Jan 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1035

વસિષ્ઠ કહે છે કે-પછી,મેં આકાશમાં રહી સમાધિથી જોયું તો,બ્રહ્માની જેમ, તે સર્વ બ્રહ્માંડ પણ નિર્વાણને પ્રાપ્ત
થઇ ગયેલું મારા સમજવામાં આવ્યું.તેનામાંનું સર્વ વાસના લીન થઇ જવાથી,પોતાના મૂળ સ્વરૂપમાં લીન થઇ
જઈને  અદૃશ્ય થઇ ગયું હતું..જાગ્રત અવસ્થામાં વાસનાનો ક્ષય થતાં સ્થૂળ કે સૂક્ષ્મ શરીર દેખાતું નથી.
અને આ બાબતમાં દૃષ્ટાંત-રૂપે સ્વપ્નનો અનુભવ પ્રસિદ્ધ છે.જે શઠ પુરુષ આવા પોતાના અનુભવની વાતને
કબૂલ ના કરે,તે આ પારમાર્થિક ઉપદેશની બાબતમાં ત્યાગ કરવા યોગ્ય છે,
કેમ કે જે જાગતા હોવા છતાં ઢોંગથી સૂઈ ગયા જેવો થઇ રહ્યો હોય,તેને કોણ જગાડી શકે?

(સાંખ્ય-મત મુજબ) જો વાસનાને કારણરૂપ ના માનીએ તો,
જેમ,દેહના કારણથી અનુભવમાં આવતું સ્વપ્ન,તે દેહનો અભાવ થતાં,પછી જોવામાં આવતું નથી,
તેમ,દેહનો અભાવ થતાં દેહના સંયોગથી દેખાતો આ પ્રપંચ (માયા) પણ પણ પછી રહેતો નથી એમ માનવામાં આવે.
અને આમ જો હોય તો,દેહથી રહિત થયેલાને પરલોક મળવાની વાત પણ સંભવતી જ નથી અને કેવળ નાસ્તિકતા
આવીને ઉભી રહે છે.અને જો એ પરલોકના અભાવની (પરલોક નથી એવી) વાત જો સંભવતી હોય,
તો મહાપ્રલયમાં સર્વ સમષ્ટિ-શરીરનો ક્ષય થયા પછી આ સૃષ્ટિ પાછી ઉત્પન્ન થવી સંભવે નહિ.

પણ સૃષ્ટિ તો ઘટમાળ પ્રમાણે સદાકાળ થતી રહે છે.જે પદાર્થ અવયવવાળો છે,તેના અવયવોનો વિભાગ થઈને ક્ષય થવો-
એ અસંભવિત જ છે,એટલે આ સાંખ્યમત (આ બાબતે અહીં) કાયમ રહી શકતો નથી.

(ચાર્વાક-મત મુજબ) પૃથ્વી-આદિ ચાર ભૂતો જ પરસ્પર મળી જઈ,જરાયુજ આદિ દેહના આકારે અને ઘટ-પટ આદિના
આકારે પરિણામ પામે છે-તેને જગત કહે છે.તે જગત પરમાણુ-રૂપે નિત્ય હોવાથી તેનો નાશ નથી.
દેહને આકારે પરિણામ પામેલાં ચાર ભૂતોમાં 'ચૈતન્ય' તો એક 'મદ-શક્તિ' ની જેમ એની મેળે ઉત્પન્ન થાય છે.
(મદિરા બનાવવાના પદાર્થમાં (દ્રાક્ષ-મહુડો-વગેરેમાં),સમય જવાથી તેનો બરોબર ઓડ (આથો) થાય છે-
એટલે એક જાતની નશો થાય એવી શક્તિ ઉત્પન્ન થાય છે તેને 'મદ-શક્તિ' કહેવામાં આવે છે)

આવા ચાર્વાક-મતનું જો અવલંબન કરવામાં આવે તો-ચાર પ્રકારના પ્રલય માનનારાં પુરાણોનું,ઈતિહાસોનું,
વેદોનું અને સ્મૃતિ-આદિનું વ્યર્થ-પણું સિદ્ધ થાય!!
સાવ નિર્દોષ એવાં વેદ-પુરાણ,ઈતિહાસ આદિને,જો ચાર્વાક-મતવાળાઓ,પ્રલય,ધર્મ,અધર્મ-વગેરેના નિર્ણયની બાબતમાં
અપ્રમાણ-રૂપ ગણે,તો લોભ-દ્વેષ-વિષયલાભ-વગેરે અસંખ્ય દોષો વડે દુષિત,અને સાવ મિથ્યા
એવા ચાર્વાકના વાક્યને કેમ 'પ્રમાણ-રૂપ' કહી શકાય?
જગતનો ઉચ્છેદ થાય છે-એવો જેમનો કહેવાનો હેતુ છે,તેવો ચાર્વાક-મત (અહીં આ બાબતે) આદર
આપવાને યોગ્ય નથી.હે રામચંદ્રજી,એ વાતને બાજુએ રાખી હું તમને બીજી વાત કહું છું તે તમે સાંભળો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE