Feb 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1076






વસિષ્ઠ કહે છે કે-આ જગતમાં સ્થાવર-જંગમ પ્રાણીઓ પોતાની યોનિને યોગ્ય,એવા ભોગો-વાળી સુખની સત્તામાં
સારી રીતે વિશ્રાંત થઈને રહેલાં છે.સૂક્ષ્મ જીવો પણ આપણી જેમ જ પોતાની યોનિને યોગ્ય એવાં સુખ ભોગવવાની
ઈચ્છાવાળાં હોય છે.જોકે આપણે ભોગોમાં થોડી આસ્થાવાળા છીએ અને આપણને વિઘ્નો પણ ઓછાં આવે છે,
જયારે નાના જીવોમાં ભોગોની અસ્થા વધારે હોય છે અને મોટાં વિઘ્નો આડે આવે છે.

જેવી રીતે વિરાટ (બ્રહ્મા) પોતાના ભોગ માટે યત્ન કરે છે તેવી રીતે જ ઝીણા જીવડાઓ,કીડાઓ વગેરે પણ,
અત્યંત નાના એવા સ્થાનમાં રહીને પોતાના ભોગને માટે યત્ન કરે છે.જેમ કે કીડીને પોતાના માટે કણનો સંગ્રહ કરવાના,
પોતાના સ્થાનની વ્યવસ્થા કરવાના અને પોતાના કુટુંબના પોષણ કરવાના માટે,
આખો દિવસનો લાંબો સમય પણ તેમના માટે બસ (પૂરતો) થતો નથી.

'અમુક (શરીર-આદિ) હું છું અને અમુક (સ્ત્રી-પુત્ર-આદિ) મારું છે' એવી કલ્પના ખડી થઇ જઈને,જેમ આ વિશાળ જગત
અનેક આકારે મનુષ્યોની પ્રતીતિમાંઆવે છે,તેમ,કૃમિ-આદિ નાના જીવોને પણ તે પ્રતીતિ થાય છે.
અને મનુષ્યોની જેમ જ પોતપોતાને યોગ્ય વિષય ભોગવવામાં નિંદ્રા અને જાગ્રત એ બે સ્થિતિવાળા હોય છે.
તેમને પણ શરીરની સ્થિતિમાં સુખ રહે છે અને શરીરનો નાશ થતાં દુઃખ પણ થાય છે.

આપણી જેમાં જ તિર્યક (કૃમિ-આદિ) જાતિને પણ  આ સંસારના પદાર્થો સુખ-દુઃખ પેદા કરે છે.પરંતુ તે
સુખ દુઃખનો તે વિભાગ (છુટ્ટા) પાડી શકતા નથી,પરાધીનપણે તે (સુખ-દુઃખ સાથે) ખેંચાયા કરે છે,
પણ,તેઓ પોતાના દુઃખને પ્રગટ કરવા કે દૂર કરવાને શક્તિમાન હોતાં નથી.
જેમ કે બળદ-વગેરે પશુઓ અંદરથી પોતાના હૃદયમાં થતા દુઃખોથી તો અકળાય જ છે,સાથેસાથે બહારથી
તેમના ધણીઓ,નાકમાં નથ નાખીને તેમને ખેંચીને (દુઃખ આપીને) લઇ જાય છે.તોપણ તે કશું કરી શકતા નથી.

આપણને 'સુષુપ્તિ-અવસ્થામાં જેવો સુખ-દુઃખ-આદિનો અનુભવ' થાય છે,તેવો જ અનુભવ વૃક્ષો,વેલાઓ-આદિને
'સ્પષ્ટ-પણે' થતો હોય છે.આપણને આ સંસાર-રૂપી-અરણ્યમાં ચારે બાજુથી ભયાતુરપણે જેવો પદાર્થોનો અનુભવ થાય છે,
તેવો જ અનુભવ પક્ષી-સર્પ-તિર્યક જાતિ આદિને પણ થાય છે.આ વાત નિર્વિવાદ છે.

જો (જુદા-પણાના) વિક્ષેપને મૂકી દઈએ તો,ઇન્દ્રને અને નાના કીડાને,પોતાના સ્વરૂપાનંદમાં અને
આહાર-નિંદ્રા-મૈથુન-આદિથી થતાં સુખમાં કશો ફરક નથી.
એ વિષયોમાં બંનેના મનની પ્રસન્નતા સરખી જ હોય છે,બાકી બંનેના માનસિક વિક્ષેપ નિવારી ના શકાય તેવા છે.
રાગ-દ્વેષ-ભય-આહાર અને મૈથુનથી ઉત્પન્ન થતું સુખ-દુઃખ અને જન્મ-મરણ આદિનો ખેદ,
તિર્યક-જાતિને પણ આપણી જેમ જ હોય છે,તેમાં કશો ભેદ હોતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE