કાળનો પવન વાવા લાગ્યો.એમ,જયારે સમુદ્રો ચિહ્ન વિનાના થઇ ગયા,ભૂલોકના જીવો જળના
અભાવને લીધે ભાગવા માંડ્યા હતા,આખું જગત અગ્નિની આહુતિ-રૂપ થઇ પડ્યું હતું અને પાતાળલોક
તથા સ્વર્ગલોક પણ ભસ્મિભૂત થઇ ગયો હતો,ત્યારે આકાશની અંદર ક્યાંયથી એ પુષ્કરાવર્ત નામના
પ્રલયમેઘોએ પોતાનો ગડગડાટ આરંભ્યો.એ અવાજથી બ્રહ્માએ પોતાનો બ્રહ્માંડલોક સમેટી લીધો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE